ખાસ-ખબર સંવાદદાતા
11 ફેબ્રુઆરી રવિવારના રોજ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટના ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પુસ્તક અનાવરણ કાર્યક્રમમાં ફ્લુડ થેરાપી પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે દિપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર સંચાલન રાજકોટના જાણીતા કાર્ડિઓથોરાસિક સર્જન ડો. ડેકિવાડીયાએ કર્યું હતું. આ પુસ્તકના અનાવરણ કાર્યક્રમમાં પધારેલા મુખ્ય અતિથિ ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ અને રાજકોટના લોકપ્રિય ઈએનટી સર્જન ડો. કાકડિયાએ ડો. સંજયભાઈને તેમના ભગીરથ કાર્ય માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પરિવારના તમામ તબીબો તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ડો. સંજય પંડ્યા દ્વારા કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન વેબસાઈટ દ્વારા વાવેલુ વિચારબીજ આજે વટવૃક્ષ બની સમાજને માર્ગદર્શન પુરું પાડે છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડો. પંડ્યાને ખરા અર્થમાં તેમના ગુરુ ડો. એચ. એલ. ત્રિવેદીના માનસપુત્ર તરીકે સંબોધીને બિરદાવ્યા હતા. ત્યારબાદ ગેસ્ટ ઓફ ઓનર વિદ્યામંદિરના સ્થાપક પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ ડો. પંડ્યાને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાર્થક કરીને ભારત નહીં પણ વિશ્ર્વભરના તબીબોને માર્ગદર્શન મળી રહે તે માટે આ પુસ્તકની રચના કરી છે તેમ કહ્યું હતું. તેમણે વધુ ઉમેરતાં કહ્યું કે ડો. સંજયભાઈએ કાશીની જાત્રાની જેમ અગાઉ પ્રસિદ્ધ કરેલું ‘તમારી કિડની બચાવો’ પુસ્તક નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવી શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ગુજરાતના સેકેટરી ડો. મેહુલ શાહએ ડો. પંડયાને ખરા અર્થમાં તબીબ જગતના પથદર્શક ગણાવ્યા હતા કારણ કે એક તબીબ થઈને લેખકની જેમ આવડું પુસ્તક લખવું તે ઈશ્ર્વરકૃપા જ કહી શકાય.
તેમણે ગુગલ સર્ચમાં આ પુસ્તક પ્રથમ આવે અને ભવિષ્યમાં પુસ્તકના ઈ-વર્ઝનથી આઈ.સી.યુ.ના તબીબોને સારવારની ગુણવત્તા સુધારવામાં અને નવા અભ્યાસીઓને જ્ઞાનવર્ધક બની રહે તેવી આશા સેવી હતી. ત્યારબાદ બી.ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન ડો. વિવેક જોષીએ વેદનો પ્રચલિત મંત્ર ‘સર્વે ભવન્તુ સુખિન:’નું ઉચ્ચારણ કરીને જણાવ્યું કે ફલુઈડ મેનેજમેન્ટ વિષયને સમજવા ડો. સંજયભાઈને વારંવાર સાંભળતા રહેવું જોઈએ. કારણ કે ભારતની એકપણ કોલેજ એવી નહીં હોય કે જ્યાં ડો. સંજય પંડ્યાએ ફલુઈડ મેનેજમેન્ટ ઉપર લેકચર ન આપ્યું હોય. વધુ ઉમેરતા ડો. વિવેક જોશીએ કહ્યું કે તબીબો એ ‘સર્વે ભવન્તુ નિરામયા’ની ભાવનાથી દર્દીઓ કેવી રીતે ઝડપથી સાજા થઈ જાય તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. સભાના અંતમાં બી.ટી. સવાણી પરિવાર તરફથી બી.ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન અને રાજ્યના વરિષ્ઠ યુરોલોજિસ્ટ ડો. વિવેક જોષી દ્વારા મોમેન્ટો આપીને ડો. સંજય પંડ્યાને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ રાજકોટ, ક્રિટીકલ કેર સોસાસટી, સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટસ વગેરે પરિવારના સભ્યોએ હાજરી આપી આ જ્ઞાનયજ્ઞને પ્રોત્સાહન આપ્યું હતું.
ફલુઈડ થેરાપી પુસ્તકની તૃતીય આવૃત્તિનું બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાં વિમોચન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/dr.-sanjay-860x683.jpg)