મોબાઇલમાં ઓટીપી આવ્યા બાદ ઇ-વે બીલ કે ઇ-ઇનવોઇસ બનશે
ખાસ-ખબર સંવાદદાતા
100 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવનારે ઇ-ઇનવોઇસ કે ઈ-વે બિલ બનાવવા માટે આગામી 15 જુલાઈથી નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 5-4 બિલ કે ઇ-ઇનવોઇસ બનાવવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો નિયમ લાગુ કરાયો છે. પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર માટે ફરજિયાત ઇ-ઇનવોઈસ બનાવવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
- Advertisement -
જયારે તેની શરૂઆત 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારાઓથી કરવામાં આવી હતી. તબક્કાવાર તેમાં ઘટાડો કરીને પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારાઓને તે નિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બોગસ બિલિંગના વધતા કેસને ધ્યાને રાખીને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો નિયમ લાગુ કરવાનું નક્કી કરાયું છે. આ લાગુ કરવા પાછળનો હેતુ એવો પણ છે કે છેલ્લા કેટલાક સમયથી જીએસટી વિભાગેપકડેલા બોગસ બિલિંગના કેસમાં શ્રમજીવીના નામે બોગસ પેઢી બનાવીને કરોડોનો ખેલ કરવામાં આવતો હોય છે. આવા કિસ્સામાં સરકારને આઇટીસી ગુમાવવાની સાથે મોટી આવકમાંથી પણ હાથ ધોવા પડતા હોય છે. તે સમસ્યાના કાયમી નિરાકરણ માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો નિયમ લાવવામાં આવ્યો છે.
તેના કારણે ઇ-ઈનવોઇસ કે ઈ-વે બિલ બનાવતી વખતે જીએસટીમાં રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી જશે. તે ઓટીપી આપ્યા બાદ જ ઈ-વે બિલ કે ઇ-ઇનવોઈસ બનશે. આવક વધારવા માટે જીએસટીમાં નવા નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે. તેના કારણે બોગસ બિલિંગના કેસમાં ચોક્કસપણે ઘટાડો થવાની શક્યતા રહેલી છે. જોકે જીએસટી લાગુ થયા બાદ ઝડપથી આવા નિયમ લાવવામાં આવ્યા હોત તો બોગસ બિલિંગના જે કરોડોના કૌભાંડ પકડાય છે તેમાં ચોક્કસપણે ઘટાડો પણ થઇ શકયો હોત.