મરીન ડ્રાઇવ પર ક્રિકેટ પ્રેમીઓનો સૈલાબ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.5
ટી 20 વર્લ્ડ કપની ફાઈલમાં દક્ષિણ આફ્રિકાને રગદોળી વિશ્ર્વ ચેમ્પિયન બનેલી રોહિત શર્માના વડપણ હેઠળની ભારતીય ટીમની આજે મોડી સાંજે મુંબઈમાં યોજાયેલી વિક્ટરી માર્ચમાં વિશ્વ વિજેતાઓનાં ઓવારણાં લેવા માટે લાખો ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડતાં મરીન ડ્રાઈવ ખાતે અભૂતપૂર્વ જનસૈલાબનાં દૃશ્યો સર્જાયાં હતાં. સાંજે પાંચ વાગે યોજનારી વિક્ટરી માર્ચ લગભગ ત્રણ કલાક મોડી ચાલુ થઈ હતી પરંતુ ક્રિકેટ રસિકોએ તો બપોરથી જ મરીન ડ્રાઈવના સમગ્ર રોડને જામપેક કરી દીધો હતો. મુંબઈ પોલીસે એક તબક્કે સોશિયલ મીડિયા દ્વારા લોકોને મરીન ડ્રાઈવ નહિ આવવા અપીલ કરવી પડી હતી. બીજી તરફ સ્ટેડિયમ આસપાસ પણ પોલીસે લાઉડ સ્પીકર પર લોકોને પાછા જતા રહેવા જણાવવું પડયું હતું.
- Advertisement -
વેસ્ટર્ન રેલવેએ સાંજ પછી વધારાના પ્રવાસીઓના રશને પહોંચી વળવા વિશેષ લોકલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી.આશરે 33 હજારની ક્ષમતા ધરાવતાં વાનખેડે સ્ટેડિયમમાં ટિકિટ વિના એન્ટ્રીની છૂટ હોવાથી લોકોએ ગેટ ખુલ્યા પછી રીતસર દોટ લગાવી હતી અને માત્ર 15 મિનીટમાં જ સમગ્ર સ્ટેશન જામપેક થઈ ગયું હતું. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડયા અક્ષર પટેલ, બુમરાહ , સૂર્ય કુમાર યાદવ સહિતના ખેલાડીઓ ઓપન ડબલ ડેકર બસમાં હાથમાં વિશ્વ કપ ટ્રોફી સાથે જનમેદનીનું અભિવાદન ઝીલવા નીકળ્યા ત્યારે તેમની ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. ગયા શનિવારે ફાઈનલ મેચ જીત્યા બાદ જોકે, બાર્બાડોસમાં ભયંકર વાવાઝોડું આવતાં ટીમ ઈન્ડિયા ત્યાં ફસાઈ ગઈ હતી. આખરે પરિસ્થિતિ સુધરતાં ત્યાંથી ખાસ ચાર્ટ્ડ ફલાઈટ દ્વારા ગઈ કાલે તેઓ સ્વદેશ પરત આવવા રવાના થયા હતા. આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીમના બ્રેકફાસ્ટ બાદ મુંબઈમાં સાંજે વાનખેડે સ્ટેડિયમમાં જાહેર અભિવાદન તથા બીસીસીઆઈ દ્વારા ઈનામ અર્પણ કરવા સહિતના કાર્યક્રમોની જાહેરાત થઈ હતી. સાંજે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચેલી ટીમની ફલાઈટને વોટર કેનન દ્વારા ગ્રાન્ડ વેલકમ અપાયું હતું.
રોડ શો પહેલા રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો
ભારતીય ટીમના રોડ શો માટે ગુજરાતમાંથી બસ મંગાવાઇ: આદિત્ય ઠાકરે ગુસ્સે થયો
- Advertisement -
ભારતીય ટીમના આ રોડ શો પહેલા જ રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો છે. ભારતીય ટીમનો રોડ શો કાઢવા માટે ગુજરાતમાંથી બસ મંગાવવામાં આવી છે અને ભારતીય ટીમના સ્વાગત માટે ગુજરાત રાજ્ય સરકારે મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે, એવો આક્ષેપ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કર્યો છે. વિશ્વ વિજેતા ભારતીય ટીમનું આજે સાંજે મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિક્ટરી રોડ શો કરવામાં આવશે. પરંતુ આ વિક્ટરી રોડ શો માટે લાવવામાં આવેલી બસને લઈને વિવાદ સર્જાયો છે. જેના જવાબમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે અમે પહેલા જ કહી દીધું છે કે આ સિંદે સરકાર પણ તેની સરકાર ગુજરાતમાં શિફ્ટ કરશે. કારણ કે તેણે ગુજરાત સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હું વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમને અભિનંદન આપું છું. પણ મૂળ વાત એ છે કે ક્રિકેટરોને આવકારવા માટે ગુજરાતથી મહારાષ્ટ્રની બસો શા માટે? એવો સવાલ આદિત્ય ઠાકરેએ ઉઠાવ્યો છે.