શિક્ષિત હોવાનો દાવો કરતી પાર્ટી ગુનેગારોના સમર્થનમાં કેમ?
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
ગાંધી અને સુદામાની નગરી તરીકે ઓળખાતું પોરબંદર હંમેશા શાંતિ અને નૈતિકતાનું આગ્રહી રહ્યું છે, પરંતુ હાલના રાજકીય માહોલમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જે પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેનાથી શહેરભરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. પોરબંદરમાં સ્થાનિક ચૂંટણી લડતા એક ઉમેદવારની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, જે વ્યક્તિ પર લોકોના પરસેવાની કમાણી અને પાલિકાના વેરાના નાણાં ચાવ કરી જવાનો આક્ષેપ છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના નામે અસ્તિત્વમાં આવી હતી, તે જ પાર્ટી આજે એક કૌભાંડીને બચાવવા માટે રસ્તા પર ઉતરી આવી છે. ચૂંટણી સમયે જનતા સમક્ષ પોતાનો એજન્ડા અને વિકાસના કાર્યો રજૂ કરવાને બદલે, આમ આદમી પાર્ટી ગુનેગારોને રક્ષણ આપવાનું કાર્ય કરી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. શું આ પાર્ટી પોરબંદરમાં ગુનેગારોને આશરો આપવા માંગે છે? મીડિયા સમક્ષ આવીને ગુનેગારોના સમર્થનમાં નિવેદનો આપવા તે શું સાબિત કરે છે? આ પ્રશ્ન આજે દરેક પોરબંદરવાસીના મનમાં ઉઠી રહ્યો છે.
લોકશાહીમાં રાજકીય પક્ષોની જવાબદારી હોય છે કે તેઓ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને મેદાને ઉતારે, પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગે છે. જો આજે આ પાર્ટી વેરાના નાણાં ઉચાપત કરનાર વ્યક્તિને બચાવવા દોડી જતી હોય, તો આવતીકાલે જો કોઈ બળાત્કાર કે અન્ય કોઈ જઘન્ય ગુનાનો આરોપી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેશે, તો શું પાર્ટી તેને પણ આ જ રીતે રક્ષણ આપશે? આ એક અત્યંત ગંભીર સવાલ છે જે પોરબંદરની સુરક્ષા અને શાંતિ સાથે જોડાયેલો છે. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અને કૌભાંડીને ટિકિટ આપી હોવાનું જાહેર કરવાને બદલે, ’આપ’ ના કહેવાતા શિક્ષિત અને બુદ્ધિશાળી નેતાઓ જે રીતે ગુનેગારોની ઢાલ બનીને ઉભા છે, તે તેમની બૌદ્ધિક નાદારી પ્રદર્શિત કરે છે. પોરબંદરની જનતા કાયમી શાંતિ ઈચ્છે છે અને આવા અસામાજિક તત્વોને રાજકીય પ્રોત્સાહન મળે તે કોઈ પણ કાળે સહન કરી શકાય તેમ નથી. કૌભાંડ ગમે તેટલું મોટું હોય કે નાનું, સત્ય ક્યારેય છુપાતું નથી, તેમ છતાં આમ આદમી પાર્ટી જે હદે ગુનેગારોના પક્ષમાં ઉતરી આવી છે તેનાથી પોરબંદરવાસીઓની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.
પાર્ટીના હોદ્દેદારોએ એ સમજવાની જરૂર છે કે રાજકારણમાં નૈતિકતાનું પણ કોઈ સ્થાન હોય છે. જનતા બધું જ જોઈ રહી છે અને યોગ્ય સમયે તેનો જવાબ પણ આપશે. ત્યારે બીજી બાજુ આ પાર્ટી કૌભાંડીઓના બચાવમાં બાઈટો આપી રહી છે. શું પોરબંદરની જનતાએ આવી પાર્ટી પાસે ગુનેગારોને રક્ષણ આપવાની આશા રાખવી જોઈએ? જો કોઈપણ ગુનેગાર માત્ર પક્ષનો ખેસ પહેરી લેવાથી ’પવિત્ર’ થઈ જતો હોય, તો આ શહેરની કાયદો અને વ્યવસ્થાનું શું થશે? પોરબંદરના જાગૃત નાગરિકો હવે જાગૃત થયા છે અને તેઓ આવા તત્વોને ઓળખી ગયા છે. આમ આદમી પાર્ટીએ જનતાની માફી માંગવી જોઈએ અને સાબિત કરવું જોઈએ કે તેઓ ખરેખર ભ્રષ્ટાચાર વિરોધી છે, અન્યથા ઇતિહાસ સાક્ષી છે કે જે પક્ષે ગુનેગારોને પોષ્યા છે, જનતાએ તેને હંમેશા નકાર્યો છે.
આજે પોરબંદરનો દરેક નાગરિક પૂછી રહ્યો છે – આખરે આમ આદમી પાર્ટી સાબિત શું કરવા માંગે છે? શું સત્તા મેળવવા માટે ગુનેગારોનો સાથ આપવો એ જ તેમનો અસલી ચહેરો છે? આ કૃત્ય કોઈ પણ સંજોગોમાં યોગ્ય કહી શકાય નહીં અને તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે.



