દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાંના વેચાણ માટે સાત પ્લોટમાં 28 સ્ટોલની જાહેર હરાજી
સ્પીડવેલ પાસેના પ્લોટની બોલી 12 લાખ સાથે સૌથી ઊંચી રહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના વેચાણ માટેના પ્લોટની જાહેર હરાજીમાં આ વર્ષે તમામ પૂર્વ નોંધણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના પરિણામે મહાનગરપાલિકાને પ્રથમ વખત વિક્રમી રૂ. 44,32,000 ની જંગી આવક પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ફટાકડાના સ્ટોલની હરાજીમાંથી મનપાને ક્યારેય આટલી આવક થઈ નથી. આ વર્ષે સાત પ્લોટમાં કુલ 28 સ્ટોલની હરાજી કરવામાં આવી હતી, જ્યારે ગત વર્ષે 8 પ્લોટ અને 30 સ્ટોલ હોવા છતાં મનપાને કુલ આવક માત્ર રૂ. 5,62,000 થઈ હતી. આ રીતે, ઓછી સંખ્યામાં પ્લોટ અને સ્ટોલ હોવા છતાં, મહાનગરપાલિકાની આવકમાં નવ ગણો જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. આ હરાજીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સ્વર્ણભૂમિ નજીક આવેલો પ્લોટ રહ્યો હતો. આ પ્લોટમાં પાંચ સ્ટોલ માટેની બોલી એટલી ઊંચી બોલાઈ કે મનપાને માત્ર આ એક જ સ્થળ પરથી દસ દિવસ માટે રૂ. 12,87,000ની આવક થવા છે. મનપા દ્વારા ફટાકડાનાં સ્ટોલ માટે 10 દિવસ પ્લોટ ભાડે અપાય છે. ત્યારે દૈનિક ગણતરી મુજબ, આ પ્લોટનો ભાવ પ્રતિ દિવસ રૂ. 1,28,700 ઉપજ્યો છે, જે ખરેખર અભૂતપૂર્વ છે.
મનપા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તેમના હસ્તકના પ્લોટને ફટાકડા બજાર માટે ભાડે આપવામાં આવે છે.
આ વખતે મહાનગરપાલિકાએ સ્ટોલના ગાળાનું કદ 15સ30 ફૂટ નક્કી કર્યું હતું. હરાજીની પ્રક્રિયામાં કુલ 83 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના પ્લોટની સફળતા બાદ અન્ય પ્લોટની હરાજીની વિગતો પણ નોંધપાત્ર રહી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલા અન્ય પ્લોટમાં પણ વેપારીઓએ ભારે રસ દાખવ્યો હતો.
છેલ્લા વર્ષની હરાજીના આંકડા આ વર્ષના આંકડાની સામે ઘણા સામાન્ય દેખાય છે. ગત વર્ષે કુલ 8 પ્લોટમાં 34 સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 21 સ્ટોલની જ હરાજી થઈ હતી અને તેમાં કુલ આવક માત્ર રૂ. 5,62,000 થઈ હતી.
ગતવર્ષે ગંગોત્રી પાર્ક પાસે આવેલા મનપાના પ્લોટનો પણ હરાજીમાં સમાવેશ કરાયો હતો, પરંતુ તે 7 સ્ટોલમાંથી માત્ર 1 જ સ્ટોલની બોલી બોલાઈ હતી, જેના કારણે આ વર્ષે તે પ્લોટને હરાજીમાંથી રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે, તેનાથી વિપરીત, 7 પ્લોટમાં રાખવામાં આવેલા તમામ 28 સ્ટોલની સફળતાપૂર્વક હરાજી થઈ હતી. ગત વર્ષે હરાજીમાં સૌથી ઓછી બોલી રૂ. 1,100 અને સૌથી વધુ બોલી રૂ. 6,800 બોલાઈ હતી, અને 14 સ્ટોલ ખાલી રહ્યા હતા. જ્યારે આ વર્ષે 28 સ્ટોલની હરાજીમાં સૌથી ઓછી બોલી રૂ. 3,600 અને સૌથી વધુ બોલી પ્રતિ દિવસ રૂ. 30,500 ની બોલાઈ હતી
ગયા વર્ષની સરખામણીએ
ઓછી સંખ્યામાં પણ ઊંચી બોલી
પ્રમુખસ્વામી ઓડિટોરિયમ પાસેના પ્લોટમાં 4 સ્ટોલના 10 દિવસના ₹ રૂ. 1,59,000 ઉપજ્યા.
સાધુ વાસવાણી માર્ગ પર શાક માર્કેટ પાસેના પ્લોટમાં 1 સ્ટોલના 10 દિવસનાં રૂ. 80,000 ની આવક નોંધાઈ.
સાધુ વાસવાણી માર્ગ પર રાજ પેલેસ પાસેના પ્લોટમાં 8 સ્ટોલના 10 દિવસ માટે બોલી રૂ. 11,44,000 બોલાઈ હતી.
અમીન માર્ગ પરના ખૂણાના પ્લોટમાં 5 સ્ટોલ માટે 10 દિવસના રૂ. 9,67,000ની આવક થઈ.
નાના મવા સર્કલમાં આવેલા પ્લોટમાં 4 સ્ટોલના 10 દિવસના રૂ. 7,23,000ની બોલી લગાવાઈ.
ધરતી હોન્ડા સામે રાજનગર મુખ્ય માર્ગ પરના પ્લોટમાં 1 સ્ટોલના 10 દિવસ માટે રૂ. 72,000 ની આવક થઈ.
કુલ 7 પ્લોટની હરાજીમાંથી મનપાને રૂ. 44,32,000ની વિક્રમી આવક પ્રાપ્ત થઈ છે, જે મનપાના ઇતિહાસમાં એક મહત્વનો બનાવ છે.
વધારાની જગ્યા માટે વેપારીઓની માંગણી રદ
ઉલ્લેખનીય છે કે, આ વિક્રમી હરાજી પૂર્ણ થયા બાદ, ફટાકડાના કેટલાંક વેપારીઓએ મનપાની સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને મળીને રજૂઆત કરી હતી. વેપારીઓએ દલીલ કરી હતી કે સ્ટોલ માટે ખૂબ ઊંચી બોલી બોલાઈ હોવાથી તેમને વધારાની જગ્યા વિનામૂલ્યે (મફતમાં) આપવામાં આવે. જોકે, ચેરમેન જયમીન ઠાકર વેપારીઓની આ માંગણીને સ્વીકારી નહોતી. અને નિયમાનુસાર, વેપારીઓને સ્પષ્ટ કર્યું હતું કે વધારાની જગ્યા મેળવવા માટે તેમણે નિયત કરેલી રકમ ભરવી પડશે.



