અખિલેશ યાદવે કહ્યું- ભાજપ નકારાત્મક રાજનીતિ કરી રહ્યું છે, યુપીનો વિકાસ રોક્યો; હવે ગુજરાત આપશે મોદીને મસ્ત સરપ્રાઈઝ
ઉત્તરપ્રદેશ જીતવા માટે દરેક રાજકીય પક્ષ તેનું એડી- ચોટીનું જોર લગાવીને મહેનત કરી રહી છે. દરેક પાર્ટી તેમના ઉમેદવાર જાહેર કરતાં એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આવી રાજકીય ખેંચતાણ વચ્ચે નેતાઓના પક્ષપલટા પણ ચાલી રહ્યા છે. જયારે આજે ગાઝિયાબાદમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ અને RLD અધ્યક્ષ જયંતી ચૌધરીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા.
અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપે યુપીનો વિકાસ રોકી દીધો છે. તેથી જનતાએ બીજેપીનો રસ્તો સાફ કરવાનું નક્કી કરી લીધું છે. કોરોના દરમિયાન મજૂરોને જે પ્રમાણે તકલીફ પડી છે તે માટે બીજેપી જવાબદાર છે. મોદી સરકારમાં ખેડૂતો પણ ખૂબ પરેશાન થયા છે. આ વખતે ચૂંટણી ખેડૂતો અને મજૂરોની છે.
- Advertisement -
અખિલેશે કહ્યું કે, યુપીમાં ચૂંટણી પછી ગુજરાતમાં પણ ચૂંટણી થવાની છે અને બીજેપીને સારી સરપ્રાઈઝ તો ત્યાંથી મળશે. બીજેપી ગુજરાતમાંથી હારવા તૈયાર રહે. ભાજપ નકારાત્મક રાજનીતિ કરી રહયું છે.
આ પહેલાં બંને નેતાઓએ શુક્રવારે પણ મુઝફ્ફરનગરમાં જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અખિલેશે અહીં ચૌધરી ચરણ સિંહ ખેડૂતો વિશે જે ઊંચા- ઊંચા સપના જોયા છે તે વિશેની વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમારી સરકાર આવશે તો યુપીમાં કોઈ પણ કાળો કાયદો લાગુ નહીં કરાય. તે ઉપરાંત ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે. શેરડીનો ભાવ મેળવવા તેમને રાહ ના જોવી પડે તે માટે ફોર્મર કોર્પ ફંડ અને ફોર્મ રિવોલ્વિંગ ફંડ બનાવવામાં આવશે. તે સાથે જ શેરડીનું વળતર મેળવવા માટે 15 દિવસથી વધારે રાહ નહીં જોવી પડે.
અખિલેશે આગળ કહ્યું કે, જો અમારી સરકાર આવશે તો 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને સિંચાઈ માટે વીજળી માફ કરાશે. જ્યારે જયંત ચૌધરીએ એવું પણ કહ્યું કે, તેમનું આ ગઠબંધન ખેડૂતોના હિત માટેનું છે. આ વખતે બે ખેડૂત પુત્રો સાથે આવ્યા છે, એટલે હવે બીજેપીના સુપડા સાફ થવાનું નક્કી છે.
- Advertisement -
સપાની સાથે આ પાર્ટીઓનું થશે ગઠબંધન :
યુપીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી જયંત ચૌધરીની RLD સાથે મળીને ચૂંટણી મેદાનમાં છે. આ ગઠબંધનમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જનવાદી પાર્ટી, અપનાદળ, પ્રગતિશિલ સમાજવાદી પાર્ટી, મહાન દળ, ટીએમસી પણ સામેલ છે.
7 તબક્કામાં થશે ચૂંટણી :
યુપીમાં હાલમાં કુલ 403 સીટો છે. અહીં 7 તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કામાં આગામી તા. 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થવાનું છે. જેનું પરિણામ આગામી તા. 10 માર્ચે યુપી, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવાનું જાહેર થવાનું છે.