ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટના શીતળા ધાર, ગોંડલ રોડ ખાતે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનુ ખોલી લોકોની સારવાર કરવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
- Advertisement -
આ કેસની હકીકત એવી છે કે તા. 16-10-2020ના રોજ આજી ડેમ પોલીસ સ્ટેશનના અધિકારીને ખાનગી રાહે હકિકત મળેલી કે નિપુ કુમુદ રંજન મલીક નામનો ઈસમ કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર શીતળાધાર, 25 વારીયા મેઈન રોડ, હનુમાનજીના મંદિર પાસે, ગોંડલ રોડ ખાતે એક રૂમમાં ક્લિનિક ખોલી દર્દીની સારવાર કરી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોય જે બાબતની હકીકત પોલીસને મળતા બનાવવાળી જગ્યાએ પંચોને સાથે લઈ જઈ રેડ કરતાં આરોપી નિપુ કુમુદ રંજન મલીક ડોકટરનું રૂપ ધારણ કરી દર્દીઓને એલોપેથિક દવા, ઈન્જેકશન આપવાનું તથા બાટલા ચડાવતા નજરે પડ્યુ હતું જેથી પોલીસે આરોપી પાસેથી મેડિકલ પ્રેક્ટિસ કરવાનો આધાર માંગતા આરોપી પોતે ડોકટર નથી તેવી વિગત જણાવતા આરોપીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી હતી.
ત્યારબાદ આ બોગસ ડોકટર વિરૂદ્ધ પૂરતો પુરાવો મેળવી લાગતા વળગતા સાહેદોના નિવેદન લઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેસ ચાલતા ફરિયાદી તરફે સાહેદોને તપાસતા તેના દ્વારા ફરિયાદને લેશમાત્ર સમર્થન મળ્યું નહીં તેમજ ઉલટ તપાસમાં ખુદ પોલીસ સાહેદ દ્વારા સ્વીકારવામાં આવ્યું કે આરોપી બોગસ ડોકટર બની દર્દીની સારવાર કરે છે તેવી ફરિયાદ કોઈ વ્યક્તિ દ્વારા મળી હતી. આજુબાજુના સાહેદો કે સારવાર લીધેલી કોઈ દર્દીના નિવેદન લીધેલા નથી તેમજ એ વાત સ્વીકાર્યુ કે આ બોગસ ડોકટર અંગેની કોઈ જાણ પોલીસે હેલ્થ ઓથોરીટીને કરી નથી આમ કેસ ચાલી ગયા બાદ બંને પક્ષોની દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા તથા લીગલ આસિસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી રોકાયેલા હતા.