ગોબરધન યોજના : ગ્રામીણ ગુજરાતનું ‘ગ્રીન’ ફ્યુચર
એક પ્લાન્ટથી વર્ષે 8થી 10 LPG સિલિન્ડરની બચત થઇ રહી છે
- Advertisement -
સ્વચ્છ ઊર્જા માટે ગુજરાતનો મોટો નિર્ણય : રૂ. 30 હજારના પ્લાન્ટમાં રૂ. 25 હજારની સહાય
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત અમલમાં રહેલી ગોબરધન યોજના ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, સ્વચ્છ ઊર્જા અને ખેડૂતો-પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકારે વર્ષ 2026-27 દરમિયાન રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 88 ક્લસ્ટરોમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જેના કારણે ગ્રામ્ય જીવનશૈલીમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 23,731 કરોડના ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ ‘GOBARdhan’ને મંજૂરી આપ્યા બાદ ગુજરાતમાં પણ આ યોજનાના વિસ્તરણને વધુ ગતિ મળી છે. રાજ્ય સરકારનું માનવું છે કે આ યોજના ગ્રામ્ય ગુજરાત માટે ગ્રીન ફ્યુચરનો મજબૂત આધાર બનશે.
ગુજરાત સરકારે ગોબરધન યોજનાના અસરકારક અમલીકરણ માટે ક્લસ્ટર આધારિત મોડલ અપનાવ્યું છે. પ્રથમ તબક્કામાં 38 ક્લસ્ટરોમાં NDDB, અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી નોડલ એજન્સીઓ મારફતે 7,423 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં રાજ્ય સરકારના 100 ટકા નાણાકીય ફાળા હેઠળ 50 ક્લસ્ટરોમાં 10 હજાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. GCMMF અને જિલ્લા દૂધ સંઘોના સંકલનથી અત્યાર સુધીમાં લગભગ 7 હજાર પ્લાન્ટ એટલે કે 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આમ, બંને તબક્કામાં કુલ 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે.
- Advertisement -
યોજના હેઠળ 2 ઘનમીટર ક્ષમતાવાળા ફ્લેક્સી પ્રકારના આધુનિક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા HDPE મટીરીયલથી બનેલા આ પ્લાન્ટ સરળતાથી સ્થાપી શકાય છે અને તેની જાળવણીનો ખર્ચ પણ ખૂબ ઓછો રહે છે. લાભાર્થીને બાયોગેસ કીટ સાથે બાયોડાયજેસ્ટર, જિયો ટેક્સટાઇલ શીટ, ગેસ પાઇપ, H₂S ફિલ્ટર, બે બર્નર ગેસ સ્ટવ, પ્રેશર રેગ્યુલેટર વાલ્વ અને લાઇટર સહિતની સંપૂર્ણ સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે લાભાર્થીને રૂ. 25 હજારની સબસિડી આપવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ માત્ર રૂ. 5 હજારનું યોગદાન આપવાનું રહે છે.
યુનિસેફના સર્વે અનુસાર 2 ઘનમીટર ક્ષમતાવાળો એક બાયોગેસ પ્લાન્ટ દર વર્ષે અનેક લાભો આપે છે. તેના દ્વારા 8થી 10 એલપીજી સિલિન્ડરની બચત થાય છે. ઉપરાંત 18,250 કિલોગ્રામ પશુજન્ય કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન થાય છે અને 834 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત રસોડામાં ધુમાડો ઓછો થતાં ગ્રામીણ મહિલાઓના આરોગ્યમાં સુધારો થાય છે. બાયોસ્લરી સ્વરૂપે મળતા સેન્દ્રિય ખાતરના ઉપયોગથી રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટે છે અને કુદરતી ખેતીને પણ પ્રોત્સાહન મળે છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામમાં રહેતા મંજુલાબેન દેડાભાઈ બારડના પરિવારે ગોબરધન યોજનાનો લાભ લઈને અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પહેલાં તેમના ઘરે પશુના છાણના સંગ્રહને કારણે ગંદકી, દુર્ગંધ અને માખી-મચ્છરોની સમસ્યા રહેતી હતી. વર્ષ 2025-26માં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ સરકારના સહયોગથી તેમના ઘરે ગોબરધન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. GCMMF અને જૂનાગઢની સાવજ ડેરીના સહયોગથી ઉભા કરાયેલા આ પ્લાન્ટની જાળવણી મંજુલાબેન પોતે કરે છે. હવે તેઓ પશુના છાણમાંથી મળતા બાયોગેસનો રસોઈ માટે ઉપયોગ કરે છે અને પ્લાન્ટમાંથી મળતી બાયોસ્લરીને સેન્દ્રિય ખાતર તરીકે ખેતીમાં વાપરે છે, જેના કારણે યુરિયા ખાતરનો ખર્ચ ઘટ્યો છે. તેમની આ પહેલ ગામના અન્ય પશુપાલકોમાં પણ સ્વચ્છતા અને “વેસ્ટ ટુ વેલ્થ”ના અભિગમ અંગે જાગૃતિ ફેલાવી રહી છે.




