પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી દ્વારા સરકારી જમીનમાંથી દબાણો દૂર કરવા આપેલી કડક સૂચનાના પગલે પ્રાંત અધિકારી સંદિપસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ઓડદર ગામે રંગબાઈ માતાજીના મંદિર સામે આવેલા પોરબંદર-સોમનાથ નેશનલ હાઇવેની પૂર્વ બાજુએ વર્ષોથી ચાલી રહેલા દબાણ મામલે તંત્રએ આખરે કડક કાર્યવાહીની દિશામાં પગલાં લીધાં છે. રેવન્યુ સર્વે નં. 2056ની સરકારી પડતર જમીનમાં થયેલા દબાણો મામલે કે જે મારૂ મામલતદાર પોરબંદર (ગ્રામ્ય) દ્વારા કલમ 61 હેઠળ કેસ દાખલ કરીને 24 દબાણદારોને રૂબરૂ સાંભળી સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો હતો કે, દબાણો જાતે હટાવજો. પરંતુ, નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર ન થતા તંત્રએ કલમ 202 હેઠળ નોટિસ આપી 15 દિવસનો વધુ સમય આપ્યો. ત્યારબાદ પણ દબાણ યથાવત રહેલા જોવા મળતાં તંત્રએ છેલ્લા ત્રણ દિવસથી ભારે પોલીસે બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 7, 8 અને 9 મેના રોજ, બે ઉંઈઇ મશીનો સાથે ચાલેલી કામગીરીમાં અંદાજે 152000 ચોરસ મીટર જેટલી જમીન દબાણ મુક્ત બનાવાઈ છે, જ્યારે આખું દબાણ વિસ્તાર 175880 ચોરસ મીટર જેટલું છે. તંત્રના અંદાજ મુજબ, મુક્ત કરાયેલ જમીનની બજાર કિંમત અંદાજે 40 કરોડ રૂપિયા જેટલી થાય છે. રહેણાંક મકાન સિવાયના બાકી રહેલા દબાણ – આશરે 18000 ચોરસ મીટર – આવતી સોમવારે હટાવાશે. સ્થળ પરથી મળતી વિગતો મુજબ, કેટલીક ઠેકાણે દબાણદારો દ્વારા વિવાદ કરવાનો પ્રયાસ થયો હતો, પણ પોલીસની સાથે રહેલા અધિકારીઓએ શાંતિથી કામગીરી પૂર્ણ કરી.