આરટીઓ ઇન્સ્પેક્ટરોના વિરોધ સામે વાહનવ્યવહાર કમિશનર ઝૂક્યા
આરટીઓ ઇન્સ્પેક્ટરો વ્યાપક વિરોધ કરી હડતાલ સુધીની ચીમકી ઉચ્ચારી, ભ્રષ્ટાચાર રોકવા આપેલા કેમેરા હવે સ્ટોર રૂમમાં મુકાયા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આરટીઓમાં ભ્રષ્ટાચારને નાથવા માટે વાહનવ્યવહાર વિભાગે વાહન ફિટનેશ, ચેકિંગ, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને ડીએની કામગીરી માટે સમગ્ર રાજ્યમાં મે-2023થી 350 આરટીઓ ઇન્સ્પેક્ટરોને બોડી વોર્ન કેમેરા આપ્યા હતા. ઇન્સ્પેકટર ડયુટી દરમિયાન શરીર પર લગાવીને રાખવાના હતાં, પરંતુ બોડીવોર્ન કેમેરાને સાચવાથી લઈ તેની અદલીબદલીની કામગીરીથી ત્રાસી ગયેલા આરટીઓ ઇન્સ્પેક્ટરો વ્યાપક વિરોધ કરી હડતાલ સુધીની ચીમકી ઉચ્ચારી હતી. જેની સામે વાહનવ્યવહાર કમિશનર ઝુકી ગયા હતાં અને બોડીવોર્ન કેમેરા લગાવાનો અમલ ગત સપ્ટેમ્બર-2023થી પડતો મૂક્યો હતો. ભ્રષ્ટાચાર રોકવા આપેલા કેમેરા હવે સ્ટોર રૂમમાં મુકાયા છે. વાહનવ્યવહાર વિભાગે કંઈ પણ વિચાર્યા વગર નિર્ણય કરી લાખોનો ધુમાડો કર્યો હોવા છતાં સરકાર તરફથી કોઇ પગલાં ભરાયાં નથી.
વાહનવ્યવહાર વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદની ત્રણેય આરટીઓ-એઆરટીઓ કચેરીના ઇનસ્પેકટરોને આપેલા 25 બોડીવોર્ન કેમેરા આપ્યા હતાં. જેમાં સફળતા મળ્યા પછી જ રાજ્યની 37 આરટીઓ કચેરીમાં 350 ઇન્સ્પેકટરોને બોડીવોર્ન કેમેરા અપાયા હતાં. પરંતુ કેમેરા આપ્યા બાદ વિરોધનો વંટોળ ઉભો થયો હતો. ગત મેથી ઓગસ્ટ-2023 સુધી કેમેરાનો અમલ થયો હતો. આ પછી ચાર મહિનામાં બોર્ડી વોર્ન કેમેરાનું બાળમરણ થઈ ગયું હતું.
કુદરતી હાજતે જવા માટે પણ ખુલાસા કરવા પડતા
આરટીઓ ઈન્સ્પેક્ટરોના જણાવ્યા અનુસાર, કુદરતી હાજતે જવા માટે પણ ખુલાસા કરવા પડતા હતા. નોકરી પૂરી થયા પછી કેમેરા ઓફિસમાં જમા કરાવવા સહિતના નિયમોથી ઇન્સ્પેકટરો કંટાળી ગયા હતાં. આઠ કલાકની ડયૂટી પૂરી થયા પછી કેમેરો ઓફિસમાં જમા કરવાનો અને ડયૂટીમાં હાજર થનારે કચેરીમાંથી કેમેરો મેળવવાની પ્રક્રિયા ઘણી કઠિન હતી. કેમેરા અદલાબદલી કરવાની પ્રક્રિયા ચેકિંગ પોઇન્ટે જ થાય તે માટે કમિશનરને રજૂઆત પણ કરી હતી, પરંતુ કમિશનરે માત્ર ચેકિંગ દરમિયાન થતાં હુમલાઓ સામે રક્ષણ મળે તે હેતુથી કેમેરા અપાયા હોવાની વાત કરી હતી. જવાબમાં ઇન્સ્પેકટરો પર વોચ રાખવાનું સાધન હોવાના આક્ષેપ કરીને અમલ પડતો મૂકવા ઇન્સ્પેકટર એસોસીએશને કમિશનર કચેરી સમક્ષ રજૂઆત કરી હતી.