દેશમાં યુવાઓને સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. સરકારી વિભાગોની સાથોસાથ ઉદ્યોગો પણ યુવાનોને સાથે લઈને આગળ ધપી રહયા છે: મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહયા છે તે અવસરના અનુસંધાને આજે તા. ૦૬/૦૮૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી બે સ્થળોએ “રોજગાર દિવસ” અંર્ગત લાભાર્થીઓને રોજગાર પત્ર એનાયત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાલાવડ રોડ પર આત્મિય યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે રાજ્યના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, ઉપરાંત જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. જ્યારે ગવર્નમેન્ટ પોલિટેકનિક, ભાવનગર રોડ, રાજકોટ ખાતેના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.

- Advertisement -
આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રોજગાર પત્ર મેળવનાર લાભાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા એમ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સુશાનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહયા છે ત્યારે સરકાર દ્વારા આયોજિત નવ દિવસીય સેવા યજ્ઞમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહયા છે. અલગઅલગ દિવસે જુદીજુદી થીમ આધારિત વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજે રોજગાર દિવસ અનુસંધાને ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ યુવા ભાઈબહેનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવી રહયા છે. ગુજરાત રાજ્યમાં સરકારે જુદાજુદા ક્ષેત્રોને વિકાસમાં આવરી લેવામાં આવેલ છે. જેના પરિણામે રાજ્યમાં આર્થિક વિકાસ પણ થઇ રહયો છે અને યુવા વર્ગ માટે નવી રોજગારીની તકોનું પણ સર્જન પણ થઇ રહયું છે. યુવાઓના વિકાસ થકી રાજ્યના વિકાસને વેગ મળશે.

રાજ્યના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે તેમના વક્તવ્યમાં એમ જણાવ્યુ હતું કે, દેશમાં યુવાઓને સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. સરકારી વિભાગોની સાથોસાથ ઉદ્યોગો પણ યુવાનોને સાથે લઈને આગળ ધપી રહયા છે. આજે સમગ્ર ગુજરાતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એકસાથે ૫૧ સ્થળોએ ૫૦,૦૦૦ જેટલા યુવા ભાઈ-બહેનોને રોજગારી પત્ર એનાયત કરવામાં આવી રહયા છે. અનેક રાજ્યોમાં કોરોનાએ લોકોની રોજગારી છીનવી લીધી હતી ત્યારે ગુજરાત રાજ્ય યુવાઓને રોજગારી આપી રહયું છે. ગુજરાતમાં યુવા પેઢી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પ્રતિભાવંત બને અને તેઓને ગુજરાત સરકાર તરફથી રોજગાર મળે તેવી સુવ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોજગાર ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર રહયું છે તેનો યશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફાળે જાય છે.
- Advertisement -

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર સૌના સાથ થકી સૌના વિકાસનું વિચારીને રાજ્યને આગળ લઈ જઈ રહી છે. ગુજરાત સરકારે રાજ્યના વધુ ને વધુ યુવાઓને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરી છે જે સુશાસનની પ્રતીતિ કરાવે છે. સૌથી વધુ આનંદની વાત એ છે કે, સરકાર સામે ચાલીને યુવાઓને રોજગારી આપે છે. મેયર એ વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, રોજગારીથી યુવાઓનો વિકાસ થાય છે, યુવાઓના વિકાસથી રાજ્યનો અને રાજ્યના વિકાસથી દેશ પ્રગતિના પથ પર આગળ ધપી શકે છે. ગુજરાતમાં કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર યુવા વર્ગને રોજગારી મળી રહી છે. માત્ર એટલું જ નહી, મુદ્રા લોન યોજનામાં યુવાઓને લોન આપવામાં સરકાર ગેરેન્ટર બને છે. કોલેજના છાત્રોને નમો ટેબ્લેટ, સ્કોલરશીપ વગેરે જેવી સુવિધાઓ સરકાર તરફથી મળી રહી છે. છાત્રો પીએચ.ડી. થાય તેની પણ સરકાર ચિંતા કરે છે. વિદેશની કંપનીઓને ગુજરાતમાં લાવવાનો ઉદ્દેશ રાજ્યના યુવા વર્ગને રોજગારી અને પ્રગતિનો છે.


