રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
બીજા કાઉન્ટર પર જવાનું કહેતા થોડીવાર રહો હમણાં આવું કહી ધોકા સાથે મચાવી ધમાલ
- Advertisement -
13 કોમ્પ્યુટર, 5 સીસીટીવી, પ્રિન્ટર, ટીવીમાં તોડફોડ કરી 3.25 લાખનું નુકશાન : 6 સામે ગુનો
રાજકોટના રૈયા ગામમાં આવેલ સવન સીમ્ફની એપાર્ટમેન્ટમાં રહેતા અને રૈય રોડ હનુમાન મઢી ચોક પાસે દેવપુષ્પ મેડિકલ સ્ટોર્સ નામે ભાગીદારીમાં વેપાર કરતા પ્રણવભાઈ ધીરજલાલ ઉનડકટ ઉ.47એ તેની દુકાનમાં ધસી આવી તોડફોડ કરી આતંક મચાવનાર કુખ્યાત સાજીદ કચરાવાલા અને તેની સાથેના પાંચ જેટલા અજાણ્યા શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રીના હું તથા મારા પાર્ટનર પ્રજ્ઞેશભાઈ જેન્તીભાઈ સૂચક દ્રારકા દર્શન કરીને પરત રાજકોટ આવતા હતા દરમિયાન પોણા દસેક વાગ્યે જામનગર ખાતે પહોંચતા મને કર્મચારી રાજેશભાઈ સૂચકનો ફોન આવેલ અને વાત કરેલ કે મેડીકલ ખાતે સાજીદ કચરાવાલા (બિલમા બતાવ્યા મુજબનુ નામ) નામનો એક વ્યકતિ દવા લેવા આવ્યો હતો તે દરમ્યાન બંધ કાઉન્ટર ઉપર એક બહેન ઉભેલા હતા જેથી સ્ટાફમાથી રાજેશભાઈએ આ બહેનને કહેલ કે બીજા કાઉન્ટર ઉપ૨ આવી જાવ જેથી આ સાજીદ કચરાવાલાને એમ થયેલ કે મને કહેલ જેવુ પોતે માનીને સ્ટાફ સાથે બોલાચાલી કરતા સ્ટાફે કહેલ કે તમને કહેલ નથી અને આ બાજુમા ઉભેલા બહેનને બીજા કાઉન્ટર ઉપર દવા લેવા માટે બોલાવેલ છે જેથી આ સાજીદ કચરાવાલા એકદમ ઉશ્કેરાઈને સ્ટાફ સાથે બોલાચાલી કરી કહેલ કે તમે મને ઓળખો છો ? થોડીવાર રહો હું હમણા દશેક મિનીટમા પરત આવુ છું અને તમારુ મેડીકલ બંધ કરાવવુ છે તેમ કહીને તે ત્યાંથી જતા રહેલા અને દશેક મિનીટમા આ સાજીદ કચરાવાલા તથા તેની સાથેના અન્ય પાંચ માણસો મોટરસાઈકલ લઈને હાથમાં ધોકા લઈને આવી મેડીકલમા ઘુસી ધોકાથી તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો હતો આ ટોળકીએ 2.60 લાખના 13 કોમ્પ્યુટર તથા 20 હજારના 5 સીસીટીવી કેમેરા તથા 15 હજારનું એક પ્રિન્ટર તથા 30 હજારવાળું એક ટીવીને ધોકા મારીને તોડી નુકશાન કર્યું હતું અને રાજેશ ભાઈ સૂચકને ડાબા હાથે ધોકા વડે માર માર્યો હતો અને કોઈ સ્ટાફના માણસોના હાથમા ફોન જોવે તો તેને ફોન મુકી દેવાનુ કહેતા અને જો કોઈએ ફોન કરેલ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો આપતા હતા અને મેડીકલના દરવાજાના કાચ તોડવાની કોશિશ કરેલ પણ તુટેલ નહીં તો આ સાજીદ કચરા વાલા તથા તેની સાથેના અન્ય પાંચ વ્યક્તિઓએ દેવ પુષ્પ મેડીકલમા તોડફોડ કરી 3.25 લાખનું નુકશાન કર્યું હોય ફરિયાદ નોંધાવી હતી બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ પી ગઢવી સહિતનો સ્ટાફ તાકીદે દોડી ગયો હતો અને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
નાના મવા આવાસ પાસેથી 2.62 લાખના ગાંજા સાથે ફૂટનો વેપારી ઝડપાયો : રાજકોટમાં એન્ટી નાર્કોટિક્સ વિંગનો પ્રથમ દરોડો : યુપીના સપ્લાયરની શોધખોળ
- Advertisement -
રાજકોટના નાનામવા રોડ પર અર્જુન પાર્ક આવાસ પાસેથી એન્ટિ નાર્કોટિક્સ વિંગની ટીમે દરોડો પાડી રૂ.2.62 લાખના ગાંજા સાથે ફ્રૂટના વેપારીને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં ગાંજાના સપ્લાયર તરીકે બે શખસના નામ ખૂલતા પોલીસે તેની શોધખોળ આદરી છે. રાજકોટ એન્ટિ નાર્કોટિક્સ વિંગના પીઆઇ બી બી જાડેજાની રાહબરીમાં પીએસઆઈ વી વી ધ્રાંગુ અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ ઇંદુભા જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે નાના મવા રોડ પર આવેલ અર્જુન પાર્ક આવાસ યોજનાના ક્વાર્ટર પાસે દરોડો પાડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આંગણવાડી કેન્દ્ર સામેથી શંકાસ્પદ હાલતમાં ઊભેલા ફૂટના વેપારી કૌશર સલીમભાઇ મેતર નામના શખસને ખાતરના કોથળા સાથે ઝડપી લીધો હતો તેની પાસે રહેલા ખાતર ભરેલા કોથળાની તપાસ કરતા કોથળામાંથી
વનસ્પતિજન્ય નશીલો પદાર્થ મળી આવ્યો હતો. એફ.એસ. એલ. અધિકારી કે.એમ. તાવિયા દ્વારા સ્થળ પર પરીક્ષણ કરાતાં તે કેનાબીસના સક્રિય ઘટકો ધરાવતો ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. વેપારીના વજનકાંટાથી માપણી કરાવતાં કોથળામાંથી કુલ 5.241 કિલોગ્રામ ચોખ્ખો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ.2,62,050 આંકવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી રૂ.3 હજારનો મોબાઇલ ફોન મળી કુલ 2,65,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, આ ગાંજાનો જથ્થો તેણે છૂટક વેચાણ માટે રાજકોટના અરવિંદ ઉર્ફે રજનસિંહ તથા ઉત્તરપ્રદેશના અભિષેક કુલદીપ તિવારી પાસેથી મેળવ્યો હતો. આ મામલે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાયર્સને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલના કારખાનેદારના 50 હજાર રોકડા સેરવી લેનાર ચાર શખ્સોની ટોળકીની ધરપકડ : રીક્ષા ગેંગની નવી મોડ્સ ઓપરેન્ડી, કંઈક પડી ગયું છે કહી મુસાફરને નીચે ઉતારી રીક્ષા ભગાડી મૂકી
રાજકોટ જિલ્લાના ગોંડલના કૈલાસ બાગમાં વાંકાનેર ચોકડી ખાતે પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા ભૌતિકભાઈ મુળજીભાઈ ગઢીયા ઉ.27એ 50 હજાર ચોરી લેનાર રીક્ષા ગેંગના ચાર અજાણ્યા શખ્સો સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે પોલીસે રીક્ષા અને 40 હજારની રોકડ સહીત 1.40 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે પકડાયેલ ચાર શખ્સોએ 17 ગુના આચર્યા હોવાની કબૂલાત આપી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 12 જુલાઈએ સાંજે પોતે રોડ ક્રોસ કરીને પરત જતો હતો ત્યારે એક અજાણી રીક્ષા આવેલ અને ઉભી રાખેલ અને મને કહેલ કે ક્યા જવુ છે હુ તમને મુકી જવુ જેથી મે કહેલ કે મારે અહીં પેટ્રોલ પંપ પાસે જ જવુ છે તેમ કહેતા તેણે જણાવેલ કે અમારે પણ રીક્ષા સર્વિસ રોડ પર વાળીને કુવાડવા બાજુ જવુ છે તેવુ જણાવતા હુ રીક્ષામા પાછળની શીટ પર બેસેલ હતો જેમાં બીજા ત્રણ અજાણ્યા માણસો અગાઉથી બેઠા હતા આશરે ૨૦૦ મીટર જેટલુ આગળ જઇને એક માણસે રીક્ષાના ડ્રાઇવરને કહેલ કે આ ભાઇને આગળ લઇ લો શીટમા બેસવામા તકલીફ થાય છે જેથી હુ ડ્રાઇવરની બાજુમા બેઠો હતો રીક્ષાના ડ્રાઇવરે કહેલ કે કોઈનુ કઈ પડી ગયુ હોય તો જોવો પાછળ એક ભાઇ બાઇક ઉભુ રાખીને કોઇ વસ્તુ લે છે તેવુ કહેતા મે મારા ખીસ્સામા જોતા મારા ખીસ્સામા રાખેલ રોકડા 50 હજાર જોવા મળેલ નહી જેથી મે નીચે ઉતરી પાછળ લેવા જતા આ રીક્ષાચાલક તરત જ રિક્ષા લઇને ચાલ્યો ગયેલ જેથી ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર, સી એચ જાદવની રાહબરીમાં પીએસઆઈ એસ એમ રાણાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ચાર શખ્સોને માધાપર બ્રિજ નીચેથી ઝડપી લીધા હતા પોલીસે ભગવતિપરાના રોહિત ઇકુભાઇ કોઈડિયા, વિપુલ વિનોદભાઈ ડોડા, ઘંટેશ્વરના આકાશ દિનેશભાઇ વાણોદિયા અને જંગલેશ્વરના પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકીની ધરપકડ કરી રોકડા 40 હજાર અને 1 લાખની રીક્ષા કબ્જે કરી હતી રોહિત અને આકાશ સામે 4-4, વિપુલ સામે 2 અને પ્રકાશ સામે 5 ગુના નોંધાઈ ચુક્યા છે પકડાયેલી ટોળકીએ અત્યાર સુધીમાં રાજકોટ, મોરબી, સાયલા, ટંકારા, વડોદરા, ચોટીલા પંથકમાં 17 ગુના આચર્યાં હોવાની કબૂલાત આપી છે.
રાજકોટના નવા થોરાળામાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા પરિવારને ગાળો ભાંડી આઠ શખ્સોનો છરી-ઈટથી હુમલો
રાજકોટના નવા થોરાળા મેઈન રોડ પર બાપાસીતારામનગરમાં રહેતા અને મજૂરી કરતા કિરણભાઈ બટુકભાઇ સોલંકી ઉ.40એ કૃણાલ વિક્રમભાઈ રાઠોડ, વિક્રમ લાભુભાઈ, ભુપત લાભુભાઈ, જીગા મનોજભાઈ, નિલેશ વિક્રમભાઈ, અનિકેત ઉર્ફે મુઠી ભુપતભાઇ, ભાવુબેન વિક્રમભાઈ અને રાજ વિક્રમભાઈ સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે અમે ઘરે હતા ત્યારે મારો દિકરો શિવરાજ આવેલ અને અમોને જાણ કરેલ કે અમો ચનાભાઈની હોટેલ પાસે ભંગાર ભાંગતા હતા ત્યારે કૃણાલ પોતાનું બાઈક વધુ સ્પીડમાં ચલાવી નીકળેલ જેથી સરખુ અને ધીમું ચાલાવવાનું કહેતા જેમ તેમ બોલીને જતો રહેલ છે આમ કહેતા મારા પત્ની નીરુબેન તથા મારા માતા કવિબેન બંને આ કુણાલના પિત્તા વિક્રમભાઇ રાઠોડની બેઠક છે તે પાનની દુકાને ગયેલા અને ત્યાં વિક્રમભાઈ તથા ભુપતભાઈને સમજાવેલ કે તમારો દિકરો કુણાલ રોડ ઉપર સ્પીડમાં બાઈક ચલાવીને નીકળે છે જેથી તેને સમાજાવજો આ રીતે વાહન ચલાવે નહિ તેમ કહેતા આ બંને મારા પત્ની સાથે માથાકુટ કરી ઝઘડો કરેલ અને અપશબ્દ બોલેલ જેથી મારા પત્ની તથા માતા અમારા ઘરે પરત આવી ગયા હતા બાદ અમો બધા ફળીયામાં બેઠા હતા ત્યારે રાત્રીના ઉપરોક્ત લોકોએ આવીને જેમ તેમ અપ-શબ્દો બોલવા લાગેલ અને મને પકડી ઢિકાપાટુનો મુંઢ માર મારવા લાગેલ અને વિક્રમ ભાઈ તથા ભુપતભાઇએ મને પકડી રાખેલ આ દરમ્યાન કૃણાલએ મને છરીનો એક ઘા બેઠકના ભાગે મારી દિધેલ જેથી લોહી નીકળવા લાગેલ આ દરમ્યાન મારા પત્ની નીરુબેન તથા માતા કવીબેન તથા મારા ભત્રીજા વહુ જયશ્રીબેન તથા શારદાબેન તથા રાજુભાઈ તથા મારા સગા મોટા બહેન જયશ્રીબેન વગેરે વચ્ચે પડી મને છોડાવતા ભાવુબેનએ મારા સગા મોટાબેન જ્યશ્રીબેનના વાળ પકડી ઢીકાપાટૂનો મુંઢ માર મારેલ તેમજ જિગાભાઇએ ઇટનો ઘા મરેલ હતો બાદ 108 મારફત બંને ભાઈ બહેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
ડિલિવરી વખતે સાસુએ કહ્યું અમારે સંતાન બચી જાય તો ઘણુ માં તો બીજી મળી જશે : પતિએ દારૂ ઢીંચી ઝઘડો કરતા ગર્ભમાં રહેલ બાળક મૃત્યુ પામ્યું
રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર પીજીમાં રહેતા પૂનમબેન હર્ષભાઈ ગોસલીયા ઉ.28એ મનહર પ્લોટ માધવ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ હર્ષ આશિતભાઇ ગોસલીયા, સસરા આશિત વિનયચંદ્ર ગોસલીયા અને સાસુ ઉર્વીબેન સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મેં 2016માં હર્ષ સાથે મેળામાં મુલાકાત થયા બાદ પ્રેમ સંબંધ બંધાતા 2018માં લગ્ન કર્યા હતા હાલ હું મારી 6 વર્ષની દીકરી સાથે અઢી વર્ષની દીકરી સાથે રહુ છું લગ્ન બાદ અમો સંયુક્ત પરિવારમાં સાથે રહેતા હતા લગ્ન બાદ મારા પતિ અવાર નવાર મારી પર શંકા-કુશંકા કરતા અને કહેતા કે તારે કોઈ સાથે અફેર છે અને મારા સાસુ મને ઘરકામ બાબતેથી મ્હેણા-ટોણા મારતા અને કહેતા કે તને કાંઈ ઘરકામ આવડતુ નથી અને મારા સસરા ક્યારેક મારા સાથે બોલા ચાલી કરી મને અપશબ્દો કહેતા મારે પ્રેગનેન્સીના ત્રણેક મહિના થયેલ ત્યારે મારા પતિ દારૂ પીને ઘરે આવેલ ત્યારે બન્ને વચ્ચે ઝઘડો થયેલ અને ઝપાઝપી થતા હું અથડાઈને બેડ પર પડી ગયેલ જેથી પેટમાં મને દુખાવો થતા મે મારા સાસુને કહેલ જેથી બીજા દિવસે મને હોસ્પિટલે લઇ જતા મારી ડોકટરે સોનોગ્રાફી કરેલ અને મને કહેલ કે તમારુ બાળક મરણ ગયેલ છે જેથી મારૂ અબોર્શન થયેલ અને જે વાત મે મારા પતિને કહેલ ત્યારે મારા પતિએ કહેલ કે હવે પછી હુ આવી ભુલ નહી કરૂ ફરી પ્રેગ્નેન્સી રહી હતી છતાં ઘરનું તથા બહારનું બધુ કામ કરાવતા અને હોસ્પિટલમા મારા પાડોશી લઇ ગયેલ પરંતુ મારા સાસરીવાળા કોઇ આવેલ નહી બાદ મારા પતિ અને સાસુ આવેલ ત્યારે ડોકટરે કહેલ કે માતા અથવા સંતાન બેમાથી એક જ જીવી શકે એમ છે ત્યારે મારા પતિ તથા સાસુ-સસરાએ કહેલ કે અમારે સંતાન બચી જાય તો ઘણુ મા તો બી જી મળી જશે અને મારી દીકરીનું વજન ઓછું હોય જેથી હું તેની ચીંતા કરતી તો પણ મારા સાસુ મારી સાથે વારંવાર ઝઘડો કરતા અને એક વાર મારા સાસુએ મારી દિકરીને દુધ પીવડાવવા બાબતે ઝઘડો કરી મારા પર હાથ ઉપાડેલ અને ખુબ હેરાન કરતા મારી દિકરીને મારા વિરુધ્ધ નાનપણથી જ ચઢામણી કરતા મારા પતિ, સાસુ-સસરા અંધશ્રધ્ધામાં માનતા હોવાથી મને અવાર નવાર અલગ અલગ દેવસ્થાને લઇ જતા અને મને કહેતા કે તારે ઉપવાસ કરવાનો અને મને મારા પીયરમા જવા દેતા નહી મારા લગ્ન સમયે મળેલ સ્ત્રીધન માંગેલ પરંતુ મને આપેલ નહી બાદ મે ફેમીલી કોર્ટમાં ભરણપોષણ માટે અને નવી કોર્ટ ખાતે ડોમેસ્ટીક વાયોલન્સ માટે એપ્લીકેશન આપેલ બાદ પોલીસમાં અરજી કરતા મારા સાસુ-સસરા અને નણંદ-નણંદોઈ આવેલ અને મારા સાથે માથાકુટ કરી હોવાથી અંતે ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં ફ્લેટ ખરીદ્યાનો ખાર રાખી ભાડુઆત પરિવાર ઉપર પિતા-પુત્ર સહિતની ટોળકીનો હુમલો : દંપતિને ઇજા
મૂળ બિહારના હાલ રાજકોટના શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા લલીતાદેવી લલિતકુમાર ઝા ઉ.40એ નવનીતભાઈ અને તેનો દીકરો રુદ્ર અને અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી પાંચેક મહીના પહેલા રાજમંદીરવાળી શેરીમા આવેલ શ્રી એપાર્ટમેન્ટમા ત્રીજા માળે નવનીતભાઈની માલીકીનો ફ્લેટ છે તેમા અમો ભાડેથી રહેતા હતા અને તેની બાજુમાં ફ્લેટમાં નવનીતભાઈના ફેમીલી સાથે રહેતા હતા અને બાજુમા ફ્લેટ નં.32 લોન પર હોય અને લોનના હપ્તા ચડી ગયેલ હોય જેથી બેંક હરાજી કરતી હોય અમે ફ્લેટ બેંક પાસેથી જુન મહીનામા ખરીદેલ હતો અને નવનીતભાઈને આ બાબતની જાણ થતા તેમને ગમતુ ના હોય જેથી અમારી સાથે નાની નાની વાતમા ઝગડો કરતા હોય અને તા.31 જુલાઈના રોજ નવનીતભાઈએ પોતાનો ફ્લેટ ખાલી કરવાનુ જણાવેલ જેથી અમોએ ખરીદેલ ફ્લેટ નં.૩૨ મા અમારો સરસામાન સીફ્ટ કરી જતા રહ્યા હતા ગઈકાલે રાત્રીના મારો મોટો દીકરો પ્રિન્સ સિક્યુરીટીમા નોકરી કરતો હોય જેથી નીચે ગયેલ હોય અને અમે બધા જમવા બેસવાની તૈયારી કરતા ત્યારે નીચે જોર જોરથી બુમો અને ગાળોનો અ વાજ આવતો હોય જેથી તરત જ હું મારા પતિ મારી દીકરી-દીકરો બધા નીચે ગયેલ જ્યા નવનીતભાઈ તથા તેમનો દીકરો રુદ્ર અને બે અજાણ્યા માણસો મારા દીકરાને લોખંડના પાઈપ વડે મારતા હોય જેથી હું અને મારા પતી છોડાવવા જતા મને પણ નવનીતભાઈએ સાથળના ભાગે લોખંડનો પાઈપ મારેલ અને રુદ્રએ મારા પતીને હાથની હથેળીમા લોખંડનો પાઈપ મારેલ જેથી મુંઢ ઈજા થયેલ હતી અને બીજા બે અજાણ્યા માણસોએ પણ મને તથા મારા પતી અને મારા દીકરા પ્રિન્સને હાથેથી ઢીકાપાટુનો માર મારેલ હતો બાદ થોડીવાર પછી ત્રણેક અજાણ્યા માણસો આવી મારા દીકરા દીકરીને ઢીકાપાટુનો માર મારેલ બાદ તેઓ બધા ત્યાથી ભાગી ગયેલ અને સારવાર માટે સરકારી હોસ્પીટલ ખાતે ગયા હતા અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
રવિરત્ન પાર્કમાં બનેલો બનાવ : ” મંદીરે મારા દાદા સાથે લપ કરતી હતી ” તેમ કહીને વૃદ્ધા ઉપર પાઇપથી હુમલો
રાજકોટની રવીરત્ન પાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા બેચરભાઇ વાલજીભાઇ ઘોડાસરા ઉ.62એ રવિરત્ન પાર્ક બગીચાની બાજુમાં રહેતા વેદાંત પટેલ અને તેના પિતા સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હુ તથા મારા પત્ની નર્મદાગૌરી સાથે રાહુ છું એક દિકરો તથા એક દિકરી બંન્ને વિદેશમાં વસવાટ કરે છે ગઈકાલે સવારે મારા પત્ની મહાદેવના મંદીરે જળ અભીષેક કરવા ગયા હતા ત્યારે પુજારીએ મંદીરને શ્રાવણ માસમાં મંદીર ખુલતુ તેના કરતા આજ મોડુ ખોલેલ બધા મંદીર ખુલવાની રાહ જોતા હતા ત્યા આ બાલુભાઇ બોલ્યા કે પુજારીને કયો મંદીર ખોલે કેમ આજ મોડુ થયુ છે. તો મારા પત્નિએ કહેલ કે હવે શ્રાવણ પુરો થઇ ગયો એટલે આ જ ટાઇમે મંદીર ખોલશે તેમ મારા પત્ની બોલેલ અને બાદમાં મંદીર ખુલતા આ બાલુભાઈ ગર્ભગૃહમાં જળ ચડાવવા ગયેલ તો મારા પત્ની બોલેલ કે બાલુભાઇ ઉભા રહો શિવલીંગ પર સાંજનો શણગાર છે. તે ઉતારી લેવા દયો પછી તમે લોટી ચડાવજો આમ કહેતા આ બાલૂભાઈ ઉશકેરાઇ ગયેલ અને મારા પત્નિને કહેલ કે તુ શાંતિ રાખ તુ દોઢી થામાં આમ કહેલ બાદ મારા પત્ની ઘરે આવી ગયેલ અને મને વાત કરી હતી બાદ મે કહેલ કે આપડે આ લોકો જેવા નથી થવુ તુ આ લોકો સાથે ન બોલતી તેમ કહી સમજાવી દીધેલ બાદમાં હનુમાન ચાલીસાના પાઠ પુરા કરી ને હું મારા ઘર તરફ જતો હતો ત્યારે બાલુભાઈનો પૌત્ર વેદાંત પટેલએ આવી મારા પત્ની સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખી મને કહયુ કે કયા જાશ તેમ કહીને મને કે ઘરે નથી જાવાનુ આમ આ સાઇડ આવ તેમ કહી મને હાથ પકડીને લઇ જતા હતા ત્યા પાછળ મારા પત્ની નર્મદા આવી ગયેલ અને વેદાંતને કહેલ કે કેમ તુ મારા ઘરવાળાને હાથ પકડીને ક્યા લઈ જા છો તેમ કહેતા જ વેદાંત બોલ્યો કેમ સવારમાં તુ મંદીરે મારા દાદા સાથે લપ કરતી હતી. આમ કહેતા જ ત્યા વેદાંત તથા તેના પિતા પાઇપ લઇને આવેલ અને મારા પત્ની પર પાઇપ મારવા લાગેલ અને મારા પત્ની ને જમણા હાથમાં સામાન્ય ઇજા થયેલ અને મેં 112માં ફોન કરી સારવાર કરાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
દેવપરા શાકમાર્કેટ પાસેનો બનાવ : તે કેમ સગાઇ કરી લીધી, મને કેમ બ્લોક કરી નાખ્યો કહી યુવતી ઉપર છરીથી હુમલો
રાજકોટના જંગલેશ્વરમાં હુશેની ચોકમાં રહેતા સુજાનબેન સતારભાઈ દલ ઉ.18એ અફાન ઉર્ફે ગફાર જાહીદભાઈ પરમાર સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આઠેક મહીના પહેલા મારી સગાઇ સમીર ઇકબાલભાઇ ઠેબા સાથે થયેલ છે ગત સાંજે હું મારા ઘરે હતી ત્યારે મને અફાન ઉર્ફે ગફાર જે આજથી આશરે દોઢેક વર્ષ પહેલા મારે તેની સાથે પ્રેમ સબંધ હોય અને મારી સગાઇ થઇ જતા મે તેની સાથે વાત કરવાનુ બંધ કરી દિધેલ તેનો મને ફોન આવેલ અને કહેલ કે, તું અને સમીર દેવપરા શાકમાર્કેટ પાસે આવો મારે કામ છે. જેથી મે મારા મંગેતર સમીરને ફોન કરેલ અને તે મારા ઘરે આવેલ અને હું તેની સાથે મોટરસાયકલમાં બેસીને દેવપરા શાક માર્કેટમાં ગયેલ ત્યાં શેરીમાં અફાન તથા તેના બે મિત્રો ઉભા હોય ત્યાં હું તથા સમીર તથા અફાન એમ ત્રણેય વાતચીત કરતા હતા ત્યારે અફાનએ મને કહેલ કે, તે કેમ આ સમીર સાથે સગાઇ કરી લીધેલ અને મને બ્લોક કરી નાખ્યો. તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ સમીરને ધક્કો મારી દિધેલ અને તેની કમરમાંથી છરી કાઢી સમીરને મારવા જતા તેને બચાવવા વચ્ચે પડતા મને હાથે છરીનો એક ઘા મારી દિધેલ જેથી મને લોહી નીકળવા લાગેલ. અને અફાન ત્યાથી જતો રહેલ. અને તેના બંને મિત્રો પણ જતા રહેલ હતા. બાદમાં સારવાર લઈને ફરિયાદ નોંધાવી હતી.
ફળિયામાં રમતી દોઢ વર્ષની બાળકીનું ટાંકીમાં પડી જતાં મોત
રાજકોટના આજી ડેમ ચોકડી પાસે સાઈટ પર માતા કપડાં ધોતી હતી ત્યારે નજીકમાં રમી રહેલી દોઢ વર્ષની બાળકી પાણીની ટાંકીમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજી ડેમ ચોકડી પાસેની સાઇટ પર આજી ડેમ GIDC રોડ-બી નજીક રહેતા બુનકુમાર કુશવાહની દોઢ વર્ષની પુત્રી વિશ્વાંસીકુમારીનું તા.12 સપ્ટેમ્બરની સાંજે તેની માતા કપડાં ધોઈ રહ્યાં હતાં ત્યારે બાળકી નજીકમાં રમી રહી હતી. માતા થોડા સમય માટે બાથરૂમ કરવા ગયા હતા. પરત આવ્યા ત્યારે બાળકી નજરે ન પડતાં પરિવારજનોએ આસપાસ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન શંકા જતા પાણીની ટાંકી ખોલીને તપાસ કરતાં બાળકી પાણીમાં પડેલી મળી આવી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક ઝનાના હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે તબીબે તપાસી તા.12 સપ્ટેમ્બરે રાત્રે 8:02 વાગ્યે મૃત જાહેર કરી હતી.
ભાયાસરના યુવકનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે રાજકોટ તાલુકાના ભાયાસર ગામે રહેતા પિયુષભાઇ હરેશભાઇ ભાલાળા ઉ.18 નામના યુવાને ગત રાત્રે પોતાના ઘરેથી કામે જાવ છું તેમ કહીને નીકળયા બાદમાં ઝેરી દવા પી લીધી હતી અને પછી પરત ઘરે આવી સુઈ ગયો હતો જો કે સવારે ઉલ્ટી કરવા લાગતા પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નીવડે એ પહેલા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન એક ભાઈ અને એક બહેનમાં મોટો હોવાનું સામે આવ્યું છે જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
રોકાણ કરેલા 15 લાખની ઉઘરાણી કરી યુવકને ફડાકા ઝીકી દીધા : કંપનીનો માલિક ફરાર થઇ જતા મિત્ર પાસે ઉઘરાણી કરતો હતો : ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ કહી ધમકી દીધી
રાજકોટના ઢેબર રોડ ઉપર લાલ બહાદુર સોસાયટીમાં રહેતા અને જમીન મકાન લે-વેચનું કામ કરતા ક્રિપાલસિંહ મનહરસિંહ જાડેજા ઉ.30એ કાલાવડ રોડ પર રહેતા વિનીત વિનાયકભાઈ ભટ્ટ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી ચારેક વર્ષ પહેલા હું કૃણાલ પાટડીયાની ક્રાઉડ પાવર નામની કંપનીમાં ડાયરેક્ટ તરીકે નોકરી કરતો હતો ત્યારે મેં મારા મિત્ર વિનિતભાઈ ભટ્ટને આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા સલાહ આપેલ હતી જેથી તેણે આ કંપનીમાં 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું બાદ ક્રાઉડ કંપનીની માલિક કૃણાલ પાટડીયા કંપનીમાં ઇન્વેસ્ટ કરેલ તમામના રૂપિયા લઇ દુબઈ ભાગી ગયેલ જેથી વિનિતભાઈ ભટ્ટે મને કહેલ કે, મેં તારા કહેવાથી આ ઇન્વેસ્ટમેન્ટ કરેલ હતું જેથી તું મારા પંદર લાખ પરત આ૫ જેથી મેં વિનિતભાઈને જણાવેલ કે હાલ મારી પાસે રૂપિયા નથી. મારી પાસે જ્યારે રૂપિયાની સગવડ થશે તેમ ધીરે ધીરે તારા રૂપિયા પરત આપી દઈશ તેમ વાત કરેલ હતી બાદ છેલ્લા ચારેક વર્ષથી આ વિનિતભાઈ અવારનવાર રૂપિયાની માંગણી કરતા હોય ગઇ તા.12ના રોજ રાત્રિના વિનિતભાઈનો મને ફોન આવેલ અને મને ભક્તિનગર સર્કલ ખાતે મળવા બોલાવેલ જેથી હું ત્યાં ગયો હતો ત્યારે આ વિનિતભાઈ ઉગ્ર થઈ ગયેલ અને તારે હવે રૂપિયા પરત આપવાના છે કે નહીં તેમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને ગાળાગાળી કરવા લાગેલ અને ઉગ્ર થઈ મને બે લાફા મારેલ અને મને કહેલ કે ચાલ તારું સ્કૂટર લઈ અને મારી સાથે ચાલ બાદ મેં મારા સ્કૂટરની પાછળ તેને બેસાડેલ અને તેના કહેવા મુજબ અમો સી.પી.ઓફિસ રાજકોટ તરફ જવા નીકળી ગયેલ બાદ શાસ્ત્રી મેદાન રાજકુમાર કોલેજ પાસે પહોંચતા તેણે મને મારું સ્કૂટર ઉભુ રાખવાનું કહેલ જેથી મે સ્કૂટર ઉભું રાખી દીધેલ બાદ વિનિતભાઈ સ્કુટરમાંથી નીચે ઉતરી ફરીથી મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને ઢીકાપાટુનો માર મારેલ અને મને કહેલ કે જો તું આ બાબતની પોલીસ ફરિયાદ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ તેમ કહી મને કહેલ કે ચાલ હવે મને ભક્તિનગર સર્કલ ખાતે મૂકી જા બાદ મે વિનિતભાઈને ભક્તિ નગર સર્કલ ખાતે મારા સ્કૂટર ઉપરથી ઉતારેલ અને તે તેના સ્કૂટર લઈને ત્યાંથી ચાલ્યા ગયેલ બાદ સારવાર અર્થે દાખલ થયો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
રંગીલા સોસાયટીમાં જુના ઝઘડાનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો : બે મહિલાને ઇજા થતા હોસ્પિટલે ખસેડાઇ
રાજકોટની ભાગોળે રંગીલા સોસાયટીમાં રહેતા હકુબેન રાવતભાઇ ચાવડા ઉ.37એ પંકજ ઉર્ફે પ્રકાશ, તેનો ભાઈ અને તેના પિતા સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે હું મારા સગા બહેન રજુબેનના ઘર પાસે હતી ત્યારે મારા બનેવી વલ્લભભાઈ સાથે અગાઉ એક વર્ષ પહેલા પ્રકાશ સાથે માથાકૂટ થઇ હોય તે કાળા કલરની સ્કોર્પિઓ કારમાંથી નીચે ઉતરી ભુંડી ગાળો બોલી મારા બનેવી વલ્લભભાઈ સાથે જેમ તેમ બોલી તેની સ્કોર્પિઓમાંથી લાકડાનો ધોકો કાઢી મારવા જતા મારી બહેનનો દીકરો રોહિત વચ્ચે આવતા તેને લાકડાનો ધોકો હાથમાં લાગેલ હતો અને હું વચ્ચે પડતા મને ડાબા પગના ભાગે આ પ્રકાશ ઉર્ફે પંકજે લાકડાનો ધોકો મારેલ અને આ પંકજના દીકરાએ મારા ભાણેજ ધર્મેશને તેના હાથમાં રહેલ પ્લાસ્ટિકના પાઈપથી માર મારેલ અને આ પ્રકાશ ઉર્ફે પંકજ તેના હાથમા રહેલ ધોકો ફેરવતો હોય જે મને મોઢાના ભાગે વાગેલ જેથી મને હોઠમાંથી લોહી નીકળી ગયેલ જેથી હું ત્યાં નજીક નીચે બેસી ગયેલ હતી ત્યારે પ્રકાશનો ભાઈ પ્લાસ્ટિકનો પોઇપ લઈને મારા બનેવી વલ્લભભાઈને આડેધડ મારવા લાગ્યો હતો ત્યાં ઘણા માણસો ભેગા થઈ જતા આ લોકોને સમજાવતા ત્યાંથી નીકળી ગયેલા હતા અને કોઈએ 108માં ફોન કરતા હું તથા મારા ભાભી સોનલબેન મારી સારવાર લેવા માટે સરકારી દવાખાને રાજકોટ 108માં બેસીને આવેલા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
લોધીકામાં બોરવેલના પેમેન્ટ મુદ્દે ગેરેજ સંચાલક પર ત્રિપુટીનો હુમલો : જાનથી મારી નાખવાની ધમકી દેતા ત્રણ હુમલાખોરો સામે નોંધાઈ ફરિયાદ
રાજકોટ જિલ્લાના લોધીકાના ગેરેજ સંચાલક પર રૂપીયાની ઉઘરાણી મામલે ત્રણ શખ્સોએ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી ખૂનની ધમકી આપતા લોધિકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લોધીકામાં રહેતા અને જય અંબે નામે ફોરવ્હીલનુ ગેરેજ ધરાવી વેપાર કરતા સમીરભાઈ ધીરુભાઈ હરીયાણીએ નિકાવાના રહીમ મુસા દોઢીયા, પીપરના અજિત ઇબ્રાહિમ દોઢીયા અને લોધિકાના રમઝાન અજિત દોઢીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.12ના તે ગેરેજે હતાં ત્યારે સાંજના રહીમ દોઢીયા, અજીત દોઢીયા અને રમઝાન દોઢીયા આવેલ હતા અને રહીમએ કહેલ કે પોરબંદરવાળુ બોરવેલના પેમેન્ટની જવાબદારી તમારી છે, જો આ પેમેન્ટ રોકાશે તો મજા નહીં આવે, આ પેમેંટ તમારે આપવુ પડશે તેમ કહ્યું હતું જેથી રહીમને કહેલ કે, આ પેમેંટની જવાબદારી મારી ના હોય તેમ કહેતા રહીમ એકદમ ઉશ્કેરાઈને ગાળો ભાંડી ઝપાઝપી કરવા લાગેલ હતો. બાદ અજિત અને રમઝાનએ પણ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો દરમિયાન રહીમે ત્યા નજીકમા પડેલ ધોકો લઈ કહેલ કે, જો તુ હવે કાઈ બોલીશ તો તને જાનથી મારી નાખીશ બાદ મીત્ર જાહીદભાઈએ વચ્ચે પડી વધુ મારમાથી છોડાવેલ હતો અને લોધિકા પોલીસ મથકમાં ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગોંડલના નિવૃત રેલવે કર્મચારી સાથે એસબીઆઈના કર્મચારીની ઓળખ આપી 3.58 લાખની ઠગાઈ : યોનો એપ ડાઉનલોડ કરાવી 7 લાખની લોન પાસ કરાવી ઓટીપી મેળવી પૈસા ટ્રાન્સફર કરી લીધા : પુત્રએ ફોન કરતા અર્ધા પૈસા બચી ગયા
ગોંડલના નિવૃત રેલ્વે કર્મીને એસબીઆઈ બેંકના હેલ્પ ડેસ્કમાંથી બોલુ છુ, તમે બેંકની યુનો એપ વાપરતા નથી, તેમા લોનની ઓફર છે કહીં એપ ડાઉનલોડ કરાવી એટીએમના પાસવર્ડ અને ઓટીપી મેળવી લઇ ગઠિયાએ 7.10 લાખની પર્સનલ લોન લઈ રૂપીયા ઉપાડી લીધાં બાદ વૃધ્ધના પુત્રને જાણ થતા અન્ય રકમ બચી ગઈ હતી 3.58 લાખની છેતરપિંડી અંગે ગોંડલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોંડલમાં ગોકુલ વાટીકા સોસાયટીમાં રહેતાં અતુલકુમાર જમનાદાસ બોસમીયા ઉ.67એ એસબીઆઈ બેંક કર્મીની ખોટી ઓળખ આપનાર અજાણ્યા શખ્સ સામે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રેલ્વેમા નોકરી કરતાં અને હાલ નિવૃત જીવન ગાળે છે ગઇ તા.3ના તેમને ફોન આવેલ અને હિન્દી ભાષામાં જણાવેલ કે, હું એસ.બી.આઇ. બેંકના હેલ્પ ડેસ્કમાંથી બોલુ છુ, તમે બેંકની યુનો એપ વાપરતા નથી, તમને તેમા લોનની ઓફર છે, જેથી તમારા વોટસએપમાં યુનો એપ મોકલેલ છે જેથી વૃધ્ધે ચાલુ ફોને વોટસએપ ખોલી જોતા એસબીઆઇના લોગાવાળી એ.પી.કે. ફાઇલ મોકલેલ હોય જેથી વિશ્વાસમાં આવી એ.પી.કે. ફાઈલ ઉપર ક્લીક કરી યોનો એપ ઇન્સટોલ કરેલ અને આ યુનો એપ ઇન્સટોલ કરાવ્યા બાદ એટીએમ કાર્ડના છેલ્લા છ આંકડા તથા પીન માંગતા તે નંબર આપતા મોબાઇલમાં એક ઓટીપી આવેલ જે ઓટીપી પણ આપેલ અને તે ઓટીપી નંબર આપતાની સાથે જ ફોન કટ થઇ ગયેલ હતો બાદ સાંજના રાજકોટ ખાતે રહેતા નાના દિકરા હેમાંગે મોટા દિકરા આનંદને ફોન કરી ફરિયાદીનો મોબાઇલ ફોન ચેક કરવાનું કહીં જણાવેલ કે પપ્પાના એસબીઆઈ બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેકશનથી આશરે 3,58,050 કોઇ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ છે બાદ મોટા દિકરા આનંદે એસબીઆઈ બેંકના હેલ્પ લાઇન નંબર ઉપર ફોન કરી એકાઉન્ટમાંથી થયેલ ટ્રાન્જેકશનની માહિતી માંગતા હેલ્પ ડેસ્ક તરફથી જાણવા મળેલ કે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં 7.10 લાખની પર્શનલ લોન કરી જે ખાતામાં જમા થયેલ પર્શનલ લોનમાંથી અલગ અલગ નાના મોટા ટ્રાન્જેકશનથી કુલ 3,58,050 તેમાંથી સાયબર ગઠિયાએ ઉપાડી લઈ ફ્રોડ આચર્યું હતું જે બાદ સાયબર હેલ્પલાઇન નંબર ઉપર કમ્પલેન નોંધાવી હતી ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સીતાજી ટાઉનશીપમાં મેન્ટેનેન્સ મુદ્દે મહિલા પર પાડોશી પરિવારનો હુમલો : મારી નાખવાની ધમકી આપનાર બે મહિલા સહીત ચાર સામે ફરિયાદ
રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલી સીતાજી ટાઉનશિપમાં મેન્ટેનન્સના પૈસા બાબતે થયેલા તકરારમાં એક મહિલા પર હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે આ બનાવમાં તાલુકા પોલીસે સિતાજી ટાઉનશીપમાં રહેતાં દિપ્તીબેન મહેશભાઇ ઠકરારની ફરિયાદ પરથી ડી-વીંગમાં જ રહેતાં વસીમ કુરેશી, વસીમના માતા, વસીમની પત્નિ યાસ્મીન અને વસીમીનો પુત્ર અસલમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 11 તારીખે સવારે વિંગમાં પાણી આવતું બંધ થઈ ગયું હતું આથી મહિલાઓ એકઠી થઈ હતી અને ફરિયાદી દિપ્તીબેન તથા અન્ય રહેવાસી રેખાબેનને જણાવ્યું હતું કે તમારા બંનેના મેન્ટેનન્સના પૈસા બાકી છે જેથી બંનેએ કહ્યુ઼ હતું કે ચોથા માળે રહેતા વસીમ કુરેશીએ અગાઉના મહિનાનું મેન્ટેનન્સ આપ્યું નથી, તે પૈસા આપે પછી જ તે પોતાના પૈસા ચૂકવશે. ત્યાર બાદ ઝાહિદાબેને વસીમ પાસેથી મેન્ટેનન્સના પૈસા મેળવ્યા પછી દિપ્તીબેન અને રેખાબેને પણ પોતાના પૈસા ભરી દીધા હતા પોતાના મેન્ટેનન્સ ન ભરવાના કારણે વાત બહાર આવી જતાં વસીમ આવેશમાં આવી ગયો હતો તેણે સાંજે દિપ્તીબેનને ફોન કરી કહેલું કે તું મેન્ટેનન્સ ભરવામાં કેમ મારો વાદ કરે છે? તેમ કહી અશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતાં વસીમે તારી ઓકાતમાં રહેજે, તને મારી નાખતા વાર નહીં લાગે તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત વસીમની માતાએ પણ ફોન પર ગાળો આપી ઉભી રહે અમે તારા ઘરે આવીએ છીએ તેમ કહ્યું હતું ધમકી આપ્યા બાદ બધા દિપ્તીબેનના ઘર પાસે આવી પહોંચ્યા હતા અને માથાકૂટ કરી ગાળો બોલવા લાગ્યા હતા આ દરમિયાન યાસ્મીને દિપ્તીબેનના વાળ પકડીને મોઢા પર ઢોર માર માર્યો હતો અને હાથ મચકોડી નાખતા ઇજા થઇ હતી. દિપ્તીબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ આરોપી વસીમ કુરેશી નાની નાની વાતમાં અવાર-નવાર તેના ઘરે આવીને તેના કાકા તથા પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપે છે વસીમ પોતાના ગેરકાયદેસર ધંધા ચલાવતો હોય અને પોતે તેનો વિરોધ કરતા હોવાથી અંગત અદાવતમાં ટાર્ગેટ કરવામાં આવી રહી છે તાલુકા પીમાઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. યશપાલસિંહ ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



