ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં શૌચાલય બંધ હોવાથી પરપ્રાંતીય કર્મચારી સાથે બોલાચાલી કરી
પાનની દુકાન ચલાવનારે ઝઘડો ન કરવા કહ્યું તો રિવોલ્વરથી ફાયરિંગ કર્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે મેયર બંગલે અનંત અનાદિ વડનગર નીહાળી રહ્યા હતા ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશન નજીક જાહેર શૌચાલય પાસે શહેર યુવા ભાજપના મંત્રી અને પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ રાજુભાઈ સોરઠિયાએ બે રાઉન્ડ હવામાં ફાયર કરતા દોડધામ મચી જવા પામી હતી. જેને લઇ ભક્તિનગર પોલીસે આરોપી કરણ સોરઠિયા સામે આઇપીસી કલમ 307, 504 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1-બી), 27 મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.
આ સાથે યુવાનેતા દારૂ પીધેલી હાલતમાં હોવાનો રિપોર્ટ આવતા તેની સામે વધુ એક પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી છે. આ અંગેની ફરિયાદ નોંધાવતા વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના સમયે સોરઠિયા વાડી સર્કલ ખાતે આવેલ અમારી ડિલક્સ પાનની દુકાન પર હું હાજર હતો. ત્યારે દુકાનની સામે આવેલ શૌચાલય બંધ હોવાથી શૌચાલયનું સંચાલક કરતા પરપ્રાંતીય વ્યક્તિ સાથે કરણ સોરઠિયા બોલાચાલી કરી કેમ બંધ કરી દીધું તેમ કહી ઝઘડો કરી રહ્યો હતો. આ દરમિયાન મેં કરણ સોરઠિયાને ઝઘડો ન કરવા સમજાવટ કરી હતી.
આ સાથે જ રાબેતા મુજબના સમયે બંધ થઇ જાય છે, તેવું કહેતા આ બાબતનો ખાર રાખી તેમને 9.30થી 10 વાગ્યાના અરસામાં મારી દુકાન પાસે આવી પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવા કોશિશ કરી હતી. જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.