આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ફ્લેટ વેંચી નાંખ્યો!
રાજકોટમાં આવેલી વિવિધ આવાસ યોજનાઓમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. મનપા આવાસ યોજના વતી સત્તાવાર દસ્તાવેજ કરી આપનાર ક્લાર્ક અજય
મનુભાઈ પરમારે પોતે જ આવાસ યોજનામાં ફ્લેટ મેળવી લીધો હોવાનો પર્દાફાશ થયા બાદ આ અંગેની વધુ સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે.
શહેરના વિમલનગર વિસ્તારમાં વસંત મારવેલ પાસે આવેલી ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપના સી-૪૦૮માં અજય મનુભાઈ પરમારે મેળવેલો ૩ બીએચકે વેચી નાખ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરકારી
યોજનાના ફ્લેટ ચોક્કસ મુદત સુધી વેચી શકાતા ન હોવાના કડક નિયમોના ખુલ્લેઆમ લીરેલીરા ઉડાવીને અજય પરમારે મેળવેલો ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપનો સી-૪૦૮ ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી પણ નાખ્યો છે.
જરૂરિયાતમંદ અને મધ્યમવર્ગીય પરિવારો વર્ષો સુધી પોતાના આશિયાના માટે રાહ જોતા હોય છે, ત્યારે સરકારી તંત્રના જ જવાબદાર કર્મી દ્વારા આ રીતે મોંઘાદાટ ફ્લેટ મેળવીને તેનું ગેરકાયદે વેચાણ કરી આર્થિક લાભ
ખાટવાની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ સમગ્ર મામલે ઉચ્ચ
કક્ષાએથી તટસ્થ તપાસ હાથ ધરીને જવાબદારો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં ચાલતી ગેરરીતિઓનો વ્યાપ માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ પૂરતો સીમિત ન હોવાનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. શહેરના વિમલનગર વિસ્તારમાં
વસંત મારવેલ પાસે આવેલી ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપમાં કોર્પોરેશનના ડઝનેક જેટલા ઉચ્ચ અધિકારીઓના પણ આવાસો આવેલા હોવાની વિગતો સામે આવી છે. અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે સરકારી યોજનાના
લાભાર્થી બનેલા આ મનપા બાબુઓ પૈકીના મોટાભાગના અધિકારીઓ ત્યાં રહેવા જવાને બદલે આ ફ્લેટ અન્ય લોકોને ભાડે આપીને નિયમિત કમાણી કરી રહ્યા છે.
વાસ્તવમાં આવાસ યોજના જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારો માટે અમલમાં મૂકવામાં આવતી હોય છે, જેમાં ચોક્કસ સમય સુધી મકાન મેળવ્યા બાદ તેને ભાડે આપવા પર કે વેચવા પર સ્પષ્ટ સરકારી પ્રતિબંધ હોય છે.
આમ છતાં, મનપાના જ અધિકારીઓએ પોતાના પદ અને વગનો દુરુપયોગ કરી ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપમાં મકાનો મેળવી લીધા અને ત્યારબાદ નિયમોને ઘોળીને પી જઈ તેને ભાડે ચડાવી દીધા છે. આ અંગે વધુ વિગતો
મેળવાઈ રહી છે.
- Advertisement -
સામાન્ય નાગરિકો માટે વેઈટિંગ અને ડ્રો, બાબુઓ-નેતાઓ-મળતિયાઓને ઘરબેઠાં ફલેટની લ્હાણી!
રાજકોટમાં આવેલી વિવિધ આવાસ યોજનાઓ હવે ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારોના આશિયાના માટે નહીં પરંતુ તંત્રના મળતિયાઓ અને વગદારોના રોકાણનું સાધન બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં ચર્ચાતી
વાસ્તવિકતા મુજબ સરકારી આવાસ યોજનામાં ફ્લેટ મેળવવો હોય તો પાત્રતા કે જરૂરિયાત નહીં, પરંતુ અરજદાર કાં તો મનપાના અધિકારી કે પદાધિકારી હોવા જોઈએ અથવા તેમના મળતિયા હોવા અનિવાર્ય બની ગયું છે.
સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકો વર્ષો સુધી ફોર્મ ભરીને પોતાના એક પાકા મકાનની આશાએ ડ્રોની રાહ જોતા આંખો પથરાવી બેઠા હોય છે અને આખરે તેમના હાથમાં નિરાશા જ આવે છે જ્યારે બીજી તરફ સત્તા અને
હોદ્દાના જોરે મનપાના બાબુઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ અને તેમના સગાં-સંબંધીઓ નિયમોની ઐસીતૈસી કરીને ઘરબેઠાં ફ્લેટ મેળવી લે છે. અધૂરામાં પૂરું આવાસ યોજના માત્ર જરૂરિયાત પૂરતી હોવા છતાં આ વગદાર વર્ગ
આવા ફ્લેટ માત્ર ‘ઈન્વેસ્ટમેન્ટ’ સમજીને મેળવે છે અને પછીથી તેને ઊંચા ભાડે ચડાવી કે બારોબાર વેચીને અઢળક કમાણી કરે છે. સામાન્ય જનતા માટે કડક નિયમોનું પાલન કરાવતું તંત્ર પોતાના જ પદાધિકારીઓ અને
અધિકારીઓના આ ‘નેપોટિઝમ અને સેટિંગ’ સામે આંખ આડા કાન કરી રહ્યું હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો છે.




