ગુજરાતમાં કોરોના સંક્રમણને ડામવા માટે રાજય સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો ભરવાની મુદત આવતીકાલે પૂરી થાય છે તે સમયે હવે સરકાર આ નિયંત્રણો તા.20 મે સુધી લંબાવવા તૈયારી કરે તેવા સંકેત છે. તે વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટમાં રાજયના કોરોના સંક્રમણ અંગે સુઓમોટો સુનાવણી સમયે હાઇકોર્ટ દ્વારા લગ્ન સમારોહ માટે હાલ જે 50 લાકોની હાજરીની મંજૂરી છે તે ઘટાડવા માટે અને અંતિમયાત્રામાં પણ 20ના બદલે ઓછા લોકો હાજર રહે તે નિશ્ચિત કરવા રાજય સરકારને સુચન કર્યુ છે. હાઇકોર્ટમાં આજે જણાવાયુ હતું કે હજુ પણ કોરોના પ્રોટોકોલનું પુરતું પાલન થતુ નથી અને રાજયમાં કેસ ઘટયા છે. પરંતુ ફરી તે વધી શકે છે. તેથી હાલની સ્થિતિમાં નિયંત્રણ જરૂરી છે. બીજી તરફ રાજય સરકાર જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેથી નાઇટ કર્ફયુ સહિતના નિયંત્રણોમાં વધુ નાના શહેરો અને ગામડાઓને સમાવે તેવી શકયતા છે. સરકાર હાલ નિયંત્રણોમાં કોઇ છુટછાટ નહી આપે પણ હાઇકોર્ટના સૂચનને સ્વીકારે તો આ નિયંત્રણો વધી શકે છે અને આજે સાંજે મુખ્યમંત્રીના અઘ્યક્ષ પદે કોર ગ્રુપની બેઠક મળનાર છે. જેમાં હાઇકોર્ટના સૂચન અંગે પણ વિચારણા થશે.


