પિતાએ બે ગોળી ધરબી દીધા બાદ પુત્રોએ કહ્યું પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ
પહેલા હવામાં અને પછી છાતી-માથામાં બે ગોળી મારી : હત્યારા પિતા-પુત્ર ત્રિપુટીને પકડવા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા દોડધામ
- Advertisement -
રાજકોટમાં ભડાકા કરવા સામાન્ય થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણકે ગત રાત્રે શહેર પોલીસમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલના ભત્રીજા પર ફાયરીંગ કરી હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી ગઈ છે નાના મવા ગામતળ વિસ્તારમાં પુરપાટ ઝડપે બુલેટ ચલાવી નીકળેલા શખ્સોને ટપારતા મવડીના પિતા-પુત્ર ત્રિપુટીએ પ્રથમ હવામાં ફાયરિંગ કર્યા બાદ ક્ષત્રિય યુવકને ગોળી ધરબી હત્યા કરી વચ્ચે પડેલ દાદાને પણ માથામાં બંદૂકનો ઘા ઝીંકી આરોપી નાસી જતા ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા તેમજ ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને તાલુકા પોલીસ કાફલો દોડી ગયો હતો તાલુકા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીઓને પકડવા દોડધામ શરુ કરી છે.
રાજકોટમાં આવેલ મોકાજી સર્કલ પાસે નાના મવા ગામતળ શેરી નં.4માં રહેતાં કુલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ઉ.40એ મવડી વિસ્તારમા રહેતા રણજીત વાળા, તેનો પુત્ર અભિમન્યુ વાળા અને રાજવીર વાળા સહિતના સામે તાલુકા પોલીસમાં હત્યા, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામા તેઓ જમીને શેરીમા વોકીંગ કરવા નીકળ્યા હતા ત્યારે સાડા નવેક વાગ્યાના સમયે શેરીમા તેના માસીના દીકરા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા તથા ત્રણ છોકરા સાથે ઉભા હતા. જેથી પોતે ત્યાં ગયેલ તો આ કૃષ્ણસિંહ ત્યાં છોકરા સાથે બોલાચાલી કરતા હતા. જેથી પુછતા જણાવેલ કે, આ છોકરાઓ અવાર નવાર રોડ પરથી બુલેટ સ્પીડમા ચલાવી નીકળે છે અને હલ્લાબોલ કરે છે તેમને રોડ પર બુલેટ ધીમે ચલાવવા બાબતે અવાર નવાર કહેલ છે તેમ છતાં તે બુલેટ લઈને નીકળે છે અને આજે પણ સ્પીડમા રેસ કરતા હોય. જેથી તેને રોક્યા છે તેમ કહેતા આ ત્રણમાથી એક છોકરો જેને અભિમન્યુએ રાજવીર કહીને બોલાવેલ તે પણ જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ જેથી કૃષ્ણસિંહએ તેને ફડાકો મારતાં તેમને બંનેને જુદા પાડેલ હતા. કૃષ્ણસિંહએ છોકરાનુ નામ પુછતા તેણે અભિમન્યુ અને પિતાનુ નામ પુછતા રણજીત વાળા જણાવેલ હતું. ત્યાર બાદ અભિમન્યુએ કહેલ કે, ઉભા રહો હમણા મારા ભાઇ રાજવીરને બોલાવુ તેમ કહી તેને કોઈને ફોન કરી કહ્યું કે, અમારે અહીં ટી.આર.પી.વાળા રોડે માથાકૂટ થઈ છે, તુ જલદી આવ ત્યાર બાદ પાંચેક મિનિટમા એક છોકરો એકટીવા લઈને આવ્યો અને કૃષ્ણસિંહની સામે ઉભા રહીને પુછ્યુ કે શું છે તમારે ? મારા ભાઈની સાથે કેમ માથાકૂટ કરી ?
દરમિયાન કૃષ્ણસિંહ તેની સાથે વાત કરતા હતા ત્યારે તે પણ કૃષ્ણસિંહને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો. જેથી કૃષ્ણસિંહએ આ છોકરાને બે-ત્રણ ફડાકા મારી દીધેલ ત્યાર બાદ અભિમન્યુ બાજુમાંથી બોલ્યો કે, ભાઈ તુ આપણા પપ્પાને બોલાવ તેમ કહેતા, આ રાજવીરએ કોઇને ફોન લગાડી કહેલ કે પપ્પા તમે અહીં ટી.આર.પી.વાળા રોડ પર આવો અહી મને અને અભિમન્યુને એક અંકલે મારી લીધેલ છે ત્યાર બાદ ફરીયાદીએ કૃષ્ણસિંહને કહેલ કે, આ છોકરાઓ સાથે આપણે માથાકુટ નથી કરવી ચાલ ઘરે જઈએ ત્યાર બાદ બંને કૃષ્ણસિંહના ઘરે જતા રહેલ અને ફળિયામા હીંચકા પર બેઠા હતા ત્યારે કૃષ્ણસિંહ દરવાજો ખોલીને ગેટની બહાર શેરીમા થુંકવા જતા શેરીમા દેકારો થતા તેણે શેરીમા નજર કરી કહેલ કે, આ આપણે માથાકૂટ થઈ હતી તે લોકો પાછા આવી ગયા છે અને તે લોકો ગાળાગાળી કરે છે.
- Advertisement -
જેથી કૃષ્ણસિંહ શેરીમા ગયેલ અને સામેથી અભિમન્યુ તેમજ રાજવીર ગાળો દઈને બોલતા હતા કે, આ જો અમારો બાપ આવી ગયો એટલુ કહેતા તેના પિતાએ તેના હાથમાં રહેલ બંદુકથી હવામાં ફાયરીંગ કરેલ અને કૃષ્ણસિંહ તેને રોકવા જતા તેના બંને છોકરા અભિમન્યુ અને રાજવીર બંને કૃષ્ણસિંહની સાથે મારામારી કરવા લાગેલ અને બોલતા હતા કે, પપ્પા આને પતાવી જ દયો આપણુ નામ જ કેમ લીધુ આ લોકોએ તેમ કહી કૃષ્ણસિંહને ત્રણેય જણા મારવા લાગેલા અને ફરીયાદી પણ વચ્ચે પડેલ પરંતુ રણજીતએ તેમને ધક્કો મારી દઈ કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરીંગ કરેલ ત્યાર બાદ કૃષ્ણસિંહ નીચે પડી જતા તેના છોકરા બુમો પાડતા હતા કે, પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ એટલામા ફરીયાદી દોડીને માસાને બોલાવવા ગયેલ અને માસા પણ ઘરમાંથી બહાર શેરીમા આવેલ અને આ બનાવ સમયે અવાજ થતા બાજુમા રહેતા કૃષ્ણસિંહના દાદા રહેન્દ્રસિંહ બહાર આવેલ અને એ પણ વચ્ચે પડવા જતા આ રણજીતે તેના હાથમા રહેલ બંદુક તેમના માથામા મારી તેને ઈજા કરી હતી દરમિયાન દિગ્વિજયસિંહ આ લોકોને પકડવા જતા રણજીતએ તેના હાથમા રહેલ બંદુક દિગ્વિજયસિંહ સામે તાકીને કહેલ કે, નજીક ના આવતો નહી તો ઉડાડી દઈશ એટલી વારમા કિરીટસિંહ તેના હાથમા પાઈપ લઈને આવેલ અને રણજીતને શરીરના ભાગે બે ત્રણ પાઈપ મારી દીધેલ ત્યાર બાદ રણજીત તેમજ તેના બંને દીકરા ભાગી ગયેલ ત્યારબાદ કૃષ્ણસિંહના માથામાથી લોહી નીકળતુ હોય અને આંખો ઢાળી દીધેલ હોય જેથી તુરંત સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે ભાઇ કૃષ્ણસિંહને તપાસી મૃત જાહેર કર્યો હતો તેમજ કૃષ્ણણસિંહના પીતરાઇ દાદા રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોય તેને પણ સારવારમાં ખસેડેલ હાલ તેની સારવાર ચાલુ છે બનાવની જાણ થતાં જ મોટા પ્રમાણમાં ક્ષત્રિય આગેવાનો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાના પગલે ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયાં હતાં. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીને પકડવા જુદી જુદી દિશામાં તપાસ આરંભી હતી તેમજ નાસી છૂટેલા હત્યારા પિતા-પુત્રોનું લોકેશન મેળવવા મોડી રાતે જ આરોપીના પરીવારને ઉઠાવી પુછતાછ પણ શરુ કરી હતી આ ઘટનામાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનામાં ઈજાગ્રસ્તના પુત્ર ગોપાલસિંહ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
હથિયાર લાયસન્સવાળું કે ગેરકાયદે તે અંગે પણ તપાસ
ગઈકાલે થયેલી ફાયરિંગની ઘટનામાં પુત્રોએ ફોન કરતા તુરંત જ પિતા લોડેડ હથિયાર લઈને પહોંચી ગયા હતા અને ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અહીં પ્રશ્ન એ થાય છે કે આ હથિઆયર પરવાનાવાળું હતું કે ગેરકાયદે હતું તે જાણવા પણ પોલીસે મથામણ શરુ કરી છે.
પરીવારે એકનો એક પુત્ર અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ફાયરીંગ અને હત્યાના બનાવમાં 30 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. તેઓ પરિવારના એકના એક આધારસ્તંભ પુત્ર હતાં અને તેમને સંતાનમાં એક પાંચ વર્ષનો પુત્ર રાજવર્ધનસિંહ જાડેજા અને દોઢ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે યુવકના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરીવાર પર આભ તૂટી પડ્યું છે.




