ઓરેવા કંપનીના ડાયરેકટર જયસુખ પટેલને સખત આજીવન કેદની સજાની પણ માંગ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરાયું છે.
ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ડીજીપી અને અમદાવાદ કમિશનરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત તા. 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ દુર્ઘટના બની હતી જેમાં મૃત્યુ પામેલા પૈકી 122 મૃતકોના પરિવારજનો એસોસિએશન સાથે જોડાયેલા છે કરુણ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય મળશે અને આ માનવસર્જિત દુર્ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે તેવી હૈયા ધારણા પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પરિવારોને આપવામાં આવી હતી.
ગત તાં 09-10-2023 ના રોજ સરકાર દ્વારા રચેલી સીટનો રિપોર્ટ હાઇકોર્ટમાં મુકાયો હતો જેમા દુર્ઘટના માટે ઓરેવા કંપની, તેના ડાયરેકટર અને કર્મચારીઓ જ સંપૂર્ણ જવાબદાર દર્શાવવામાં આવ્યા છે જેથી આરોપીઓ સામેનો કેસ સ્પીડ ટ્રાયલમાં ચલાવવામાં આવે અને સખ્ત આજીવન કેદની સજા આપવામાં આવે ત્યારે જ અકાળે અવસાન પામેલા સ્વજનોના આત્માની શાંતિ મળશે.
દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે તા.30ના રોજ પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રદ્ધાંજલિ યાત્રા સવારે 6 કલાકે ગાંધી આશ્રમ અમદાવાદ થી શરૂ થશે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના 200 જેટલા પરિવારજનો જોડાશે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જે તા.30 સુધી ચાલશે તો દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૂર્તકોની તસ્વીર સાથેના બેનરો મોરબીમાં ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે.
એક તરફ જયસુખ પટેલ માટે પાટીદાર આગેવાનો મેદાને પડ્યા છે તો હવે મૃતકોના પરિવારજનો ઓરેવા કંપનીના ડિરેકટરને સખ્ત આજીવન કેદની સજાની માંગ કરી રહયા છે.