રાજ્ય સરકાર ઘેડ પંથકમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આયોજન ચાલુ : રાઘવજીભાઈ પટેલ
ભોડદર, અમીપૂર, મંડેર સહિતના ગામોની કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.14
પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદમાં અસરગ્રસ્ત ભોડદર, અમીપૂર, મંડેર સહિતના ગામોની કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી. તેઓએ ખેડૂતો સાથે સંવાદ કરી તેમના પ્રશ્ર્નો અને સાંભળ્યા હતા.પોરબંદર જિલ્લામાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદ બાદ ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પોરબંદર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલે સૌપ્રથમ કુતિયાણા નજીક ભોડદરગામની મુલાકાત લીધી હતી. અને ભોડદર ગામે તેઓએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો, ગ્રામજનોના પ્રશ્નોને પણ સાંભળ્યા હતા. ત્યારબાદ તેઓએ અમીપુર ગામ ખાતે ખેડૂતો સાથે બેઠક યોજી ચોમાસા દરમિયાન અતિભારે વરસાદમાં સર્જાયેલ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ કૃષિ મંત્રીએ મંડેર ગામ ખાતે પણ ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી. અતિ ભારે પડેલ વરસાદના કારણે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં સર્જાયેલ પરિસ્થિતિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અને ખેડૂતોને થયેલ જમીનનું ધોવાણ પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી પૂરી કરી ચૂકવવામાં આવે તેની ખાતરી આપી હતી. ખેડૂતો સાથેના સંવાદ દરમિયાન રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિમાં પાણી ભરાયા હોવાના કારણે ખેડૂતોને મદદ કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે તેવું આયોજન કરાયું છે. પોરબંદરના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ અતિ ભારે પડેલ વરસાદના કારણે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ઘેડ પંથકમાં પ્રતિવર્ષે સર્જાતી ચોમાસા દરમિયાનની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થાય તેવું આયોજન કરવા સૂચના આપી છે. વિવિઘ વિભાગ દ્રારા તેનું સંકલન થઈ રહ્યું છે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ એવું જણાવ્યું હતું કે ઘેડ પંથકમાં દર વર્ષે સર્જાતી ચોમાસા દરમિયાન પાણીની સમસ્યાના કાયમી ઉકેલ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે, મુખ્યમંત્રી પણ ઘેડ પંથકની સ્થિતિને લઈને સતત ચિંતિત છે. રાષ્ટ્રીય કક્ષાની એજન્સી સમગ્ર ઘેડ પંથકનો અભ્યાસ કરે છે, અને ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીનો ઝડપથી નિકાલ થાય તથા શિયાળુ ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે વધુમાં વધુ પાણીનો સંગ્રહ ઘેડ પંથકમાં થાય તેવું આયોજન કરાશે.
- Advertisement -