ગરીબ વર્ગ માટે બનતી આવાસ યોજનાનાં આવાસમાં અધિકારીઓને અને પદાધિકારીઓને ઝાઝો રસઃ ‘ખાસ-ખબર’ પાસે સ્ફોટક પુરાવા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે બનાવવામાં આવતા આવાસોમાં ખુદ મનપાના જ અનેક કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ફ્લેટ મેળવી ચૂક્યા હોવાની
બાબત હવે ચર્ચાની એરણે ચડી છે. વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા ગરીબ પરિવારો ડ્રોમાં નામ આવવાની રાહ જોતા રહે છે ત્યારે મનપા તંત્રમાં જ અંદર બેઠેલા કર્મચારીઓ અને તેમના સગાં-સંબંધીઓ નિયમોની છટકબારીઓ
શોધીને આવાસ યોજનાના ફ્લેટ પોતાના નામે કરાવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઊઠી રહ્યા છે. મહિને અડધા લાખ આસપાસનો પગાર ધરાવતા ટાઉન પ્લાનિંગ શાખા, જગ્યા રોકાણ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ
ડિપાર્ટમેન્ટના કેટલાય કર્મચારીઓએ આવાસ મેળવ્યા છે. અરે, ખુદ મનપા વતી આવાસનો દસ્તાવેજ કરી આપનારે પણ પોતાના નામે આવાસ લીધું હોવાની માહિતી મળી રહી છે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર મનપા આવાસ યોજના વતી દસ્તાવેજ કરી આપનાર હેડ ક્લાર્ક અજય મનુભાઈ પરમારે ખુદ આવાસ યોજનામાં ફ્લેટ મેળવી લીધો છે. વિમલનગરમાં વસંત મારવેલ પાસે આવેલી ક્રાંતિવીર
મંગલપાંડે ટાઉનશિપ સી-૪૦૮માં અજય મનુભાઈ પરમારનો સરકારી આવાસ યોજનાનો ૩ બીએચકે ફ્લેટ આવેલો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ વાત વાસ્તવમાં હોય તો અહીં સૌથી મોટો સવાલ એ છે કે, જે વ્યક્તિ બીજાને
આવાસના ફ્લેટનો દસ્તાવેજ કરી આપે છે તેને આવાસના ફ્લેટનો દસ્તાવેજ કોણે કરી આપ્યો? વળી, અજય પરમાર જેવી એક નહીં અનેક વ્યક્તિઓએ આવાસમાં ફ્લેટ મેળવી લીધા હોવાની વાતો વહેતી થઈ છે. પોતે જ
પોતાને ફાળવી દીધેલાં ફ્લેટમાં અજય પરમાર રહેતા ન હોવાની અથવા તો તે ફ્લેટ ભાડે કે વેંચાણ કરી દીધેલ હોવાની પણ શક્યતાઓ છે જેની તપાસ ચાલી રહી છે. તેથી જો રાજકોટ મહાનગરપાલિકાના તમામ વર્ગના
કર્મચારીઓ, તેમના પરિવારજનો અને આવાસ યોજનાના લાભાર્થીઓના ડેટાનું આધાર-પાન લિંકિંગ અને પ્રોપર્ટી ટેક્સ આઈડી સાથે સરખામણી કરવામાં આવે તો મનપાના કેટલા વર્તમાન કે નિવૃત્ત કર્મચારીઓએ પોતાના નામે
કે સંબંધીઓના નામે સરકારી આવાસો મેળવી રાખ્યા છે તેનો મોટો પર્દાફાશ થઈ શકે તેમ છે. ગરીબોના હકના આવાસો સરકારી બાબુઓના ખિસ્સામાં જતા અટકાવવા માટે સમગ્ર સિસ્ટમનું કડક વિજીલન્સ ઓડિટ થવું અત્યંત
જરૂરી છે. સરકારી શરત મુજબ ખોટી વિગતો રજૂ કરનાર લાભાર્થીનું મકાન તાત્કાલિક જપ્ત કરી તમામ રકમ જપ્ત કરવાની જોગવાઈ છે, ઉપરાંત સબ-રજીસ્ટ્રાર સમક્ષ ખોટા નિવેદનો અને સોગંદનામા આપવા બદલ ૭ વર્ષ
સુધીની જેલની સજા તેમજ ફોજદારી ગુનો નોંધવાપાત્ર બને છે. હવે જોવાનું એ રહે છે કે, કૌભાંડીઓની ગેરરીતિ ઉપરાંત મનપાના અધિકારીઓની અક્ષમ્ય બેદરકારી અને કૌભાંડ સામે શું પગલાં ભરવામાં આવશે કે પછી
કાજૂકતરી કાંડની જેમ જ આવાસ કૌભાંડમાં પણ માત્ર તપાસનું નાટક કરાશે.
‘ખાસ-ખબર’ના અહેવાલ – બાદ ભ્રષ્ટ કર્મચારીઓ અને કૌભાંડી લાભાર્થીઓમાં દોડધામઃ ડબલ આવાસ મુદ્દે મેયરે આપ્યા તપાસના આદેશ
રાજકોટ મનપામાં બબ્બે આવાસ ફાળવાયાનો મામલો ગરમાયો છે. આ મુદ્દે ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ અહેવાલ બાળકડબલ આવાસ મેળવનાર કૌભાંડી લાભાર્થીઓ અને તેમને મદદ કરનાર ભ્રષ્ટ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ
છે. એક વિનોદભાઈ પરસોત્તમભાઈ જોટંગીયાએ પોતે સામેથી આવીને બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેમણે વર્ષ ૨૦૨૧માં મનપાની બે અલગ-અલગ યોજનાઓમાં વેટિંગમાં ફોર્મ ભર્યા હતા. બેમાંથી એક પણમાં મકાન મળશે
નહીં તેવી ધારણા હતી, પરંતુ નસીબજોગે બંને જગ્યાએ (લાઇટ હાઉસ અને સીતાજી ટાઉનશીપ) એકસાથે આવાસ મંજૂર થઈ ગયા હતા. વર્ષ ૨૦૨૧માં બે આવાસ મળ્યા હતા. જોકે આ બાબત ગેરકાયદે હોવાની જાણ થતાં જ
હાલ તેઓ વધારાનું એક આવાસ મનપાને પરત કરવા પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આવાસ કૌભાંડ બહાર આવતાં મેયર ડો. નેહલ શુક્લ અને આવાસ વિભાગના ચેરમેનએ તપાસનાં આદેશો આપ્યા છે તેમજ આ બાબતે
જે કોઈ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તદુપરાંત ખાસ-ખબર દ્વારા આવાસ કૌભાંડને લઈ અન્ય કેટલીક વિગતો પણ મેળવાઈ રહી છે જેને લઈ ટૂંકસમયમાં મોટા ધડાકાભડાકા
થવાના એંધાણ છે.
એક જ પરિવારે માત્ર 20 મહિનાના ટૂંકા ગાળામાં બે-બે સરકારી આવાસો પોતાના નામે કરાવી લીધા
રાજકોટ મનપા દ્વારા આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને છત પૂરી પાડવાના દાવા વચ્ચે ભ્રષ્ટચાર અને બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સત્તાવાર દસ્તાવેજોના આધારે બહાર આવ્યો છે. સરકારી નિયમોને નેવે મૂકીને
એક જ પરિવારે માત્ર ૨૦ મહિનાના ટૂંકા ગાળામાં બે અલગ-અલગ યોજનાઓમાં બે સરકારી આવાસો પોતાના નામે કરાવી લીધા હોવાનું સ્પષ્ટ થયું છે. એટલું જ નહીં, સરકારી દસ્તાવેજ કરાવતી વખતે રજૂ કરાયેલા ખોટા
સોગંદનામામાં પુત્રના નામના સ્થાને કોઈ અજાણી ત્રીજી જ વ્યક્તિનું નામ ઘુસાડી દેવાયું હોવા છતાં એડવોકેટ, નોટરી અને સબ-રજીસ્ટ્રાર કચેરી દ્વારા આંખો મીંચીને દસ્તાવેજ નોંધી દેવાતાં સમગ્ર વહીવટી પ્રક્રિયા સામે ગંભીર
સવાલો ઉભા થયા છે. વળી આવાસનો દસ્તાવેજ નિયમ વિરુદ્ધ પેનલ એડવોકેટ દ્વારા કરવામાં પણ આવ્યો નથી. એડવોકેટની ડિગ્રી પણ તપાસનો વિષય છે. સરકારી નોંધણી દસ્તાવેજોની વિગતો મુજબ, હાર્દિક અશોકભાઈ જોષી
અને તેમના માતા હેમાબેન અશોકભાઈ જોષીએ સંયુક્ત નામે પ્રથમ આવાસ તારીખ ૧૫/૧૨/૨૦૨૩ના રોજ સબ-રજીસ્ટ્રાર કચેરી રાજકોટ-૬ (મવડી) ખાતે દસ્તાવેજ નંબર ૧૩૯૭૦/૨૦૨૩થી નોંધાવ્યો હતો. આ દસ્તાવેજ
હેઠળ તેમને મવડી વિસ્તારમાં કૃષ્ણ ટાઉનશીપમાં ફ્લેટ નં. H-102 રૂ. ૫,૫૦,૦૦૦/-ના અવેજથી ફાળવવામાં આવ્યો હતો. આ પ્રથમ ફ્લેટ પોતાના કબજામાં હોવા છતાં આ જ માતા-પુત્રની જોડીએ ગત તારીખ
૦૪/૦૮/૨૦૨૫ના રોજ સબ-રજીસ્ટ્રાર કચેરી રાજકોટ-૪ (રૈયા) ખાતે દસ્તાવેજ નંબર ૭૯૬૭/૨૦૨૫થી વધુ એક સરકારી મકાન પોતાના નામે કરાવી લીધું હતું. જેમાં રૈયા રોડ ખાતે લાઈટ હાઉસ પ્રોજેક્ટ (જીજાબાઈ
ટાઉનશીપ)માં ફ્લેટ નં. ૧૦-૭૦૮ રૂ. ૩,૩૯,૨૮૦/-ની કિંમતે મેળવી લેવામાં આવ્યો હતો.
- Advertisement -
અગાઉ પારદર્શક રહેલી સિસ્ટમમાં છેલ્લા કેટલાક વર્ષોમાં છીંડાં ક્યાં પડયા ?
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં ભૂતકાળમાં અનેક મેનેજરો અને સક્ષમ અધિકારીઓએ કામગીરી સંભાળી છે અને હજારો પરિવારોને વિવાદ વિના આવાસોની પારદર્શક ફાળવણી થઈ છે. જોકે, છેલ્લા કેટલાક
સમયથી એક જ લાભાર્થીને બે-બે મકાનો ફાળવાઈ જવા કે સોગંદનામામાં પુત્રના નામે ત્રીજી જ વ્યક્તિનું નામ ચડી જવા જેવા છબરડાઓ સામે આવી રહ્યા છે. અગાઉ સુરક્ષિત રહેલી આ આખી પ્રક્રિયામાં તાજેતરના વર્ષોમાં
આવા કૌભાંડો થવા પાછળ કોનો અને કેમ હાથ છે એ તપાસનો વિષય છે. હાલના ચેરમેન તો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે પણ તેમની નીચેના કેટલાંક કર્મચારીઓએ ભૂતકાળમાં બેદરકારી દાખવી છે જેને કારણે તંત્રની
શાખ ખરડાઈ છે. હવે વર્તમાન કમિશનર, શાસક અને અધિકારી ભૂતકાળમાં થયેલા આ કાંડ મામલે તટસ્થ તપાસ કરાવી કડક કાર્યવાહી કરે એવી માંગણી ઉઠી છે.




