ભારતના અજબગજબ મંદિરની રસપ્રદ વાત
સાદું પાણી મૂર્તિ સ્વીકારતી નથી, બ્રિટિશકાળથી લઇને આજ સુધી અનેક સંશોધનો થયા પણ આ મંદિરનું રહસ્ય કોઈ ઉકેલી શક્યું નથી
- Advertisement -
ભારત રહસ્યો અને અજાયબીઓનો દેશ છે, જ્યાં વિજ્ઞાન પણ ઘણીવાર નતમસ્તક થઈ જાય છે. આવો જ એક અદભૂત ચમત્કાર આંધ્રપ્રદેશના વિજયવાડા અને ગુંટુરની વચ્ચે આવેલા મંગલગિરી પર્વત પર જોવા મળે છે. અહીં બિરાજમાન ભગવાન પનકલા નરસિમ્હા સ્વામી વિશે એવી માન્યતા છે કે, તેઓ આજે પણ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતું ગોળનું પાણી (પાનાકમ) પીવે છે. મંદિરના પૂજારીઓ જ્યારે પથ્થરની બનેલી મૂર્તિના મુખમાં ગોળનું પાણી રેડે છે, ત્યારે પાણી ગટગટાવવાનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે. સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, ભગવાન અડધું પાણી પી જાય છે અને જ્યારે તેમનું પેટ ભરાઈ જાય છે ત્યારે બાકીનું અડધું પાણી આપોઆપ મુખમાંથી બહાર આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર જ્વાળામુખીની ટેકરી પર સ્થિત છે, પરંતુ આજ સુધી ત્યાં કોઈ જ્વાળામુખી ફાટ્યો નથી.
બ્રિટિશ કાળથી લઈને આધુનિક સમય સુધીના અનેક ભૂસ્તરશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોએ આ ઘટના પાછળનું રહસ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પર્વત કોઈ પોલાણ ધરાવતો નથી એટલે કે અંદર કોઈ એવી જગ્યા નથી જ્યાં આટલું બધું પાણી જઈ શકે. વધુમાં જો સાદું પાણી ચઢાવવામાં આવે તો મૂર્તિ તેને સ્વીકારતી નથી, માત્ર ગોળનું પાણી જ ગાયબ થઈ જાય છે. આશ્ર્ચર્યની વાત એ પણ છે કે આટલા બધા ગળ્યા પાણીના પ્રસાદ છતાં મંદિરમાં એક પણ કીડી જોવા મળતી નથી. અહીં ગર્ભગૃહમાં રહેલી મૂર્તિ બધુ મીઠું પાણી પી લે છે, અને કોઈને ખબર નથી કે પ્રસાદ તરીકે વપરાતું પાણી ક્યાં જાય છે. એવું કહેવાય છે કે મૂર્તિના મોંમાં ગોળનું પાણી રેડવામાં આવે છે, જેનાથી ગર્જનાનો અવાજ આવે છે, જાણે કોઈ પાણી ગળી રહ્યું હોય.
દક્ષિણ ભારતને આધ્યાત્મિકતાની ભૂમિ માનવામાં આવે છે, જ્યાં ભગવાન શિવ, વિષ્ણુ અને ભગવાન નરસિંહને સમર્પિત અસંખ્ય મંદિરો છે. આંધ્રપ્રદેશના વિજયવાડા અને ગુંટુરની વચ્ચે આવેલા મંગલગિરી પર્વત પરના ભગવાન નરસિમ્હાને સમર્પિત પનકલા નરસિમ્હા સ્વામી મંદિર ઘણા રહસ્યો ધરાવે છે. આ મંદિરમાં ભગવાન નરસિંહની એક મોટી પથ્થરની પ્રતિમા છે, જે મીઠા પાણીને પ્રસાદ તરીકે પીવે છે. આ સિવાય મંદિરની બીજી ખાસ વાત એ છે કે અહીં ભગવાન નરસિંહની પ્રતિમાનું મુખ ધાતુનું બનેલું છે. શંખનો ઉપયોગ કરીને મીઠા પાણી મોંમાં ચઢાવવામાં આવે છે. મોંમાં પાણી રેડ્યા પછી થોડું પાણી પણ વહે છે જે ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આમ છતાં અહીં ન તો મૂર્તિ પર મીઠા પાણીના નિશાન છે, ન તો પથ્થરમાં પાણી શોષવાની ક્ષમતા છે તો પછી આ ચમત્કાર થાય છે કઈ રીતે? વૈજ્ઞાનિકો આ રહસ્યને ઉજાગર કરવા માટે મંદિરની મુલાકાત પણ લઈ ચૂક્યા છે, પરંતુ આજ સુધી કોઈ આ રહસ્યને ઉજાગર કરી શક્યું નથી.
ત્રણ મંદિરોનો સમન્વય
મંગલગિરી પર્વત પર ભગવાન નરસિમ્હાના ત્રણ અલગ-અલગ સ્વરૂપોના મંદિરો છે:
- Advertisement -
1. પનકલા નરસિમ્હા સ્વામી: પર્વતની મધ્યમાં, જ્યાં ભગવાન પાનાકમ પીવે છે.
2. લક્ષ્મી નરસિમ્હા સ્વામી: પર્વતની તળેટીમાં, જે વિજયનગર સામ્રાજ્યના સમયનું ભવ્ય મંદિર છે.
3. ગંડાલા નરસિમ્હા સ્વામી: પર્વતની ટોચ પર, જ્યાં ભક્તો ઘીના દીવા પ્રગટાવે છે.
મંદિરનું પૌરાણિક મહત્વ
શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં ’નમુચી’ નામના રાક્ષસનો વધ કરવા માટે નરસિમ્હા અવતાર ધારણ કર્યો હતો. ભક્તોનું માનવું છે કે ભગવાનનો ક્રોધ શાંત કરવા માટે તેમને ગોળનું પાણી અર્પણ કરવામાં આવે છે, જે ભક્તોના અહંકાર અને ક્રોધને પણ શાંત કરવાનું પ્રતીક છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ આસ્થા અને અગમ્ય રહસ્યનું એક અનોખું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં આજે પણ હજારો ભક્તો ભગવાનને પ્રત્યક્ષ પ્રસાદ ગ્રહણ કરતા જોવા ઉમટી પડે છે.



