કોઈ એક ગુરુ પોતાના શિષ્યોને તાલીમના ભાગ રૂપે ધ્યાન શીખવી રહ્યા હતા. જંગલમાં આવેલા આ આશ્રમમાં ઉંદરોનો બહુ જ ત્રાસ હતો. આથી જ્યારે શિષ્યો ધ્યાનમાં બેસે ત્યારે ઉંદરો દોડાદોડી કરે, અને એના કારણે કોઈ શિષ્યો ધ્યાનમાં એકાગ્ર થઈ શકતા ન હતાં.
ગુરુએ આ સમસ્યા દૂર કરવાનો એક સુંદર ઉપાય શોધી કાઢ્યો. આશ્રમમાં એક બિલાડી પાળવામાં આવી. જ્યારે બધાં શિષ્યો ધ્યાનમાં બેસે ત્યારે આ બિલાડીને ગુરુની બાજુમાં એક ઊંચા આસન પર બેસાડવામાં આવે. બિલાડીના ડરને કારણે એક પણ ઉંદર ત્યાં ફરકે નહીં. શિષ્યો હવે બહુ જ સારી રીતે ધ્યાનવિધિમાં જોડાઈ શકતા અને ધ્યાનનો આનંદ કોઈપણ જાતના વિઘ્નો વગર લઈ શકતા.
વર્ષો પસાર થયા. જંગલમાં હતો તે આશ્રમ હવે તો શહેરના મધ્યભાગમાં આવી ગયો હતો. ઘાસની ઝૂંપડીને બદલે એરકંડિશન હોલ હતાં. હવે તો એવી સુવિધા હતી કે ઉંદર તો શું એક નાનું મચ્છર પણ અંદર પ્રવેશ ન મેળવી શકે.
પેલા મૂળ ગુરુનો પુનર્જન્મ થયો અને એ પોતાના આ જ વૈભવી આશ્રમમાં ધ્યાન માટે આવી ચડ્યા. ધ્યાન માટે આવેલા તમામ લોકોની સાથે આ ગુરુ પણ હોલમાં દાખલ થયા. બધાંને પોતાનું સ્થાન લેવાનું કહેવામાં આવ્યું. થોડીવારમાં વર્તમાન ગુરુ આવીને પોતાના આસન પર બેઠા અને એની બાજુમાં એક બીજું આસન બનાવેલું હતું તેના પર બિલાડીને બેસાડવામાં આવી. જૂના ગુરુને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ અને એ તો ખડખડાટ હસવા લાગ્યા, અરે ! ભલા મેં આશ્રમમાં બિલાડીને ઉંદર ભગાડવા માટે બેસાડી હતી પણ હવે આવા આધુનિક હોલમાં એની શું જરૂર ? આજુબાજુના લોકોને થયું કે આ તો કોઈ ગાંડો માણસ છે એટલે એમને હોલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.
બહાર બીજા કેટલાક લોકો આંટા મારતા હતાં એમને આ ગુરુએ પૂછ્યું, ધ્યાન હોલમાં બિલાડી કેમ રાખવામાં આવે છે? પેલા લોકોએ કહ્યું, અરે ! તમે અમારી સાથે લાઇબ્રેરીમાં ચાલો. આ ગુરુને ત્યાં લાઇબ્રેરીમાં બિલાડીના સાન્નિધ્યથી ધ્યાનમાં થતા ફાયદાઓ વિષેના ઢગલાબંધ પુસ્તકો વાંચવા આપ્યા. એક માણસે આવીને તો કહ્યું, ભાઈ, હું તો આ વિષય પર પીએચ. ડી. કરું છું. બિલાડીની હાજરીની આપણા ચેતાતંત્ર પર સીધી જ અસર થાય છે, અને સરળતાથી ધ્યાન કરી શકાય છે.
આપણે પણ આવી જ મૂર્ખામીઓ કરતા હોઈએ છીએ. આપણા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા ઋષિઓએ કે વડવાઓએ જે કંઈ પરંપરાઓ શરૂ કરી, તે એ સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને કરી હશે. આજે સમય બદલાતા એ પરંપરાની હવે કોઈ જ જરૂર ન હોય છતાં આપણે મૂરખાઓની જેમ એ પરંપરાને અનુસરીએ છીએ. પરંપરા બનાવનારો પુનર્જન્મ લઈને આ ધરતી પર આવે તો એ પણ હસી હસીને બેવડ વળી જાય.
પરિવર્તન સિવાય બીજું
કંઈ જ કાયમી નથી
– હેરાક્લિટસ



