પ્રવેશ પાત્રતાનો નિયમ 6 વર્ષ કરાતા ધો.1માં બાળકો ઘટ્યા
જિલ્લામાં ગયા વર્ષે 35 હજાર વિદ્યાર્થી સામે આ વર્ષે ધો.1માં માત્ર 18 હજાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ પ્રવેશ આપવાનો નિયમ અમલી કરવામાં આવતા રાજકોટ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જિલ્લાની 116 સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં એકપણ વિદ્યાર્થીનું ધોરણ 1માં એડમિશન થયું નથી. એટલે કે 116 સ્કૂલમાં ચાલુ વર્ષે ધોરણ 1નો કોઈ વર્ગ નહીં હોય. પ્રવેશ પાત્રતા ફરજિયાત 6 વર્ષ કરવામાં આવતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.
જ્યારે બીજીબાજુ ગયા વર્ષે ધોરણ 1માં 35 હજારથી વધુ બાળકોના પ્રવેશ થયા હતા જ્યારે આ વર્ષે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી તમામ શાળાના કુલ અંદાજિત 18 હજાર જેટલા બાળકોએ પ્રવેશ લીધો છે. એટલે કે ગયા વર્ષ કરતા આશરે 17 હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. નવા શૈક્ષણિક વર્ષ 2023-24 થી ધો.1માં પ્રવેશ માટે 31મી મે 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ બાળકોને પ્રવેશનો નિયમ બનાવ્યો છે.
જોકે સરકારનો 5 વર્ષ પૂરા કરનાર બાળકો માટે પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને શિક્ષણનો પાયો મજબૂત કરવાનો હેતુ રહેલ છે. 31 મેની સ્થિતિએ જે બાળકને 6 વર્ષ પૂરા થયા ન હોય તેવા રાજ્યમાં આશરે 3.50 લાખથી વધુ બાળકો હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ બાળકોનું વર્ષ વેડફાય નહીં તે માટે તેમને બાલવાટિકામાં પ્રવેશ અપાયો હતો.
- Advertisement -
12,500 બાળકોને 6 વર્ષ પૂરા નહીં થતા બાલવાટિકામાં પ્રવેશ
સરકારના નિયમાનુસાર 5 વર્ષ ઉપરના અને 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકો ઘરે બેસાડવા યોગ્ય નથી. નવી શિક્ષણ નીતિ મુજબ બાળકો શાળાના વાતાવરણથી પરિચીત થાય તે માટે બાલવાટિકા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં અંદાજિત 12,500 જેટલા બાળકોને જુદી જુદી બાલવાટિકામાં પ્રવેશ અપાયો હતી. આ બાળકોને પણ ધો.1ના બાળકોને અપાતા પ્રવેશોત્સવની સાથે એડમિશન અપાયું હતું.