માણાવદરમાં બનતા જાહેર અકસ્માતો અટકાવવા રોડ પર થરમો પ્લાસ્ટર તથા સાઇનબોર્ડ મૂકવા માગણી
જૂનાગઢ રેન્જના આઇજીપી મનીંદર પ્રતાપસિંગ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેઠી તેમજ કેશોદ ડીવાયએસપી જે.બી.ગઢવી સાહેબની સુચનાથી માણાવદરમાં છાસવારે બનતા બનતા રોડ અકસ્માત અટકાવવા અહીના પોલીસ વડા પી.વી.ધોકડીયા સાહેબે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ માણાવદર ને અગમચેતી રૂપે જયા વધારે અકસ્માતો સર્જાઈ રહયા છે તેવા સ્થળો પર થરમો પ્લાસ્ટર તથા સાઇનબોર્ડ મૂકવા લેખિત રજૂઆત કરી છે.
માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર અન્વયે સુલતાનાબાદ થી માણાવદર અને માણાવદર થી ગળવાવ ( જૂનાગઢ હાઇવે) ફાટક સુધીના ધોરી માર્ગ ઉપર આવા અકસ્માતો વધારે થઇ રહ્યા છે. સને 2011 થી આજ દિવસ સુધી માં બનેલા બનાવોમાં બાંટવા થી સુલતાનાબાદ વચ્ચે 28 રોડ અકસ્માત થયા છે જેમાં દશ વ્યક્તિએ જીવ ખોયા છે. તથા ગળવાવ ફાટક થી ભાલેચડા સુધીના હાઇવે ઉપર 31 અકસ્માતો થયા છે. અને દશ જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોઇ જેથી આવા અકસ્માતો અટકાવવા સાવચેતી રૂપે રોડ ઉપર થરમો પ્લાસ્ટર, સાઇનબોર્ડ તથા રિફલેકટર લગાડવા માં આવે તો ધણી માનવ જીંદગી ને બચાવી શકાય તેમ છે.
માણાવદર પીએસઆઇ ધોકડીયા ની આવી સરાહનીય ઇચ્છા શક્તિ અને વિચાર ને જિલ્લા માર્ગ મકાન વિભાગ – માણાવદર તાકીદથી અમલમાં મૂકે એ ઇચ્છનીય છે.
- જીજ્ઞેશ પટેલ માણાવદર