PM મોદી ભાવનગરમાં: રોડ શૉ બાદ ભાવેણાને સંબોધન
મોદીએ ‘આત્મનિર્ભર ભારત’ પર ભાર મૂક્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશના વડાપ્રધાન મોદી આજે ભાવનગરની મુલાકાત લીધી હતી. તેમણે આ દરમિયાન રોડ શો પણ યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવેણાવાસીઓને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ ભાવનગરથી લોથલ જવા રવાના થયા હતા. ભાવનગરમાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી. અહીં આયોજિત ‘સમુદ્ર સે સમુદ્ધિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત થવા માટે ભારતનું આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે. તેમણે ‘ચીપ હોય કે શીપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે’ નો નારો આપ્યો અને કહ્યું કે આ જ વિચાર સાથે આજે ભારત મેરિટાઇમ સેક્ટરમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરવા જઈ રહ્યું છે. તેમણે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે હવે સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા આપી દીધી છે, જે દેશના મેરિટાઇમ સેક્ટરને મજબૂતી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતને જો 2047 સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્યા છે. મેરીટાઇમ સેક્ટરમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્ટરમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.
નવરાત્રિ પહેલાં GSTમાં ઘટાડાથી બજારોમાં રોનક વધશે
વડાપ્રધાને ભાવનગરના લોકોને સંબોધતા કહ્યું કે તેઓ એવા સમયે અહીં આવ્યા છે જ્યારે નવરાત્રિનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ વખતે જીએસટીમાં ઘટાડાને કારણે બજારોમાં વધુ રોનક જોવા મળશે અને આ ઉત્સવના માહોલમાં આપણે ‘સમુદ્રથી સમૃદ્ધિનો મહા-ઉત્સવ’ મનાવી રહ્યા છીએ.