રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના કૌભાંડથી ખદબદી રહી છે
અધિકારીઓ, પદાધિકારીઓ અને દસ્તાવેજ કરી આપનારનાં નામ ખૂલશે?
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વિવિધ આવાસ યોજનાઓમાં ગેરરીતિ અને કૌભાંડોની ચર્ચાઓ વચ્ચે વધુ એક મોટો ખુલાસો થવાની શક્યતા સેવાઈ રહી છે. આવાસ વિભાગના તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવીને એક જાગૃત નાગરિકે મનપાના મહેકમ વિભાગમાં માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ અરજી કરી ત્રણ મહત્વના મુદ્દાઓ પર દસ્તાવેજી પુરાવા અને વિગતો માંગી છે, જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મનપાના આવાસ વિભાગમાં ફ્લેટની ફાળવણીથી લઈ ભરતી પ્રક્રિયા ચાલી રહેલી ગેરરીતિઓને ઉજાગર કરવાના હેતુથી કરવામાં આવેલી આ આરટીઆઈના કારણે સંબંધિત વિભાગોમાં ચર્ચાએ જોર પકડયું છે. તંત્ર દ્વારા જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલી આ માહિતી આપવામાં આવશે કે કેમ અને તેમાં કેવા ખુલાસા થશે તેના પર સૌની નજર ટકેલી છે. તદુપરાંત રોજબરોજ બહાર આવી રહેલી આવાસ યોજનાના સમગ્ર ગરબડ ગોટાળા મામલે મનપાના મેયર અને કમિશનરની કાર્યવાહી શું રહેશે એ પણ જોવું રહ્યું.
RTI હેઠળ માંગવામાં આવેલી મુખ્ય વિગતો
આવાસ ફ્લેટ દસ્તાવેજ પ્રક્રિયા : જનક કોટક ટાઉનશિપમાં લાભાર્થી ગીતાબેન અનિલભાઈ કંસારાને ફાળવાયેલા આવાસ ફ્લેટ નં. C-1101નો દસ્તાવેજ કોણે, ક્યારે અને કેટલા સમયગાળામાં કરી આપ્યો તેની વિગતો માંગવામાં આવી છે. આ સાથે દસ્તાવેજની નકલ તેમજ જે વકીલને તેની સોંપણી કરવામાં આવી હતી તેમની આવક-જાવકની સત્તાવાર નોંધની નકલ પણ તંત્ર પાસેથી તલબ કરાઈ છે.
- Advertisement -
આવાસ મેનેજરની ભરતી અંગે પુરાવા : આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહની ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો, તેમના શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, બીએસએફમાંથી નોકરી છોડયાના પુરાવા, ધર્મ પરિવર્તન કરી હિન્દુ ધર્મ અંગીકાર કરવા સંબંધિત સરકારી ગેઝેટની નકલ તેમજ પાન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત માહિતી સહિતના સત્તાવાર રેકર્ડની નકલો માંગવામાં આવી છે.
પેનલ એડવોકેટની કામગીરીની વિગતો : આવાસ યોજનાના પેનલ એડવોકેટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરવામાં આવેલી અરજીઓ, તે અરજીઓના અનુસંધાને પાઠવવામાં આવેલી કાનૂની નોટિસો તેમજ તેના જવાબોની વિગતવાર નકલો માંગવામાં આવી છે.
મંગલપાંડે ટાઉનશિપમાં મનપા કર્મીઓની ગોઠવણની પોલ ખુલી : બ્લોક-ફલેટ નંબર સહિતની વિગત મેળવાઈ
રાજકોટના વિમલનગર વિસ્તારમાં વસંત મારવેલ પાસે આવેલી ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપના સી-૪૦૮માં મનપમાં હેડ કલાર્કની ફરજ બજાવતા અજય મનુભાઈ પરમારે ફ્લેટ લઈ વેચી દીધો હોવાની સ્ફોટક વિગત બહાર આવ્યા બાદ એ જ ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપમાં સરકારી આવાસોની લહાણીમાં કોર્પોરેશનના કર્મચારીઓની સીધી સંડોવણી હોવાની વધુ વિગતો બહાર આવી છે. આ ટાઉનશિપના A1 બ્લોકમાં કોર્પોરેશનના એક કર્મચારીનો ફ્લેટ આવેલો છે. A2 બ્લોક (ફ્લેટ નં. ૮૦૬)માં મહેશભાઈ નામના કર્મચારીનો ફ્લેટ આવેલો છે. A2 બ્લોક (ફ્લેટ નં. ૯૦૮)માં રાજેન્દ્રભાઈ નામના કર્મચારીનો ફ્લેટ હોવાનું સામે આવ્યું છે, જોકે આ ફ્લેટનો સત્તાવાર દસ્તાવેજ થયો છે કે નહીં તે હાલ તપાસનો મોટો વિષય બન્યો છે, લાભાર્થીએ મેન્ટેનન્સ ભરી આપ્યું છે. આ ઉપરાંત C1 બ્લોકમાં વ્યાસભાઈ નામના કર્મચારીનો ફ્લેટ, C2 બ્લોકમાં પારેખભાઈ નામના કર્મચારીનો ફ્લેટ, D1 બ્લોકમાં પરમારભાઈ નામના કર્મચારીનો ફ્લેટ આવેલો છે જેઓ કોર્પોરેશન સાથે સંકળાયેલા છે. એક જ ટાઉનશિપમાં આટલી મોટી સંખ્યામાં કોર્પોરેશનના જ કર્મચારીઓ અને બાબુઓના ફ્લેટ હોવાની આ વિગતો બહાર આવતાં સમગ્ર સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લાયકાતના માપદંડો, આવકની મર્યાદા તેમજ ડ્રો પ્રક્રિયાની પારદર્શિતાને નેવે મૂકીને આ કર્મચારીઓએ કેવી રીતે આવાસો મેળવ્યા અને તેમાં દસ્તાવેજ તેમજ ફાળવણીના નિયમોનું પાલન થયું છે કે કેમ તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. અલબત્ત આ ફ્લેટ પર લાભાર્થી ખુદ રહે છે કે ફ્લેટ ભાડે આપવામાં અથવા વેંચી દેવામાં આવ્યો છે તેની વિગતો પણ મેળવાઈ રહી છે.




