હાર્દિક અશોકભાઈ જોશી નામનાં વ્યક્તિને બબ્બે આવાસ ફાળવી દેવાયાં!
અરજદારનું નામ અગાઉથી એક આવાસ યોજનામાં લાભાર્થી તરીકે હતું છતાં બીજું આવાસ કેમ ફાળવાયું?
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરીબ- મધ્યમવર્ગીય પરિવારોને પોતાના ઘરનું ઘર પૂરું પાડવાના ઉદ્દેશથી ચલાવવામાં આવતી આવાસ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી અને ફ્લેટ ફાળવણીની સમગ્ર પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા નિયમો અને પારદર્શિતાને નેવે મૂકીને એક જ અરજદારના નામે બે જુદી-જુદી સરકારી આવાસ યોજનાઓમાં ફ્લેટ ફાળવી દેવાયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ સામે આવતાં મનપા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાર્દિક જોશી નામના એક જ અરજદારના નામે બે અલગ-અલગ યોજનાઓમાં સરકારી ફ્લેટની નોંધણી થઈ હોવાની માહિતી સપાટી પર આવતાં તંત્રની દસ્તાવેજ ચકાસણી અને વહીવટી પ્રક્રિયા સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાર્દિક અશોકભાઈ જોષી અને તેમના માતા હેમાબેન અશોકભાઈ જોષીના સંયુક્ત નામે ૧૫/૧૨/૨૦૨૩ના રોજ મવડી વિસ્તારમાં કૃષ્ણ ટાઉનશીપ ખાતે ફ્લેટ નં. H-102નો દસ્તાવેજ થઈ ચૂક્યો હતો. આમ છતાં એ જ વ્યક્તિઓએ ફરીથી ૦૪/૦૮/૨૦૨૫ના રોજ રૈયા વિસ્તારમાં જીજાબાઈ ટાઉનશીપ ખાતે ફ્લેટ નં. 10-708નો બીજો દસ્તાવેજ કરાવી લીધો! બંને દસ્તાવેજોની શરત નં.૬ મુજબ ફાળવણી તારીખથી સાત વર્ષ સુધી આ મકાન અન્ય કોઈને તબદીલ કરી શકાતું નથી. એટલે કે પ્રથમ ફ્લેટ હજુ તેમની માલિકીમાં જ હતો, છતાં બીજો ફ્લેટ મેળવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારી દસ્તાવેજની આખી પ્રક્રિયામાં પણ મનપાના અધિકારીઓ સહિત વકીલ, નોટરી અને સબ-રજીસ્ટ્રાર કચેરીની ગંભીર બેદરકારી છતી થઈ છે.
સરકારી આવાસ યોજનાઓના સ્પષ્ટ નિયમો અનુસાર જો કોઈ પરિવાર કે વ્યક્તિ અગાઉ કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સ્વરાજ્યની આવાસ યોજના હેઠળ મકાન કે ફ્લેટ મેળવી ચૂક્યા હોય તો તેઓ નવી યોજનામાં લાભ મેળવવા માટે સીધા જ અપાત્ર ઠરે છે. આવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં અરજદારની પાત્રતા અને અગાઉ મેળવેલા લાભની કોઈ અધિકૃત ચકાસણી કે ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે હવે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ વિવાદાસ્પદ અને શંકાસ્પદ બાબત એ બહાર આવી છે કે, જો અરજદારનું નામ એક આવાસ યોજનાના સરકારી રેકોર્ડમાં પહેલેથી જ બોલતું હતું તો પછી બીજી યોજનામાં તેમને કઈ નીતિ કે પરિપત્ર હેઠળ પાત્ર ગણવામાં આવ્યા? શું ફાળવણી પૂર્વે અરજદાર પાસેથી લેવાતા સોગંદનામા કે દસ્તાવેજી પુરાવાઓની કોઈ સ્ક્રૂટિની કરવામાં નહોતી આવી? કે પછી જાણીજોઈને રેકોર્ડની અવગણના કરીને લાભપહોંચાડવાનો પ્રયાસ થયો હતો તે દિશામાં તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
2023નો દસ્તાવેજ પેનલ બહારના એડવોકેટએ અને 2025નો દસ્તાવેજ પેનલ એડવોકેટએ કર્યો, બંને વખતે લખી આપનાર એક જ!
મનપા અને હાર્દિક જોશી દ્વારા આવાસ સંદર્ભે જે દસ્તાવેજ કરવામાં આવ્યા છે તે દસ્તાવેજની કોપી કેટલાક આધારભૂત સૂત્રો દ્વારા આપી જણાવાયું છે કે, મનપા દ્વારા થયેલો ૨૦૨૩નો દસ્તાવેજ પેનલ બહારના એડવોકેટએ કર્યો છે અને ૨૦૨૫નો દસ્તાવેજ પેનલ એડવોકેટ કર્યો છે. એટલું જ નહીં બંને વખતે મનપા વતી આવાસ લખી આપનાર એક જ વ્યક્તિ છે. મતલબ કે, હાર્દિક જોશીના આવાસ ફાળવણી મામલે કોઈ મોટું કૌભાંડ થયું હોવાનું સ્પષ્ટ દર્શાય આવે છે.
આવાસ કૌભાંડના દસ્તાવેજમાં પણ ભારે છબરડાં કરવામાં આવ્યા
આવાસ કૌભાંડની સમગ્ર ગેરરીતિમાં સૌથી ચોંકાવનારી બાબત વર્ષ ૨૦૨૫ના દસ્તાવેજ સાથે જોડાયેલા સોગંદનામામાં સામે આવી છે. હેમાબેન જોષી દ્વારા રજૂ કરાયેલા નોટરાઈઝ્ડ સોગંદનામાના પેજ નં. ૧૯ પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ‘મારા પુત્ર શ્રી અરવિંદસિંહ સેખદેવસિંહ સરવૈયાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ નં. ૧૦-૭૦૮ ના કન્વેયન્સ ડીડમાં મારું નામ જોડવા માટે આ સોગંદનામું કરવાની ફરજ પડેલ છે.’ વાસ્તવમાં તેમના પુત્રનું નામ હાર્દિક જોષી હોવા છતાં સોગંદનામામાં કોઈ ત્રીજા જ વ્યક્તિનું નામ લખાતાં સ્પષ્ટ થાય છે કે અન્ય કોઈની ફાઈલમાંથી લખાણ સીધું કોપી-પેસ્ટ કરવામાં આવ્યું હતું, જેની ચકાસણી કરવાની તસ્દી ન તો નોટરીએ લીધી કે ન તો સબ-રજીસ્ટ્રારે! અધૂરામાં પૂરું ૨૦૨૫ના કન્વેયન્સ ડીડમાં પક્ષકારોનું સરનામું સીધું જ ‘ફલેટ નં. ૧૦-૭૦૮, જીજાબાઈ ટાઉનશીપ…’ લખી દેવાયું છે (દસ્તાવેજ થયા પહેલાં જ તે સરનામું દર્શાવી દેવાયું છે). વધુમાં ૨૦૨૫ના આ દસ્તાવેજમાં સામેલ ફોટોગ્રાફમાં ફ્લેટના દરવાજા પર ‘દુદાકીયા સંજયભાઈ મનસુખભાઈ ના નામની નેમપ્લેટ દેખાઈ રહી છે, જેથી આ ફ્લેટ અગાઉ કોઈ અન્યને અપાયેલો હતો કે કેમ તે બાબત પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.
- Advertisement -
ફક્ત કૌભાંડિયાઓ સામે નહીં, બેજવાબદાર અધિકારીઓ સામે પણ ફોજદારી સુધીના પગલાં લેવા જોઈએ
આવાસ યોજનાના ફોર્મમાં જ સોગંદનામું આપવાનું હોય છે કે પરિવારમાં કોઈની પાસે ઘર નથી. આ રીતે જોતા બંને વખતે ખોટું સોગંદનામું આપીને અરજદારોએ મનપા સાથે છેતરપિંડી કરી છે તો સામે પક્ષે મનપામાં લાખોનો પગાર લેતા અધિકારીઓ અને તેમના એડવોકેટની પણ અક્ષમ્ય બેદરકારી કહી શકાય. શું અધિકારીઓ અને એડવોકેટની જવાબદારી નથી કે તમામ કાગળોની ચકાસણી કરે? અને ભૂલ એકવાર થઈ શકે પણ એક જ વારમાં અગિયાર કૌભાંડીયા ઝડપાઈ તો આગળ જતાં આ આંકડાની કલ્પના પરથી આવાસના અધિકારીઓની જવાબદારી નક્કી કરવી અનિવાર્ય છે. ફક્ત છેતરપિંડી કરનારા જ નહીં પરંતુ પોતાની જવાબદારીમાં ઉણા ઉતરનાર આવાસના અધિકારીઓ પર પણ ફોજદારી સુધીની ફરિયાદ થવી જોઈએ.
આખાય પ્રકરણને દબાવી દેવા બીજા દસેક કૌભાંડીઓ શોધી કઢાયા!
એકાદ ડઝન લોકોએ બે-બે આવાસ મેળવી લીધા હોવાનું કૌભાંડ છતું ન થાય તેમજ પોતાની ભૂલ અને બેદરકારી પર પડદો પાડવા મનપાના જ અધિકારીઓએ સામે ચાલીને જાહેર કરી દીઘું કે, કમ્પ્યૂટરમાં લિસ્ટ વેરિફિકેશન દરમિયાન આધાર કાર્ડ નંબર અને નામના આધારે ૨૨ આવાસમાં ડુપ્લિકેશન મળ્યું છે, જેમાં ૧૧ શખ્સોએ ૨૨ આવાસ મેળવી લીધાનું જાણવા મળ્યું છે. હજુ પણ ઘણો ડેટા જોવાનો બાકી છે પણ જે નામ વેરિફિકેશનમાં મળ્યા તેની યાદી અને ક્યા ક્યા આવાસ મળ્યા છે તે વિગતો લીધી છે. આ અંગે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની થશે. હવે મૂળ પ્રશ્ન એ છે કે, શું માત્ર બે-બે આવાસ મેળવી લેનારા પર કાર્યવાહી કરવાથી વાત ખતમ થઈ જાય છે? સરકારી બાબુઓ પોતાની ભૂલ ક્યારે સ્વીકારશે અને સુધારશે? સૂત્રો જણાવી રહ્યા છે કે, હાર્દિક જોશીના કૌભાંડને દબાવી દેવા બાકીના દસેક કૌભાંડીઓને શોધી કઢાયા છે એટલે એકલા હાર્દિક જોશીનું પ્રકરણ દબાઈ જાય અને મનપાની ભૂલ અને અધિકારીઓની બેદરકારી પર કોઈ ચર્ચા ન થાય.
વેઈટિંગ લિસ્ટ અને આખરી ફાળવણીની પ્રક્રિયાને લઈને મોટા પ્રશ્નાર્થ
આ સમગ્ર મામલે વેઈટિંગ લિસ્ટ અને આખરી ફાળવણીની પ્રક્રિયાને લઈને પણ પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો સંબંધિત અરજદારનું નામ શરૂઆતના તબક્કે વેઈટિંગ લિસ્ટમાં સામેલ હતું તો બાદમાં નિયમોની કઈ જોગવાઈ હેઠળ તેમને સીધા જ ફાઈનલ લિસ્ટમાં સ્થાન આપી ફાળવણી કરી દેવામાં આવી? આ પ્રક્રિયા પાછળ કયા ઉચ્ચ અધિકારી કે સમિતિની મંજૂરી લેવામાં આવી હતી અને આવો નિર્ણય લેવા પાછળ કયા નક્કર વહીવટી કે માનવીય કારણો દર્શાવવામાં આવ્યા હતા તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી.




