પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે : પાટીલ
વિજયભાઈએ રાજકોટ માટે ઘણાં કાર્યો કર્યા છે, તેમનાં અધુરા કાર્યો પૂર્ણ કરીશું
રાજકોટનું સંગઠન ઉમદા કાર્ય કરી રહ્યું છે
કોઈ જૂથવાદ નથી, ત્રણ દિવસનાં અંતરે બે સ્નેહ મિલનમાં કાર્યકરોએ ખેંચાવું ન પડે તેથી કાર્યક્રમ રદ્દ કર્યો
છેલ્લાં ઘણાં સમયથી રાજકોટ શહેર ભાજપમાં સળગી રહેલી જૂથવાદની હોળી પર પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે આજે રાજકોટ મુલાકાત દરમિયાન ટાઢું પાણી રેડી દીધું હતું. તેમણે જૂથવાદની વાતો નકારી હતી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં વખાણ કર્યા હતાં અને શહેર સંગઠનની પણ પ્રશંસા કરી હતી. આમ તેમણે ઠરેલપણાનો પરિચય આપતા શહેર ભાજપનો ઉકળાટ શમાવવા પ્રયાસ કર્યો હતો.
પાટીલના રંગે રંગાયું રાજકોટ ભાજપ
- Advertisement -
એરપોર્ટ પર પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખને આવકારવા માટે અમે એરપોર્ટ ખાતે સવારે સૌ ઉમટી પડ્યા છીએ. સી.આર. પાટીલાના સ્વાગત સમયે હજારો ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા અને બેન્ડની સૂરાવલિ સાથે કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શહેરમાં ચોકે ચોકે બેનર લગાડવામાં આવ્યા છે. બપોરે 3થી 4 સી.આર. પાટીલ ભાજપના અપેક્ષિત કાર્યકરો સાથે ગોષ્ઠી કરશે.
રાજકોટમાં પાટીલ બોલ્યા ‘અમે કોઈ કોંગ્રેસીને નહીં લઈએ’
મેં અમરીશ ડેરને કોઈ આમંત્રણ નથી આપ્યું : સી.આર. પાટીલ
- Advertisement -
પાટીદાર આંદોલનમાં જે કેસ પરત નથી ખેંચાયા તે પરત ખેંચાશે
ખાસ-ખબર સંવાદદાતા
સી.આર.પાટીલ હાલ રાજકોટની મુલાકાતે છે.. ત્યારે સી.આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે અમરીશ ડેરને કોઈ આમંત્રણ આપ્યું નથી બલકે મારા નિવેદનને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યું છે, વધુમાં પાટીલે કહ્યું કે હવે કોઈ કોંગ્રેસીને પક્ષમાં લેવા તૈયાર નથી, અને કોઈને પણ પાર્ટીમાં નહીં લઈએ તેવું જણાવ્યું હતું.
સી.આર. પાટીલે નોનવેજની લારીઓ મુદ્દે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે લારીઓ હટાવવાનો કોઈ મતલમ નથી.. આવી કોઈ જોગવાઈ બંધારણમાં નથી…આ મામલે તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
વધુમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે પણ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે, પાટીદાર આંદોલનમાં અગાઉ કેટલાક કેસો રદ કર્યા છે ત્યારે જે કેસ પરત નથી ખેંચાયા તે પણ પરત ખેંચાશે, પાટીલે 78 જેટલા કેસો પરત લેવાની કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકારે જ વાયદો કર્યો તેના પર અડગ છે તેવું ચોક્કસપણે પાલન થશે. પ્રેસ-કોન્ફરન્સમાં પાટીલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી. આ ઉપરાંત પાટીલે જણાવ્યું હતુ કે, રાજકોટ ભાજપમાં કોઇ જૂથવાદ નથી. અને વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે.
ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાતમાં રાજકોટના અમુક દિગ્ગજ નેતાની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી. આ ગેરહાજરીએ રાજકીય ચર્ચા જગાવી છે. ત્યારે બીજી તરફ રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સુરત ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા નીકળી ગયા છે.
રાજુ ધ્રુવે ફરી દોઢ ડહાપણ ડહોળ્યું


રાજકોટ ભાજપનાં રાજુ ધ્રુવ આજે પોતાના ડહાપણનાં કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. વાત જાણે એમ હતી કે, ભાજપનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે તે વેળાએ સરકીટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદને તેઓ સંબોધવાના હતા તે વેળાએ રાજુભાઈ સી.આર. પાટીલની બાજુમાં બેસી ગયા હતા, જો કે બાદમાં તેમને ત્યાંથી ઉભા કરવામાં આવતા રાજુ ધ્રુવ અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા જે તસવીર નં.1 થી 4માં નજરે પડે છે.
પ્રદેશાધ્યક્ષ બન્યા પછી સી. આર. પાટીલ સૌ પ્રથમ વખત રાજકોટ આવ્યા ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં વધુ પડતું દોઢ ડહાપણ ડહોળતાં રાજુ ધ્રુવને જાહેરમાં ટપાર્યા હતાં. તેમાંથી જાણે કશો જ બોધપાઠ મેળવ્યો ન હોય તેમ આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી રાજુ ધ્રુવએ પોતાની લાયકાત કરતાં વધુ ડહાપણ દેખાડવાનો પ્રયાસ કરતાં તેમણે અપમાનજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં માત્ર પાટીલ જ ખુરશી પર બેઠાં હતાં અને રામભાઈ મોકરીયા, ડૉ. ભરત બોઘરા, ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી સહિતનાં આગેવાનો ખડેપગે હતાં ત્યારે રાજુ ધ્રુવ બરાબર પાટીલની બાજુમાં ખુરશી ખડકીને ગોઠવાઈ ગયા હતાં. પાછળ ઉભા અગ્રણીમાંથી કોઈએ તેમને શિષ્ટાચારનું ભાન કરાવીને તેમને ખુરશી પરથી ઉભા કર્યા હતા.
ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં ઉદ્યોગપતિઓ સાથે સ્નેહમિલન યોજાયું

શહેરમાંથી રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા મેયરને પાટીલની સૂચના
નાના ઉદ્યોગોને સૂચિતમાંથી રેગ્યુલાઈઝ કરવા કામગીરી ચાલુ: પાટીલ
ખાસ-ખબર સંવાદદાતા
આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજ્યા બાદ સી.આર. પાટીલ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. અહીં રાજકોટના અલગ અલગ 44 જેટલા એસોસિએશનના હોદ્દેદારો અને જાણીતા ઉદ્યોગપતિઓને મળી તેમની સાથે ચર્ચા કરતા સી. આર. પાટીલે ચાલુ સ્નેહમિલનમાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવને સૂચનાઓ આપી હતી. તેઓએ મયેરને ટકોર કરી કહ્યું હતું કે, રસ્તે રઝળતા ઢોર મુદ્દે કામ કરો. રસ્તે રઝળતા ઢોર 100 ટકા દૂર થાય તે મામલે કામ કરો. મંદિરો આસપાસ ભિક્ષુકો પણ ન હોવા જોઇએ. રજકોટમાં એક પણ કૂપોષિત બાળક ન રહે તે માટે કામ કરો. ગુજરાત સરકાર 10થી 15 વીઘા જગ્યા ગૠઘને આપી ઢોર સાચવવા વ્યવસ્થા ગોઢવવા અંગે વિચારણા કરી રહી છે. ઇન્ડસ્ટ્રીના વિકાસનો પ્લાન બનાવવો જોઈએ અને તેમાં અમે તમને મદદ કરીશું. વોટની અમે ચિંતા કરતા જ નથી. જે કામ થતા હશે એ કરી જ દઇશું. નહીં થાય એવા કામમાં ચોખ્ખા શબ્દમાં ના કહીશું.
નવા પ્રોજેક્ટમાં સમયસર ગ્રાન્ટ આપવામાં આવશે
સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે, પ્રદુષણને તમે પ્રશ્ર્ન ગણતા નથી પણ પ્રશ્ર્ન હશે તો જરૂર ૠઙઈઇમાં પણ ફેરફાર કરવામાં આવશે. પ્રદૂષણ કેમ ઘટી શકે આ અંગે કામ કરવા ૠઙઈઇને કહેવામાં આવશે. નવી ટેક્નોલોજી સાથે આગળ વધે તો પ્રદૂષણ ઘટાડી શકાય. ઇન્ડસ્ટ્રી એ પ્રશ્ર્ન નહિ એની સાથે સજેશન પણ આપે એવું હું માનું છું. વિજયભાઈએ ખૂબ કામો કર્યા છે, હું ખાતરી આપું છું. વિજયભાઈના કાર્યકાળમાં નક્કી થયેલા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવશે અને નવા પ્રોજેક્ટમાં સમયસર ગ્રાન્ટ આપવામાં આવશે.
સબસિડી આપી પણ તમારા તરફથી રિસ્પોન્સ ન આવ્યો: પાટીલ
સ્નેહમિલનમાં પાટીલે ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું કે, મારી એક મૂંઝવણ છે જેનો તમે લોકો જ ઉકેલ આપી શકો છો. તમે બધા ઉદ્યોગ ક્ષેત્રના મહારથીઓ છો. ઉદ્યોગોના પ્રશ્નો આવતા જ હોય છે. પરંતુ તેનો ઉકેલ થયા પછી નવા પ્રશ્ર્નો આવતા નથી. ઉદ્યોગોને 750 કરોડની સબસીડી 1 મહિનાની અંદર પહોંચી ગઈ છે. આથી તમારા તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. નાના ઉદ્યોગોને સૂચિતમાંથી રેગ્યુલાઈઝ કરવા કામગીરી ચાલુ છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી આગળ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરશે. આ અંગે 11 લોકોની કમિટી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નો શક્ય હશે તે તત્કાલમાં હલ કરી દઇશું. પ્રથમ વખત મળ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના જ હતા. હવે તમારા મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટના છે. આથી પ્રશ્નોનો ઉકેલ આવશે જ. ઇન્ડસ્ટ્રીને આપવામાં આવતું પાણીનું ભાડું ઘટાડવું જોઈએ તે મામલે મુખ્યમંત્રીને મેં રજુઆત કરી છે.
સ્નેહમિલનમાં ડેપ્યુટી મેયરને ખુરશી ન મળી!

ઈમ્પીરિયલ પેલેસમાં યોજાયેલાં આ સ્નેહ મિલનમાં રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહને આઠ મિનીટ સુધી ઉભું રહેવું પડ્યું હતું. કારણ કે, ખુરશી ન મળતા તેઓ ઉભા રહ્યા હતા. બાદમાં ખુરશીની વ્યવસ્થા કરાતા તેઓ બેસી ગયા હતા.



