66 વર્ષનાં ઈતિહાસમાં પહેલીવાર રાજ્યસભામાં કૉંગ્રેસનો એક પણ સાંસદ નહીં હોય, શક્તિસિંહના નિવૃત્ત થતાં જ ઈતિહાસ પલટાશે
શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ: 1960 પછી પ્રથમ વખત ઉચ્ચ સદનમાં ગુજરાતમાંથી ‘પંજો’ ગાયબ થશે, ભાજપનું એકહથ્થુ શાસન
- Advertisement -
વિધાનસભામાં 17માંથી 12 પર આવી ગયેલું સંખ્યાબળ નડ્યું: ભાજપ ચારેય બેઠકો કબજે કરવા તૈયાર, વિપક્ષનું અસ્તિત્વ જોખમમાં
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક મોટો વળાંક આવવા જઈ રહ્યો છે. વર્ષ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ છેલ્લા 66 વર્ષમાં જે ક્યારેય નથી બન્યું તે હવે બનવા જઈ રહ્યું છે. આગામી રાજ્યસભા ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ પ્રતિનિધિ જોવા મળશે નહીં. આ ફેરફાર ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય અને કોંગ્રેસના સતત ઘટતા જતા જનાધારનું પરિણામ છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતીને રેકોર્ડ સર્જ્યો હતો, જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. જોકે, પડતી અહીં જ ન અટકી. ચૂંટણી બાદ પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો અથવા રાજીનામા આપ્યા, જેના કારણે આજે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને માત્ર 12 પર પહોંચી ગયું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોના મતો નિર્ણાયક હોય છે અને માત્ર 12 ધારાસભ્યોના જોરે કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકે તેમ નથી.
હાલમાં રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. તેઓ પક્ષના પ્રદેશ પ્રમુખ પણ છે. શક્તિસિંહનો કાર્યકાળ આગામી 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. તેમની નિવૃત્તિની સાથે જ રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ પાસે પૂરતા ધારાસભ્યો નથી, જેનો સીધો ફાયદો ભાજપને થશે. ભાજપ આ બેઠક પણ પોતાના નામે કરી લેશે, પરિણામે ગુજરાતની તમામ 11 રાજ્યસભા બેઠકો પર ભાજપના સાંસદોનો કબજો થઈ જશે.
ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચાર બેઠકોમાં ભાજપના નરહરિ અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારાનો સમાવેશ થાય છે, જ્યારે ચોથી બેઠક શક્તિસિંહ ગોહિલની છે. નિયમ મુજબ, રાજ્યસભામાં એક બેઠક જીતવા માટે જરૂરી મતોનું ગણિત જોતા ભાજપ પાસે અત્યારે 160થી વધુ ધારાસભ્યોનું સમર્થન (અપક્ષ અને સાથી પક્ષો સહિત) છે.
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે પ્રથમ પસંદગીના અંદાજે 36થી 37 મતોની જરૂર પડતી હોય છે. ચારેય બેઠકો જીતવા માટે ભાજપને કુલ 144 મતોની જરૂર પડશે, જે તેમની પાસે ઉપલબ્ધ સંખ્યાબળ કરતા ઓછા છે. એટલે કે, ભાજપ આરામથી ચારેય બેઠકો બિનહરીફ અથવા તો જંગી બહુમતીથી જીતી લેશે. બીજી તરફ, કોંગ્રેસ પાસે માત્ર 12 મતો હોવાથી તેઓ મેદાનમાં ઉમેદવાર ઉતારવા માટે પણ સક્ષમ નથી.
- Advertisement -
વિપક્ષની નબળી સ્થિતિ
ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી અને અન્ય વિપક્ષી દળોની સ્થિતિ પણ એવી નથી કે તેઓ રાજ્યસભાના પરિણામોમાં કોઈ ફેરફાર લાવી શકે. મે અને જૂન મહિનામાં દેશભરની 26 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેમાં ગુજરાતની આ ચાર બેઠકો પર સૌની નજર રહેશે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે. એક સમયે ગુજરાતમાં સત્તા ભોગવનાર પક્ષ આજે સંસદના ઉચ્ચ સદનમાં પોતાનો એક પણ પ્રતિનિધિ મોકલી શકવાની સ્થિતિમાં નથી, જે કાર્યકરો માટે હતાશાજનક સમાચાર છે. ભાજપ માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ હશે, કારણ કે તેઓ રાજ્યમાં લોકસભાની તમામ 26 બેઠકો બાદ હવે રાજ્યસભાની પણ તમામ 11 બેઠકો પર એકચક્રી શાસન સ્થાપવા તરફ આગળ વધી રહ્યા છે.
આગામી દિવસોમાં જ્યારે રાજ્યસભાની આ બેઠકો માટે સત્તાવાર જાહેરનામું બહાર પડશે, ત્યારે ભાજપના નવા ચહેરાઓ કોણ હશે તેના પર પણ સૌની મીટ મંડાયેલી છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે 21 જૂન પછી ગુજરાતના રાજકીય નકશામાં રાજ્યસભામાંથી કોંગ્રેસનો સૂર્ય આથમી જશે.



