ખાસ-ખબર ન્યૂઝ ન્યુયોર્ક, તા.6
જો તમે ગેરકાયદેસર અમેરિકા જવાની ફિરાકમાં હોવ તો ચેતી જજો. કારણ કે અમેરિકામાં બાઇડન સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સંકટ સાથે જોડાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે પરવાનગી વિના અમેરિકા જનારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે આશ્રય મેળવવાનું સરળ રહેશે નહીં. એક અહેવાલ મુજબ 2012થી 2022 વચ્ચે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશનારા ભારતીયોની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે. ત્યારે આ મુદ્દો ભારતીયોને પણ ખાસ કરીને અસર કરશે. અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન દેશમાં શરણાર્થી સંકટ એક મોટો મુદ્દો બની ગયો છે. વિપક્ષી નેતા ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને વિશ્ર્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક સુધીના લોકો ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના મુદ્દે બાઇડન સરકારને ઘેરી રહ્યા છે. લોકોમાં પણ ગેરકાયદેસર શરણાર્થીઓના મુદ્દાને લઈને ભારે નારાજગી છે.
- Advertisement -
આ આદેશમાં એવી જોગવાઈ છે કે જો દક્ષિણ સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે દેશમાં આવતા શરણાર્થીઓની સંખ્યા ખૂબ વધી જાય તો તેમની અરજીઓ તરત જ નકારી શકાય છે. ટીકાકારો માને છે કે બાઇડન સરકારના આ નવા પ્રસ્તાવમાં નાના શરણાર્થીઓને અપવાદમાં રાખવાથી તેમની સંખ્યામાં ભારે વધારો થશે. જો કે, રાષ્ટ્રપતિ બાઇડને આ નવી દરખાસ્તને માનવતાવાદી વિચારણાઓથી પ્રેરિત ગણાવી છે. ઓર્ડરની જાહેરાત કરતા તેમણે કહ્યું કે તે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચેના કેટલાક અઠવાડિયાની વાટાઘાટોનું પરિણામ છે. આ તેમની જીત છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ હતા જેમણે બાઇડનને આ નિર્ણય લેવા દબાણ કર્યું હતું. આ આરોપો પર બાઇડને કહ્યું કે ટ્રમ્પ ક્યારેય ગેરકાયદેસર શરણાર્થીઓનો મુદ્દો ઉકેલવા માંગતા ન હતા, તેઓ આ મુદ્દાનો ઉપયોગ સરકાર પર હુમલો કરવા માટે કરી રહ્યા હતા.