‘આવો રે આવો મહાવીર નામ લઈએ..’
તા. 13 અને 14 દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જાહેર કરતા જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી
ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવેલી જૈન વિઝનની ટીમ
21મી સદીમાં જૈન દર્શન અને ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી અંતર્ગત ‘કસુંબીનો રંગ’ ડાયરાનું આયોજન
24માં તીર્થંકર ત્રિશલાનંદન ભગવાન મહાવીરસ્વામી જન્મ કલ્યાણક મહોત્સવને ઉજવવા માટે રાજકોટના જૈન-જૈનેતરો થનગની રહ્યા છે ત્યારે વિવિધ ક્ષેત્રે એક દાયકા જેટલા સમયથી કાર્યરત સેવાભાવી સંસ્થા જૈન વિઝન આ વખતે ભારે ભક્તિભાવ પૂર્વક અને ભાવિ રીતે આ જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહી છે.કોરોનાકાળમાં બે વર્ષ સુધી આ પ્રકારના કોઈ ધર્મોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી પરંતુ આ વખતે બેવડા ઉત્સાહથી આ ધાર્મિક મહોત્સવ ઉજવવામાં આવનાર છે.
શ્રમણ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અવસરે સતત નવમા વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃતિના આયોજનની હારમાળની વિગત આપતા જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યુ છે કે, અત્યારે દેશ આઝાદીનું 75મુ વર્ષ ઉજવી રહ્યો છે અને આઝાદી કા અમૃત મહોત્સવને અપાર સફળતા મળી છે ત્યારે જૈન વિઝન સંસ્થા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવને આ અમૃત મહોત્સવ સાથે સાંકળીને વિશિષ્ટ ઉજવણી કરવા જઇ રહી છે. આ વખતની ઉજવણીની થીમ આઝાદી પર્વ ઉપર આધારિત હશે. આ પ્રકારની ઉજવણીથી આ ધર્મોત્સવ દેશભક્તિના રંગે રંગાશે અને જૈન સમાજ પણ તેમાં ભળી જઇને ઉજવણી કરશે.
- Advertisement -
મિલન કોઠારીએ જણાવ્યુ છે કે, જૈન વિઝન સંસ્થા તેની સ્થાપનાના નવમા વર્ષમાં પ્રવેશી છે અને આગામી 2023ના વર્ષ સુધી દશાબ્દિ વર્ષ ઉજવવાની છે ત્યારે આ આખું વર્ષ સેવા કાર્યો યોજાય તેવું બેનમૂન આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમો માટે ગુરૂ ભગવંતોના આશીર્વાદ મળી રહ્યા છે.
આગામી તા. 13 એપ્રિલે રાત્રે 8-30થી ’ આવો રે આવો મહાવીર નામ લઈએ ’ ભક્તિમય લોકપ્રિય કાર્યક્ર્મ નવા રંગરૂપ સાથે અને નવા ઉત્સાહ સાથે બાલભવનના પટાંગણમાં ઉજવવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં સરાઉન્ડિંગ સાઉન્ડ સિસ્ટમ, અદ્ભુત લાઇટિંગ અને મંચ સજ્જા કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા રાષ્ટ્રગીતની રજૂઆત રહેશે. મિલન કોઠારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, 1947માં જેમનો જન્મ થયો હોય તેવા વ્યક્તિથી લઈને અત્યારે 2022 ની સાલમાં જન્મેલા રાજકોટના 75 વિવિધ ક્ષેત્રના આગેવાનો આપણું રાષ્ટ્રગીત ગાતા હશે અને તેનું વિડીયો પ્રેઝન્ટેશન થશે. આ કાર્યક્મમાં આ 75 લોકોને સન્માન પત્ર પણ આપવામાં આવનાર છે. 1947થી લઈને અત્યારે 2022 એમ 75 વર્ષ દરમિયાન દર વર્ષે જન્મેલી વ્યક્તિને આ કાર્યક્ર્મમાં સામેલ કરવી એક ભગીરથ કાર્ય હતું અને જૈન વિઝન સંસ્થાએ અલગ જ કોન્સેપ્ટથી આ કામ પાર પાડ્યું છે. આ પ્રકારનો કાર્યક્ર્મ ગુજરાતમાં પહેલી વાર થઈ રહ્યો છે તેવો દાવો પણ મિલન કોઠારીએ કર્યો છે.
આ તમામ કાર્યક્રમોનો ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા જૈન સમજલા લોકો લાભ લઈ શકે તે માટે સોશિયલ મીડિયા મારફત લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.
- Advertisement -
આ પાવન અવસરે તા. 14 એપ્રિલે બાલભવનમા જ રાત્રે 8-30 વાગ્યાથી આઝાદીકા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ વર્ષ અંતર્ગત કસુંબીનો રંગ- લોકડાયરો યોજાશે. આ ડાયરામાં ગુજરાતનાં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, બિહારીદાન હેમુભાઈ ગઢવી અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત, સંશોધિત, સંપાદિત ગીતો-લોકગીતો અને ભજનો રજૂ કરશે.
જૈન વિઝનના દશાબ્દિ વર્ષ નિમિત્તે અનાજ વિતરણ, જોબ ફેર સહિતના અનેકવિધ સેવા કાર્યોની જાહેરાત
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રગીતની વિશેષ રજૂઆત
આ દિવસો દરમિયાન જૈન વિઝન સંસ્થા દ્વારા અન્ય કેટલાક કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવ્યા છે. મિલન કોઠારીના જણાવ્યા અનુસાર, મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા માટે વિવિધ સેવાકીય પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે અને તા. 13 અને 14 દરમિયાન તેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા,પિકનિક, જુદી જુદી સામાજિક સંસ્થાઓમાં કેરીનાં રસનું વિતરણ, સાધર્મિક સહાય કિટનું વિતરણ, ઠંડા પાણીના માટલાં વિતરણ, રક્તદાન કેમ્પ, બહેનો માટે કૂકિંગ સ્પર્ધા વગેરેનો સમાવેશ થાય છે. મહાવીર સ્વામી જન્મકલ્યાણક નિમિત્તે જૈન વિઝન સંસ્થા દ્વારા પંચવર્ષીય અનાજ વિતરણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય મેડીકલ ક્ષેત્રે પણ લોકોને રાહત મળી રહે તે માટે લાભદાયી યોજના ઘડવામાં આવી રહી છે. મિલન કોઠારીના જણાવ્યા અનુસાર, કોરોના કાળમાં ઘણા લોકોની નોકરી ગઈ છે ત્યારે આવા સંજોગોમાં જૈન સમાજ માટે હેમુ ગઢવી હોલમાં જોબ ફેર પણ યોજવામાં આવનાર છે.
જૈન વિઝનના દશાબ્દિ વર્ષમાં આખું વર્ષ એક એક થી ચડિયાતા અને રાજકોટમાં ક્યારેય ન યોજાયા હોય તેવા કાર્યક્રમો આપવામાં આવશે. સંસ્થાએ કોરોના કાળમાં પણ અનેક લોકોને સહાય પૂરી પાડી હતી.જૈન વિઝન પાસે રાત દિવસ જોયા વગર કામ કરે તેવી કાર્યકરોની ટીમ છે અને આ ટીમને સમયાંતરે પૂર્વ મુખ્યમંત્રી અને જૈન અગ્રણી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મળતું રહે છે. આ કાર્યક્રમોને અકિલા પરિવારના સ્વ. નરેંદ્રભાઈ પારેખ ’ મામા ’ ના આશીર્વાદ પણ મળતા રહે છે. જૈન વિઝન સંસ્થા અને આવો રે આવો મહાવીર નામ લઈએ કાર્યક્ર્મની શરૂઆત જ સ્વ. નરેન્દ્રભાઈ પારેખના વિચારબિજથી થઈ હતી.આ આયોજનોને સફળ બનાવવા માટે મિલનભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ જયેશભાઇ શાહ, હેમલ મહેતા, દિપક કોઠારી, ડીકે મિતુલ વસા, ધીરેનભાઈ ભરવાડા, હિતેષ મણિયાર, નીતિન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.



