મહેસાણા-વિસનગર રોડ પર આવેલી જાણીતી મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં આજે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર કેમ્પસ અને શિક્ષણ જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સફાઈ કર્મીએ જોયો મૃતદેહ
- Advertisement -
બનાવની વિગત મુજબ, હોસ્ટેલના રૂમમાં અસ્મિતા પટેલ નામની વિદ્યાર્થીની એકલી હતી ત્યારે તેણે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે બીએસસીના નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ ઘટના હોસ્ટેલના રૂમ નંબર A 208માં બની હતી. હોસ્ટેલનો સફાઈ કામદાર જ્યારે રૂમ સાફ કરવા પહોંચ્યો અને અંદરથી કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે શંકા જતાં દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં જોઈ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
પોલીસ તપાસ અને પરિવારમાં શોક
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. નવસારીમાં રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ ઘેરા શોક સાથે મહેસાણા આવવા રવાના થયા છે. પરીક્ષા પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થિનીએ આટલું આકરું પગલું કેમ ભર્યું તે હજુ રહસ્ય છે. પોલીસ હાલ આત્મહત્યા પાછળનું કારણ જાણવા ઝીણવટભરી તપાસ કરી રહી છે.




