હાઉસિંગ બોર્ડ કોલોનીમાં પાણીની લાઇન કાપવા મનપાની કાર્યવાહી સામે 792 પરિવારમાં રોષ
નળ-વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે લોકોમાં રોષ, એફિડેવિટની શરતે સેવાઓ યથાવત રાખવાનો નિર્ણય મેયરનો નિર્ણય
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગ બોર્ડના જર્જરીત ક્વાર્ટરોને લઈને રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. જર્જરીત અને જોખમી ગણાતા ક્વાર્ટરોને નોટિસ આપવામાં આવ્યા બાદ મનપાની ટીમ નળ અને વીજ કનેક્શન કાપવા માટે પહોંચતા મોટી સંખ્યામાં રહેવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો. મનપાની કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધ રહેવાસીએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. નળ કનેક્શન કાપવા માટે ખોદવામાં આવેલા ખાડામાં જ સૂઈ જઈ તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વૃદ્ધના આ વિરોધને પગલે સ્થળ પર ભારે ચર્ચા અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
જર્જરીત ક્વાર્ટરોમાં વસતા લોકોનું કહેવું હતું કે ચોમાસાની ઋતુ અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને મૂળભૂત સુવિધાઓ બંધ કરવી યોગ્ય નથી. પાણી અને વીજળી જેવી આવશ્યક સેવાઓ બંધ થતાં સેંકડો પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ ઘટનાના પગલે સ્થાનિક રહેવાસીઓનું ટોળું રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યું હતું અને રજૂઆત કરી હતી. ત્યારબાદ મેયર નેહલ શુક્લ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રહેવાસીઓએ પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ રજૂ કરી હતી. રજૂઆત બાદ મેયર નેહલ શુક્લે રહેવાસીઓને મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. મેયરે જણાવ્યું હતું કે દિવાળી સુધી જર્જરીત ક્વાર્ટરોમાં રહેતા લોકોને હાલ માટે કોઈ કડક કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે. જે નળ કનેક્શન કાપવામાં આવ્યા હશે તે પણ ફરી શરૂ કરવામાં આવશે અને કાલથી તમામ પાણીના કનેક્શન કાર્યરત કરી દેવામાં આવશે.
જો કે, આ રાહત સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ક્વાર્ટરોમાં રહેતા તમામ રહેવાસીઓએ એફિડેવિટ આપવું પડશે. આ એફિડેવિટમાં તેઓ સ્વીકારશે કે જર્જરીત મકાનોમાં રિનોવેશન અથવા સમારકામ બાદ પણ કોઈ દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે અને મહાનગરપાલિકા જવાબદાર ગણાશે નહીં. મેયરે જણાવ્યું હતું કે મનપાનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જર્જરીત ઇમારતોમાં રહેવું જોખમી હોવાને કારણે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ લોકોની રજૂઆત અને માનવતાના અભિગમને ધ્યાનમાં રાખીને દિવાળી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં જર્જરીત મકાનોની સલામતી અને રહેવાસીઓના પુનર્વસનનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. હાલ મેયરના નિર્ણયથી સેંકડો પરિવારોને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ દિવાળી બાદ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે મનપા અને રહેવાસીઓ વચ્ચે વધુ ચર્ચા થવાની શક્યતા છે.
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ




