CM રૂપાણીએ ઘડેલાં સખ્ત કાયદાનો ભરપૂર ફાયદો પીડિતોને મળી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં આ કાનૂનનાં અમલમાં રાજકોટ અગ્રેસર : ફટાફટ થતો અરજીઓનો નિકાલ
સત્તાધિશોનાં હાથમાં અમાપ શક્તિઓ હોય છે. આવું જ પોલીસ ડિપાર્ટમેન્ટ અને બ્યુરોક્રસી માટે કહી શકાય. આ ત્રણેયનું જ્યારે સકારાત્મક સંયોજન સધાય ત્યારે ચોંકાવનારા હકારાત્મક પરિણામો મળે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘડેલા એન્ટી- લેન્ડ ગ્રેબિંગ કાયદા બાબતે આવું જ થયું છે. રાજકોટમાં આ કાયદો એટલી હદે અસરકારક સાબિત થઈ રહ્યો છે કે, જમીન માફિયાઓમાં અત્યારે હાહાકાર છે. આ સખ્ત અને અતિઉપયોગી કાનૂનનાં અમલમાં રાજકોટ શહેરની પોલીસ રાજ્યભરમાં અગ્રેસર છે, પ્રથમ સ્થાન પર છે. રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગનાં નવા કાનૂન હેઠળ જેટલાં કેસ નોંધાયા તેટલાં અન્ય કોઈ જ શહેરમાં નોંધાયા નથી. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં આ નવા કાયદા હેઠળ 13 કેસ નોંધાઈ ચૂક્યા છે.
લેન્ડ ગ્રેબિંગના આ નવા કાનૂન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જેટલાં ધન્યવાદ આપીએ તેટલાં ઓછાં છે. લેન્ડ ગ્રેબિંગ વિરૂદ્ધનો નવો કાનૂન તેમણે નિહાળેલી વ્યથાકથાઓમાંથી જ જન્મ્યો છે. અને આવા અસરકારક કાયદાનો રાજકોટ પોલીસે જે પ્રકારે સદુપયોગ કર્યો છે- એ પણ કાબિલે દાદ છે. લેન્ડ ગ્રેબિંગનાં નવા કાનૂન હેઠળ રાજકોટ કલેકટર પાસે કુલ 124 અરજીઓ આવી છે, જેમાંથી 114ની તપાસ થઈ ચૂકી છે, 13 અરજીમાં ગુના નોંધાયા છે અને 9 હજુ તપાસ હેઠળ છે. લેન્ડ ગ્રેબિંગના કાયદાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે, તેમાં બધું જ નિયત સમયમર્યાદામાં કરવાનું હોય છે. અરજદાર એક વખત કલેકટરને અરજી સોંપે પછી બધી જ કામગીરી બુલેટ ટ્રેનની ગતિથી દોડવા લાગે છે. સિવિલ કોર્ટમાં વર્ષો સુધીનાં અને દસકાઓ લગીનાં ધક્કા બચી જાય છે. રાજકોટ આમ તો જમીન સંબંધી ગુનાઓનું રાષ્ટ્રીય પાટનગર ગણાય છે. અહીં લગભગ દરેક શેરી દીઠ એકાદ જમીન કૌભાંડકાર મળી આવે છે. તેવામાં લેન્ડ ગ્રેબિંગ સામેનો આ કાનૂન અત્યંત અસરકારક પુરવાર થઈ રહ્યો છે.
- Advertisement -
શહેરોની માફિયાગીરી રોકવા માટે ઉત્તમ કાયદો: CP મનોજ અગ્રવાલ


આ કાયદો ઘડવા માટે સરકારને અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા છે. આ કાયદાને લીધે સંગઠીત અને અસંગઠીત ગુનાઓ પર કાબૂ મેળવવામાં ખૂબ સફળતા મળી રહી છે. મજબૂર લોકો, અનેક સિનિયર સિટિઝનોનાં આંસુ લૂછી શકાય છે. મજબૂત કાયદાનાં અભાવમાં આવા અનેક વિવશ લોકો વર્ષોથી પોતાની મિલકતો ગૂમાવી ચૂક્યાં હતાં, એ બધાંને હવે ન્યાય મળી રહ્યો છે. શહેરી વિસ્તારો માટે તો આ કાયદો આશીર્વાદરૂપ છે. જમીન સંબંધી ગુનાઓમાંથી જ શહેરોમાં માફિયાગીરીનો જન્મ થતો હોય છે. આવા કાયદા થકી માફિયાઓને ઉગતા જ ડામી શકાય છે. વળી, અમે એવો અભિગમ રાખ્યો છે કે, માત્ર જમીન કૌભાંડકારને જ નહીં, તેને આ ગુનામાં સહાય કરનારાઓને પણ છોડતાં નથી. પછી એ નોટરી હોય કે કોઈ દલાલ હોય કે પછી વકીલ. મજાની વાત એ છે કે, આ કાયદામાં તમામ કામગીરી સમયમર્યાદામાં રહીને કરવાની હોય છે. તેથી લોકોને ઝડપથી ન્યાય મળી રહે છે. આ કાયદો આવ્યા પછી ઘણાં પીડિત લોકો આગળ આવીને અરજી કરી રહ્યાં છે. હમણાં અમારી પાસે એક કેસ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનાં પિતાજીને મૃત દર્શાવી, તેમની ડુપ્લિકેટ સહી સાથે દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યો હતો! વાસ્તવમાં તેમનાં પિતાજી જીવિત છે! આવા તો અનેક કિસ્સામાં લોકોને આ કાયદા થકી ન્યાય મળી રહ્યો છે. – મનોજ અગ્રવાલ (પોલીસ કમિશનર, રાજકોટ)
કાનૂનનાં ખૌફથી આરોપીઓ સામે ચાલીને પીડિતો સાથે સમાધાન કરવા લાગ્યા

આ કડક કાયદાનાં ખૌફથી લોકો અંદરોઅંદર સમાધાન કરવા માંડ્યા: DCP જાડેજા
લેન્ડ ગ્રેબિંગ વિરૂદ્ધનાં કાયદાનાં ઘણાં ફાયદા છે. પરંતુ એક મોટો ફાયદો એ પણ છે કે, આ કાયદાનાં ડરથી દોષિત વ્યક્તિ સામે ચાલીને ફરિયાદી સાથે સમાધાન કરવા ટેબલ પર આવી જાય છે. અમે અનેક કિસ્સામાં આવું જોયું. બીજો ફાયદો એ છે કે, લોકોએ વર્ષો સુધી ન્યાય માટે સિવિલ કોર્ટના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. સિવિલ કોર્ટમાં મેટર ચાલુ હોય તો પણ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અરજી કરી શકાય છે.
– મનોહરસિંહજી જાડેજા,
DCP -ઝોન-2, રાજકોટ.
- Advertisement -
આકરી સજા

લેન્ડ ગ્રેબિંગની અરજી થયા પછી જો જમીન પચાવી પાડનાર એ પરત કરી દે તો સમાધાન થઈ જાય છે. પણ નફફટાઈ કરે તો આકરી સજાની જોગવાઈ છે. ગુનો સાબિત થયે તેમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટનો હુકમ થયે પ્રોપર્ટી પરત કરવી પડે છે ઉપરાંત મિલકત જેટલો સમય ઉપયોગ કરી હોય તેનો હાલની જંત્રી મુજબ દંડ પણ ભરવો પડે છે.
કાલાવડ રોડ પર દુકાન પચાવનારને મળ્યો સબક
પટેલ વૃઘ્ધ દંપતિની કાલાવડ રોડ પર આવેલી સોનાની લગડી સમાન દુકાન પર બાર વર્ષથી કબ્જો જમાવી દુકાન પચાવી પાડનાર નવા થોરાળાના રાજુ સોલંકીની ધરપકડ કરાઇ હતી. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ચંદ્રપાર્કમાં રહેતા અને નિવૃત જીવન જીવતા હેમલતાબેન અરજણભાઈ બોરડ (પટેલ) (ઉ.વ.62)એ નાનામવામાં રવિ ટાવર નામની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પોતાની દુકાન રાજેશ્વર ઉર્ફે રાજુ મનુ સોલંકી (રહે. વિજયનગર સોસાયટી શેરી નં.10/8ના ખૂણે, નવા થોરાળા)ને 2008માં ભાડેથી આપી હતી. જેમનું ભાડું પણ આરોપી ચૂકવતો ન હોય જેથી હેમલતાબેને આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે કલેકટરને અરજી આપી હતી. જેમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
NRIને મળ્યો ન્યાય : શિક્ષિકા વિરૂદ્ધ કેસ
રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી ગુલમહોર રેસિડેન્સી બ્લોક નંબર અ-17ના મકાન માલિક અને હાલ લંડન રહેતા નયનાબેન વિનોદભાઇ શાહે 2014માં મનીષભાઇ ગોહેલ અને શિક્ષિકા પત્ની શોભનાબેન ગોહેલને ભાડે આપ્યું હતું. બાદમાં છેલ્લા કેટલાક સમયથી ભાડું ન આપી મકાન પચાવી પાડવાના ઇરાદે ખાલી ન કરી ગુનો કરતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મકાન માલિકના જીજાજીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. જેના આધારે યુનિવર્સિટી પોલીસે મકાન ભાડે રાખનાર મનીષ ગોહેલ અને તેની પત્ની શોભના ગોહેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
- કેવી રીતે કરશો લેન્ડ ગ્રેબિંગ વિરૂદ્ધ અરજી?
- સૌ પ્રથમ એ જાણી લેવું જરૂરી છે કે, આ કાયદાનાં નામમાં માત્ર ‘લેન્ડ’ આવે છે. પરંતુ જમીન ઉપરાંત મકાન, દુકાન, ગોડાઉન જેવી મિલકતો કોઈએ પચાવી પાડી હોય તો એ કિસ્સામાં પણ આ કાયદા હેઠળ ફરિયાદ થઈ શકે છે.
- જો તમારી મિલકત કોઈએ પચાવી પાડી હોય તો કલેકટર ઓફિસમાં બે હજાર રૂપિયાનું ચલણ અને અરજીનાં ત્રણ સેટ આપવાનાં રહે છે.
- આ ત્રણ સેટમાંથી એક અરજી કલેકટર પોતાની પાસે રાખે છે, એક SDMને મોકલે છે અને એક પોલીસ કમિશનર થકી જે-તે વિસ્તારનાં અઈઙને પહોંચે છે.
- CPM અને ACPએ 14 દિવસની અંદર તપાસ કરીને તેનો રિપોર્ટ કમિટિને સોંપવાનો હોય છે. આ કમિટિમાં કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જઉખ, ઉઈઙ વગેરે હોય છે. તેઓ નિર્ણય લે છે કે, જે-તે કિસ્સામાં ફરિયાદ નોંધવી કે નહીં.
- જો ફરિયાદ દાખલ કરવા લાયક કેસ લાગે તો માત્ર સાત દિવસમાં ACPએ ફરિયાદ દાખલ કરવાની રહે છે અને ફરિયાદ દાખલ થયાનાં ત્રીસ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવી પડે છે. આમ, આ કાયદામાં બધી જ કામગીરી નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. તેથી કાયદાની અસરકારકતા વધી જાય છે.
- લેન્ડ ગ્રેબિંગ કાયદાની પ્રક્રિયા અંગે ACP પ્રમોદ દિયોરાની ‘ખાસ-ખબર’ સાથે વાતચિત
- વૃદ્ધની ફરિયાદ, ત્રણ શખ્સો સામે કાર્યવાહી
- મવડી પ્લોટ મેઈન રોડ માયાણી નગરમાં રહેતા મહેશભાઈ મોહનભાઈ હાપલિયા (ઉ.વ.60) નામના વૃદ્ધે પોતાની સાથે જમીન કૌભાંડ આચરી છેતરપીંડી કરનાર પડધરીના ખજૂરડી ગામે રહેતા મનસુખ વશરામભાઈ વેકરીયા, રાજકોટના પાણીના ઘોડા પાસે રણછોડનગરમાં રહેતા લાલજી ખીમજીભાઈ વેકરીયા, તેમના પત્ની લક્ષ્મીબેન લાલજીભાઈ વેકરીયા અને તપાસમાં ખુલે તેના નામ આપ્યા છે. આ ગુન્હો આચરવા જમીનના દસ્તાવેજ મોચી બજાર કોર્ટ ખાતે કર્યા હોય માટે એ ડિવિઝનમાં પોલીસ અરજી કરતા પોલીસે તપાસ કર્યા બાદ ગુન્હો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
- મિલન મકવાણાના કરતૂત આવ્યા સામે
મોટામવામાં બોગસ દસ્તાવેજ કરી પ્લોટ વેંચી મારવાના કૌભાંડમાં 6 સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ભેજાબાજ મિલન મકવાણાએ વકીલથી લઈ રજીસ્ટાર કચેરી સુધીમાં સેટીંગ કરી મોટામવામાં આવેલ પ્લોટ રાજીબેન મકવાણાને બોગસ દસ્તાવેજ કરી 35 લાખ રૂપિયામાં વેચી દેતાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. રાજકોટના મોટામવા રેવન્યુ સર્વે નં. 65વાળી જમીનના પ્લોટ નં. 45ની ચોરસ મીટર 240.80 આશરે 288 વારનો પ્લોટ મૃતક ભુરાભાઈ ભાણજીભાઈ બાણગોરીયાનો છે. આ ગુનામાં આરોપીની મદદ કરનાર સહિત કુલ 6 લોકો સામે કેસ નોંધાયો છે.


