250થી વધારે કાચબા ભક્તોને સંયમની શિક્ષા આપે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
શ્રાવણ મહિનામાં ભક્તો પણ ભોળાનાથને પૂજા-અર્ચના થકી ભોળાનાથને રિઝવવા માટે શિવ મંદિરે જતા હોય છે. દરેક શિવમંદિરની સામે તમને એક કાચબો જોવા મળે છે. પરંતુ, રાજકોટમાં એક અનોખુ શિવ મંદિર આવેલું છે. જ્યાં કાચબો પ્રતિમા સ્વરુપે નથી પરંતુ એક સાથે 250થી પણ વધારે જીવતા કાચબા હાજર છે. આ મંદિર આશરે 400 વર્ષ જૂનું છે. જે રાજકોટનું સૌથી પ્રાચીન મંદિર હોવાનું પણ માનવામાં આવે છે.
- Advertisement -
કોઈપણ શિવજીના મંદિરમાં જતાની સાથે સૌ પ્રથમ નંદી અને ત્યારબાદ કાચબા ના દર્શન થતા હોય છે. કોઠીયો એ શિવજીનું વાહન માનવામાં આવે છે જ્યારે કાચબો એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શંકરે પોઠિયા (નંદી)ની જેમ કાચબાને પણ મંદિરમાં સ્થાન આપેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, કાચબો એ જ્ઞાનનું પ્રતીક છે. જેમ કાચબો પોતાના પગ અને મોઢું સંકોચી લે છે તેમ માણસોએ મહાદેવના દર્શન કરતા પહેલા સારા ખરાબ વિચારો પડતા મૂકીને તમામ ઇન્દ્રિયો સંકોચી લઇ સંયમ જાળવવો જોઇએ.
એટલે કે કાચબાના દર્શન પછી તેની પાસેથી જ્ઞાન અને સંયમની શિક્ષા લઇ પછી જ લોકો મહાદેવના દર્શન કરી શકશે તેવું વરદાન ભગવાન શંકરે કાચબાને આપ્યું હતું એટલે જ મહાદેવના તમામ મંદિરમાં કાચબાનું પ્રતીક જોવા મળે છે. જ્યારે રાજકોટના એક અનોખા મંદિરમાં કાચબાના પ્રતીક નહી પણ જીવતા કાચબાના દર્શન કરી શકાય છે. ત્યારે રાજકોટમાં આવેલા આ મંદિરમાં જીવતા કાચબા એ આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે.
ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા તો આવે જ છે. આ સાથે જ અહીં લોકો જીવંત કાચબાના પણ દર્શન કરે છે. આ મંદિરમાં આશરે પોણા ત્રણસો જેટલાં કાચબા છે. અહીં આટલા બધાં જીવંત કાચબાના કારણે આ મંદિરને કાચબા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દ્રશ્ય ફક્ત રાજકોટની આજી નદીના કાંઠે આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલા સોમનાથ મહાદેવના મંદિરમાં જ જોવા મળે છે. કહેવામાં આવે છે કે, જ્યારથી આ મંદિર બન્યુ છે ત્યારથી જ અહીં કાચબાઓ રહે છે. શરુઆતમાં અહીં કોઈક કાચબાની એક જોડી મુકી ગયુ હતું. તેમાંથી કાચબાની સંખ્યા વધતી ગઈ. કાચબાને મહાદેવનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, આ તમામ કાચબાને આ મંદિરમાં સંરક્ષણ આપવામાં આવે છે. કાચબાની વધતી જતી સંખ્યાને કારણે બાદમાં આ મંદિર કાચબા મંદિર તરીકે ઓળખાવા લાગ્યુ હતું.
આ અંગે પુજારીએ જણાવ્યુ હતું કે, ’રાજકોટમાં બેડીનાકા ટાવર પાસે નદીના કાંઠે મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર આશરે પોણા 400 વર્ષ જૂનું છે. પહેલાં અહીં ગીરીબાપુ હતાં અને તેની સમાધિ પણ મંદિરમાં આવેલી છે. તેઓએ અહીં જીવતી સમાધિ લીધી હતી અને સમાધિમાં 7 દિવસ જીવતા હતાં. બાદમાં તેમના ચેલા દ્વારા આ મંદિરનું સંચાલન સંભાળવામાં આવ્યુ અને વર્ષો બાદ અમારા વંશ પરંપરા મુજબ હાલ અમે મહાદેવની પૂજા-અર્ચના કરીએ છીએ. વર્ષો પહેલાં પોણા ત્રણસો કાચબા એક રુમમાં હતાં. હજી પણ અહીં મોટી સંખ્યામાં કાચબાઓ છે. આ મંદિરનું નામ સોમનાથ મંદિર રાખવામાં આવ્યુ હતું. પરંતુ, સમય જતાં તે કાચબા મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.’
- Advertisement -
રાજકોટમાં આવેલા આ મંદિરના કાચબાનું જીવંત સ્વરુપ લોકોની શ્રદ્ધામાં વધારો કરે છે. લોકોને જેમ-જેમ આ મંદિર વિશે જાણકારી મળતી જાય છે, તેમ-તેમ દર્શનાર્થીઓની સંખ્યા પણ વધતી જાય છે. અહીં ભક્તો કાચબાના જીવંત સ્વરુપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.