ગોંડલ રોડ ઉપર જૈન ચાલમાં દરરોજ સમય સવારે 9થી 12.30 બપોર દરમિયાન રકતદાતાઓને ઉમટી પડવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતી જૈન વિઝન સંસ્થા દ્વારા હાલની યુદ્ધ જેવી પરિસ્થતિને ધ્યાનમાં રાખીને એક પણ બ્લડ બેન્કમાં રક્તની ખેંચ ન પડે તે માટે સોમવારથી રોજેરોજ રક્તદાન કેમ્પ યોજવાનો નિર્ણય લીધો છે. જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીના જણાવ્યા અનુસાર, તા. 12ને સોમવારથી ગોંડલ રોડ ઉપર જૈન ચાલ ખાતે સવારે 9 થી બપોરે 12.30 દરમિયાન આ રક્તદાન કેમ્પ યોજાશે. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દિલ્હી અને ગુજરાત (ૠજઈઇઝ)ના સૂચનને સ્વીકારી જૈન વિઝન દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ખાસ કરીને યુવાધન રક્તદાન કરે અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરે તેવી અપીલ કરવામાં આવી છે. જૈન વિઝન દ્વારા વિશ્વની સૌથી મોટી મહામારી કોરોના સમયે પણ મોટા પાયે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેમાં પણ મોટી સંખ્યામાં જૈન-જૈનેતરોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન હિતેશ દેસાઈ, નીલ મહેતા અને ધવલ મહેતા ઉપરાંત વિનય જસાણી, પ્રતિક શાહ, કેતન સંઘવી, દીપક પારેખ, મોનીલ શાહ, પ્રશાંત ચોકસી, મયુર મહેતા, હેતલ કોઠારી, કિસન મહેતા, નિશાત દેસાઈ, દીપેન મહેતા અને યશ દોશી વગેરેએ કહ્યું છે કે, રક્તનું એક એક બુંદ એક એક વ્યક્તિને જીવતદાન આપી શકે છે. તો અત્યારના સંજોગોમાં ક્યારેય રક્તની ખેંચ ન પડે તે માટે આ કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડે તે જરૂરી છે. વધુ વિગત માટે 9409256552 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.