રાજકોટ તા. ૧૬ જુલાઇ – વર્ષ ૨૦૨૧ ના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને તેમનું પરિણામ તૈયાર કરવાની રાજયસરકારની નીતિ અન્વયે બોર્ડની માન્યતાપ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ગુણના આધારે તેમનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે.
જે બોર્ડની વેબસાઇટ result.gseb.org પર ૧૭ જુલાઇ-૨૦૨૧ના રોજ સવારે ૮.૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે. શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગ ઇન કરી શાળાઓ તેમની શાળાનું પરિણામ ડાઉનલોડ કરી શકશે તથા જોઈ શકશે. શાળાના વિદ્યાર્થીઓને ગુણપત્રક નકલ પ્રત્યેક શાળાએ આપવાની રહેશે તથા તેમના પરિણામની જાણ કરવાની રહેશે, તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડના નાયબ નિયામક સી.જે. પંડયાની યાદીમાં જણાવાયું છે.