પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પરબ – ગુરુનાનક જયંતિના દિવસે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સંસદના શિયાળુ સત્ર દરમિયાન કૃષિ અધિનિયમને પાછો ખેંચવા માટે બંધારણીય સુધારો બિલ લાવવામાં આવશે. ખેડૂતોને આંદોલન પાછું ખેંચવા અપીલ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની માફી પણ માંગી હતી. કૃષિ કાયદો રદ્દ કરવાના પ્રધાનમંત્રી મોદીના નિર્ણય અને ખેડૂતોની માફી અંગે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવવાની સતત ચાલુ છે ત્યારે કૃષિ કાયદા રદ્દ કરવાનો નિર્ણય અને માફી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાછીપાની નથી પરંતુ સમજી-વિચારીને ભરવામાં આવેલું પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભલે દેશ સામે માફી માંગી હોય પણ આ માફી પાછળ પ્રધાનમંત્રી મોદીનો માસ્ટરસ્ટ્રોક છુપાયેલો છે.
મોદી સરકારના ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ સૌપ્રથમ પંજાબમાં શરૂ થયો હતો. પંજાબના ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી દિલ્હીની સિંઘુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈરાદો કૃષિ કાયદા રદ્દ કરી પંજાબના ખેડૂતોનું દિલ જીતી સત્તામાં આવવાનો છે. આ માસ્ટરસ્ટ્રોકથી પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળની નિકટતા પણ વધારશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ સાથે આવી શકે છે. ભાજપને પંજાબમાં ફાયદો થશે.
- Advertisement -
આ સિવાય આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસ્ટરસ્ટ્રોકથી ભાજપ પશ્ચિમ યુપી સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. જાટ સમુદાયને ભાજપની બહુ મોટી વોટ બેંક માનવામાં આવે છે, તેથી કૃષિ કાયદો રદ્દ કરવાના નિર્ણયને જાટ વોટ બેંક સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યો છે. ભાજપને છેલ્લી ચૂંટણીમાં જાટ વોટનો ફાયદો થયો હતો. પંજાબ, ઉત્તરપ્રદેશ સાથે હિમાચલપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, તેથી કૃષિ કાયદા રદ્દ કરવાના નિર્ણયથી ખેડૂતોની નારાજગી ઓછી થશે. આમ, આવનારી વિધાનસભા ચૂંટણીઓ, પેટ્રોલ-ડિઝલના ભાવ, મંદી-મોંઘવારી, કોરોનાની માર વગેરે ઘણા કારણોને ધ્યાનમાં રાખી બહુ જ ચતુરાઈપૂર્વક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માફી સાથે કૃષિ કાયદા રદ્દ કરી માસ્ટરસ્ટ્રોક ફટકારી દીધો છે.



