ક્લીન ટ્રાન્સપોર્ટથી હરિયાળી સુધીના પ્રયાસો રંગ લાવ્યા : સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં રાજકોટની મોટી સિદ્ધિ
ગુજરાત કક્ષાએ વોર્ડ નં. ૨ દ્વિતીય અને વોર્ડ નં. ૫ તૃતીય સ્થાને, કુલ રૂ. ૨૫ લાખનું પ્રોત્સાહન
- Advertisement -
શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સતત પ્રયાસોને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ભારત સરકારના પર્યાવરણ, વન અને
જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અંતર્ગત હાથ ધરાયેલા ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬’માં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના ૪૮ શહેરોમાં રાજકોટ શહેરે ૭મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે વર્ષ ૨૦૨૫માં રાજકોટનો ક્રમ ૧૫મો હતો, જ્યારે વર્ષ ૨૦૨૬માં શહેરે નોંધપાત્ર પ્રગતિ કરીને સીધો ૭મો ક્રમ હાંસલ કર્યો છે. મોનિટરિંગ, સ્વચ્છ પરિવહન, હાઇપરલોકલ ડેટાના ઉપયોગ, શહેરી
હરિયાળી, કચરા નિવારણ અને વાયુ પ્રદૂષણના સ્ત્રોત આધારિત નિયંત્રણ માટે સતત હાથ ધરાયેલા પગલાંના પરિણામે રાજકોટને આ રાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેન ખીમાણીયા, શાસક પક્ષ દંડક
સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કીર્તિબા રાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ વાયુ અને પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ સ્તરે કરવામાં આવતી કામગીરી, જનજાગૃતિ
પ્રવૃત્તિઓ અને પ્રદૂષણ નિયંત્રણ માટેના પ્રયાસોને રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર માન્યતા મળી છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬ અંતર્ગત ગુજરાતમાં યોજાયેલા વોર્ડ કક્ષાના સર્વેક્ષણમાં પણ રાજકોટ શહેરના બે વોર્ડે નોંધપાત્ર સ્થાન
મેળવ્યું છે. વોર્ડ નં. ૨એ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ, જ્યારે વોર્ડ નં. ૫એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ દ્વિતીય ક્રમે આવેલા વોર્ડ નં. ૨ને રૂ. ૧૫ લાખ અને તૃતીય ક્રમે આવેલા વોર્ડ નં. ૫ને રૂ. ૧૦ લાખની રકમ
મળવાની છે. આમ રાજકોટના બંને વોર્ડને મળીને કુલ રૂ. ૨૫ લાખનું પ્રોત્સાહન પ્રાપ્ત થશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સુધારણા માટે વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં હવાની ગુણવત્તાના મોનિટરિંગ માટે ૫ મેન્યુઅલ AAQMS અને ૧ CAAQMS
દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત નાકરાવાડી ડમ્પસાઇટ ખાતે ૩૫ એકરમાં મિયાવાકી વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડમ્પસાઇટ અને અન્ય જાહેર સ્થળોએ મળીને ૬.૯૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર
કરવામાં આવ્યું છે. શહેરમાં વર્ષોથી એકત્રિત થયેલા કચરાના નિકાલ માટે પણ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપલબ્ધ માહિતી મુજબ ૭.૫ લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો વૈજ્ઞાનિક નિકાલ કરીને જમીનના
પુનઃઉપયોગની દિશામાં પણ કામગીરી કરવામાં આવી છે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટેના પ્રયાસોના પરિણામે રાજકોટમાં PM10ના સ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં
સરેરાશ PM10નું સ્તર ૧૫૦ µg/m³ હતું, જે વર્ષ ૨૦૨૫-૨૬માં ઘટીને ૯૪ µg/m³ થયું છે. અર્થાત્, આ સમયગાળા દરમિયાન PM10ના સરેરાશ સ્તરમાં અંદાજે ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે શહેરની વાયુ ગુણવત્તા સુધારણા
માટેની કામગીરીનું મહત્વપૂર્ણ પરિણામ માનવામાં આવી રહ્યું છે.
- Advertisement -
રાજકોટની બે પહેલને રાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓમાં સ્થાન
રાજકોટ માટે વધુ એક ગૌરવની બાબત એ છે કે શહેરની બે મહત્વપૂર્ણ પહેલને NCAP-૨૦૨૬ના રાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓના કમ્પેન્ડિયમમાં સ્થાન મળ્યું છે. તેમાં ૧૦૦ ટકા ક્લીન-ફ્યુઅલ મ્યુનિસિપલ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને
‘રાજકોટ RECON’ હાઇપરલોકલ ડેશબોર્ડનો સમાવેશ થાય છે.
ડીઝલમુક્ત બની મ્યુનિસિપલ બસ સેવા
રાજકોટની મ્યુનિસિપલ બસ ફલીટ હવે સંપૂર્ણપણે ડીઝલમુક્ત બની છે. શહેરમાં હાલમાં ૧૨૫ ઇલેક્ટ્રિક અને ૧૦૦ CNG સહિત કુલ ૨૨૫ ક્લીન-ફ્યુઅલ બસો કાર્યરત છે. કુલ બસ ફલીટમાં આશરે ૫૬ ટકા બસો ઇલેક્ટ્રિક છે
અને આ બસો દ્વારા દર મહિને અંદાજે ૧૫ લાખ પેસેન્જર મુસાફરી કરી રહ્યા છે. ડીઝલથી ક્લીન-ફ્યુઅલ તરફના આ પરિવર્તનથી વાહનોમાંથી થતા ઉત્સર્જન, ધુમાડો, રજકણો તેમજ એન્જિનના અવાજમાં ઘટાડો કરવામાં મદદ
મળી રહી છે. ઇલેક્ટ્રિક બસોના સુચારૂ સંચાલન માટે શહેરમાં ૩ ચાર્જિંગ સ્ટેશન ખાતે કુલ ૧૧૦ ચાર્જિંગ પોઇન્ટ પણ વિકસાવવામાં આવ્યા છે.
૧૧,૩૫૦ હાઇપરલોકલ અવલોકનો સાથે ‘RECON’ ડેશબોર્ડ
પ્રદૂષણના ચોક્કસ સ્ત્રોત સુધી પહોંચી અસરકારક કાર્યવાહી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા CEEWના ટેકનિકલ સહયોગથી ‘Rajkot RECON Survey Dashboard 2026’ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેશબોર્ડમાં
શહેરના તમામ ૧૮ વોર્ડની ૧૫ પ્રદૂષણ શ્રેણીઓ સંબંધિત કુલ ૧૧,૩૫૦ હાઇપરલોકલ અવલોકનો સંકલિત કરવામાં આવ્યા છે. આ ડેટાના આધારે પ્રદૂષણનું ચોક્કસ સ્થળ અને સ્થાનિક કારણ ઓળખીને વોર્ડ અને પ્રદૂષણના
સ્ત્રોત પ્રમાણે કાર્યવાહી નક્કી કરી શકાય છે. પ્રારંભિક વિશ્લેષણમાં C&D વેસ્ટ એટલે કે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટનું ખુલ્લું ડમ્પિંગ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોમાંથી એક તરીકે સામે આવ્યું છે. તેના આધારે શહેરના તમામ ૧૮
વોર્ડમાં આવેલી ૨૮૧ સક્રિય C&D સાઇટનું સર્વેક્ષણ કરીને કચરાના હેન્ડલિંગ, પરિવહન અને નિકાલની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
૭મો ક્રમ મુકામ નથી, સતત કામગીરીનો સંકેત
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ક્લીન-ફ્યુઅલ આધારિત પરિવહન દ્વારા સીધા ઉત્સર્જનમાં ઘટાડો થાય છે, જ્યારે RECON જેવી હાઇપરલોકલ ડેટા આધારિત વ્યવસ્થા પ્રદૂષણના ચોક્કસ સ્ત્રોતોને ઓળખીને સ્થળ
અને સ્ત્રોત કેન્દ્રિત કાર્યવાહી કરવામાં મદદરૂપ બને છે. આ બંને પરસ્પર પૂરક પગલાં રાજકોટની સતત પ્રગતિને મજબૂત આધાર આપી રહ્યા છે.મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, “૭મો ક્રમ મુકામ નથી; તે સતત અને વોર્ડ
સુધી પહોંચતી કાર્યવાહીની દિશા સાચી હોવાનો સંકેત છે.” રાજકોટ મહાનગરપાલિકા આગામી સમયમાં પણ સ્વચ્છ પરિવહન, વૈજ્ઞાનિક મોનિટરિંગ, હાઇપરલોકલ ડેટા, શહેરી હરિયાળી, વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન અને
નાગરિક સહભાગિતા દ્વારા શહેરની હવાની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ૭મો ક્રમ અને રાજ્ય કક્ષાએ બે વોર્ડને મળેલી સિદ્ધિ રાજકોટને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ શહેર
બનાવવાના પ્રયાસોમાં વધુ પ્રેરણા પૂરું પાડશે.




