નિયત કરેલા સ્થળ સિવાય અન્ય સ્થળ પર તાજીયા નહીં મુકી શકાય: પરમિટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નીકળવા પર મનાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં 29 જુલાઇએ ઉજવાતા તાજીયા મહોર્રમના તહેવાર દરમ્યાન ટ્રાફીક નિયમન તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા છે. બેઠક સહિત નવ ફુટ કરતા વધારે ઉંચાઇના તાજીયા બનાવી, વેચી કે જાહેર માર્ગ ઉપર પરિવહન કરી નહીં શકાય. નિયત કરેલ સ્થળ સિવાય અન્ય સ્થળ પર તાજીયા નહીં મુકી શકાય. જે સ્થળે તાજીયા બનાવવાની તથા વેચાણની કામગીરી થતી હોય તે સ્થળની આજુબાજુ તથા નજીકમાં કોઇ પણ પ્રકારની ગંદકી કે કોઇ પણ પ્રકારના તાજીયા રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય, તે રીતે કે કોઇ પણ તાજીયાઓને બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય.
- Advertisement -
આ ઉપરાંત, કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇપણ પ્રકારના ચિન્હો કે નિશાનીવાળા તાજીયાઓ બનાવવા, ખરીદવા તથા વેચાણ કરવા ઉપર તેમજ ધાર્મિક લાગણી દુભાય એવા કોઇપણ પ્રકારના વર્તન કરવા પર પ્રતિબંધ છે. પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નીકળવા પર મનાઈ રહેશે. રાત્રીના 10 કલાકથી સવારના 06 કલાક સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. આ આદેશ રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. 28/07/2023ના રાત્રે 12 કલાકથી તા. 31/07/2023ના સવારે 06 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહોર્રમ નિમિત્તે 7 રસ્તાઓ પર વાહનોની અવર-જવર અને પાર્કિંગને પ્રતિબંધિત કરતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ
આગામી મહોર્રમના તહેવારને અનુલક્ષીને રાજકોટ શહેરમાં તાજિયા સરળતાથી પસાર થઇ શકે તે હેતુથી કમિશનર રાજુ ભાર્ગવે શહેરના વિવિધ રસ્તાઓ તા.28/07/ર3ના સાંજે 8.00 વાગ્યાથી તા.29/07/23ના સવારે 5/00 સુધી તથા તા.29/07/23ના બપોરે 12/00 થી રાત્રિના 12 સુધી નીચે મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે અને પાર્કીંગ માટે (સાઈકલ સહિત) પ્રતિબંધિત જાહેર કર્યા છે. આ અનુસાર (1) સોરઠીયા-વે બ્રીજથી જિલ્લા ગાર્ડન ચોક- રામનાથ પરા રોડથી રામનાથપરા ગરબી ચોક, કોઠારીયાનાકા પોલીસ ચોકી સુધી (2) કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ થઈ ગુંદાવાડી પોલીસ ચોકથી કેનાલ રોડ જિલ્લા ગાર્ડન ચોક સુધી (3) સોની બજાર રોડ કોઠારીયા પોલીસ ચોકીથી દરબારગઢ સુધી (4) ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી (5) ભુપેન્દ્રરોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્ર રોડ કોર્નર સુધી (6) ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઈનના ઝાપા સુધી તથા (7) કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટીટાંકી ચોક, લીમડા ચોક, એસ.બી.આઈ. ચોક, જયુબિલી ચોક, હરીહર ચોક, સદર ચોકી, સદર બજારથી ફુલછાબ ચોક સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે તેમજ સદર બજારમાં જરૂરિયાત મુજબ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.