વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવા બાયો-એનજીર્ને પ્રોત્સાહન અપાશે
વિવાદ વચ્ચે PMના સલાહકાર તરણ કપૂરનો ખુલાસો; E20 પ્રોગ્રામની સફળતા બાદ મર્યાદા વધારાશે
- Advertisement -
ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વર્તમાન જરૂરિયાત કરતાં વધુ હોવાથી સરકાર ડીઝલ માટે પણ નવું આયોજન કરશે
ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને લઇને દેશભરમાં વિવાદની સ્થિતિ છે એવામાં હવે સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ હજુ પણ વધારવા વિચારી રહી છે. હાલમાં ૨૦ ટકા ઇથેનોલવાળું પેટ્રોલ એટલે કે E20 મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ ૨૦ ટકાની મર્યાદાને વધારી દેવાશે અને વધુ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવી શકે છે. આ ખુલાસો ખુદ વડાપ્રધાનના સલાહકાર તરુણ કપૂર દ્વારા કરવામાં આવ્યો છે. ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી કોન્ફરંસને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરુણ કપૂરે કહ્યું હતું કે E20 પ્રોગ્રામ અત્યાર સુધીમાં ઘણો જ સફળ રહ્યો છે. અનેક ઓટોમોબાઇલ કંપનીઓ ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો લોન્ચ કરવાની તૈયારીમાં છે. હવે આગામી દિવસોમાં અમારુ ધ્યાન ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો પર રહેશે અને E20થી પણ વધુની છૂટ આપવામાં આવી શકે છે. વેસ્ટ એશિયાના સંકટ વચ્ચે બાયોફ્યૂઅલ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. હાલમાં ભારતમાં જે કઇ ઇંધણ તરીકે ઉપયોગી થઇ શકે તેમ છે તેને ઉપલબ્ધ કરાવવા પર અમારુ ધ્યાન છે. હાલમાં E20 એટલે કે ઇથેનોલવાળા પેટ્રોલની ટિકા થઇ રહી છે તે અંગે સ્પષ્ટતા કરતા વડાપ્રધાનના સલાહકાર કપૂરે વધુમાં દાવો કર્યો હતો કે આ તમામ ટીકાઓ અધુરી માહિતીના આધારે થઇ રહી છે.
સંશોધનોમાં સામે આવ્યું છે કે E20 ખરેખર ઉપયોગી સાબીત થઇ રહ્યું છે. નોંધનીય છે કે ફ્લેક્સ ફ્યૂઅલ વાહન એટલે કે એફએફવી એવા પ્રકારના વાહનો માનવામાં આવે છે કે જે પેટ્રોલ, ઇથેનોલ, મિથેનોલ વગેરે વૈકલ્પીક ઇંધણનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે. પીએમના સલાહકારે વધુમાં કહ્યું હતું કે હાલમાં ઇથેનોલ ઉત્પાદનની ક્ષમતા બ્લેન્ડિંગની વર્તમાન જરૂરિયાત કરતા પણ વધુ છે. સરકારનું આયોજન માત્ર પેટ્રોલ પુરતુ નથી, ડીઝલમાં બાયોફ્યૂઅલ આધારિત એડિટિવ્સના ઉપયોગ પર પણ કામ ચાલી રહ્યું છે.




