ભગવાન શિવની મૂર્તિ ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી રવાના
શુક્રવારે સવારે સાત વાગ્યાથી કેદારનાથ ધામના કપાટ છ મહિના બાદ ખોલવામાં આવ્યા છે. શિયાળાની ઠંડીને કારણે દર્શન બંધ રાખવામાં આવે છે. તે સમયે ભગવાન શિવની મૂર્તિને ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં રાખવામાં આવે છે, જે આજરોજ કેદારનાથ મંદિરમાં પરત લાવવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ આ ઘડીનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. તેમણે કહ્યું, ‘શ્રી કેદારનાથ ધામને ભવ્યતાથી શણગારવામાં અને તૈયાર કરવામાં આવ્યું છે. શુક્રવારે સવારે, શુભ મુહૂર્તમાં યોગ્ય વિધિ અને દ્વાર ખુલવાની સાથે, ભક્તો દેવાધિશદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. મારા માટે એ ખૂબ જ ભાગ્યની ક્ષણ છે કે હું શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવાના સમયે પણ હાજર છું.’
- Advertisement -
54 વિવિધ પ્રકારના કુલ 130 ક્વિન્ટલ ફૂલોનો શણગારમાં સમાવેશ
કપાટ ખુલવાની સાથે જ ભક્તજનોમાં શિવનાદ ગુંજ્યો હતો અને સૌ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. 150 થી પણ વધુ સેવકર્મીઓએ પોતાનું સૌભાગ્ય માની, રાત-દિવસ જાત અર્પણ કરી મંદિરની સજાવટમાં યોગદાન આપ્યું હતું. ઘણાની તો પહોંચ્યા પહેલા તબિયત પણ લથડી ગઈ હતી પરંતુ તેઓ ભક્તિભાવના સહારે મંદિરની મુલાકાત લઈ આનંદ માણ્યો હતો. મંદિરના શણગારમાં 54 વિવિધ પ્રકારના કુલ 130 ક્વિન્ટલ ફૂલોનો સમાવેશ થયો છે. બધા ફૂલો દેશના અલગ-અલગ ગામ અને શહેરો જેમકે કોલકત્તાના એક ગામમાંથી ખાસ પ્રકારના ગલગોટા, અન્ય ફૂલો દિલ્લી, કાશ્મીર,પૂણે,પટણાથી અને અન્ય દેશો- શ્રીલંકા, નેપાળ, થાઈલેન્ડથી પણ લાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીની હાજરી અને ગઢવાલ રાઈફલ્સ બેન્ડનું ભક્તિમય સંગીત
- Advertisement -
આજરોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, ભારતીય સેનાના ગઢવાલ રાઈફલ્સ બેન્ડએ ભક્તિગીતો વગાડ્યા હતા, જેથી વાતાવરણ વધુ પવિત્ર બન્યું હતું. આ વખતથી મંદિરના કિનારે મંદાકિની અને સરસ્વતીના સંગમ પર ભવ્ય આરતી થશે. જેની આગોતરી તૈયારીઓ કરવામાં આવેલ છે. વધુમાં વધુ લોકો સારી રીતે આ આરતીનો લાભ લઈ શકે તે માટે નદીઓના સંગમ પર સગવડતા માટે ત્રણેય તરફથી રેલિંગ બનાવવામાં આવી છે. વધુમાં મંદિરની નજીક સ્થિત આદિ શંકરાચાર્યની પ્રતિમાને પણ ફૂલોથી સજ્જ કરવામાં આવશે.