છેલ્લા 10 વર્ષમાં રાજીનામું આપનારા સ્ટાર્મર છઠ્ઠા વડાપ્રધાન
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે કહ્યું કે લેબર પાર્ટીને નથી લાગતું કે હું આગામી ચૂંટણીમાં નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ છું. સ્ટાર્મરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે લેબર પાર્ટીની અંદર તેમના નેતૃત્વને લઈને લાંબા સમયથી અસંતોષ વધી રહ્યો હતો. હાલના મહિનાઓમાં ઘણા સાંસદો અને મંત્રીઓએ તેમના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન અને ઘટતી લોકપ્રિયતાએ પણ તેમના પર દબાણ વધાર્યું હતું. બીબીસીના રિપોર્ટ અનુસાર, એન્ડી બર્નહેમ તેમના ઉત્તરાધિકારી બનવાની રેસમાં સૌથી આગળ છે. બર્નહેમે હાલમાં મેકરફિલ્ડ પેટાચૂંટણી જીતીને સંસદમાં વાપસી કરી છે અને તેમને લેબર સાંસદોના મોટા ગ્રુપનો ટેકો હોવાનું કહેવાય છે. આ ઘટનાક્રમથી બ્રિટનમાં રાજકીય અસ્થિરતા વધુ ઘેરી બની છે. કીર સ્ટાર્મર છેલ્લા દસ વર્ષમાં પદ પરથી રાજીનામું આપનારા છઠ્ઠા વડાપ્રધાન છે.
- Advertisement -
સ્ટાર્મરે જણાવ્યું હતું કે લેબર પાર્ટી જુલાઈના મધ્ય સુધીમાં તેના નવા નેતાની પસંદગી કરશે. નવા નેતા અને વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહેશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમના ઉત્તરાધિકારીને સંપૂર્ણ સહયોગ આપશે. સોમવારે સવારે બ્રિટનના રાજા ચાર્લ્સ IIIને તેમના નિર્ણયની જાણ કરી હતી. લેબર પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ (NEC) હવે નવા નેતાની પસંદગી માટેનો કાર્યક્રમ નક્કી કરશે. આ યોજના હેઠળ, નામાંકન પ્રક્રિયા 9 જુલાઈથી શરૂ થશે, અને 17 જુલાઈથી શરૂ થનારા સંસદની ઉનાળાની રજા પહેલાં નવા નેતાની પસંદગી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. બ્રિટનમાં, જનતા સીધી રીતે વડાપ્રધાનની પસંદગી કરતી નથી. લોકો તેમના સંબંધિત મતવિસ્તારમાંથી સંસદ સભ્યો (સાંસદો)ને ચૂંટે છે. સંસદમાં બહુમતી ધરાવનાર પક્ષનો નેતા વડાપ્રધાન બને છે. હાલમાં, લેબર પાર્ટી સત્તામાં છે. તેથી, જે વ્યક્તિ પક્ષનો નવો નેતા બનશે તે વડાપ્રધાન બનવા માટે મુખ્ય દાવેદાર હશે. આ હેતુ માટે દેશભરમાં સામાન્ય ચૂંટણી યોજવાની જરૂર નથી.
બ્રિટનમાં વડાપ્રધાન વારંવાર બદલાવવાનું કારણ
એક્સપર્ટના મતે, બ્રિટનમાં વડાપ્રધાન વારંવાર બદલાવવાનું મુખ્ય કારણ ત્યાંની સંસદીય વ્યવસ્થા છે. ત્યાં લોકો વડાપ્રધાનને સીધા ચૂંટતા નથી, પરંતુ તેમની પાર્ટીના સાંસદો તેમને સમર્થન આપે છે. વડાપ્રધાન ત્યાં સુધી પદ પર રહે છે જ્યાં સુધી પાર્ટીના સાંસદો તેમની સાથે ઊભા હોય. જો સાંસદોને લાગે કે કોઈ નેતાની ઘટતી લોકપ્રિયતાથી આગામી ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થઈ શકે છે, તો તેઓ સામાન્ય ચૂંટણી કરાવ્યા વિના પણ નવા નેતાની પસંદગી પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ જ કારણ છે કે બ્રિટનમાં પાર્ટીનું સમર્થન નબળું પડતાં જ વડાપ્રધાન બદલવાની જરૂરિયાત ઝડપથી ઊભી થાય છે. બ્રિટનની મોટી પાર્ટીઓના નિયમો પણ નેતાઓને હટાવવાનો માર્ગ સરળ બનાવે છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં જો 15% સાંસદો કોઈ નેતા વિરુદ્ધ પત્ર લખે, તો તેની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. જ્યારે, લેબર પાર્ટીમાં કોઈ અન્ય નેતા ત્યારે દાવેદારી રજૂ કરી શકે છે, જ્યારે તેને પાર્ટીના 20%થી વધુ સાંસદો અને સભ્યોનું સમર્થન મળે.




