વિવિધ વિભાગો દ્વારા તપાસ, SOP અને સેફટી ચકાસણી બાદ જ મળશે અંતિમ પરવાનગી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી પ્રારંભ થશે, સાંજે મંત્રી વાઘાણીના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાશે
- Advertisement -
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય લોકમેળાનો આજે પાંચ દિવસ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે સાંજે મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે ઉદ્ઘાટનના માત્ર ચાર કલાક
પહેલાં મેળામાં એક પણ યાંત્રિક રાઇડને મંજૂરી આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો રાઇડ્સની મંજૂરીને લઈને ‘ચકડોળે’ ચડ્યો છે. જોકે, વહીવટી તંત્ર અને પોલીસ
વિભાગનું કહેવું છે કે લોકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. રાઇડ સંચાલકો દ્વારા નિયમ મુજબ જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા બાદ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે
અને હકારાત્મક અભિપ્રાય મળ્યા બાદ જ રાઇડ્સને મંજૂરી આપવામાં આવશે.
રાજકોટના ડીસીપી ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ, લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ માટે કુલ 11 અરજદારો દ્વારા 34 રાઇડ્સની મંજૂરી માગવામાં આવી છે. વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા
રાઇડ્સની જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સલામતીના માપદંડો, જરૂરી દસ્તાવેજો તથા અન્ય નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. બાંગરવાએ જણાવ્યું હતું કે,
લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાઇડ્સ માટે બનાવવામાં આવેલી SOPનો કડક અમલ કરવામાં આવશે. બપોરે 12 વાગ્યા સુધી એક પણ રાઇડને મંજૂરી આપવામાં આવી નહોતી. જો સંચાલકો દ્વારા સાંજ સુધીમાં
નિયમ મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવશે અને તપાસમાં રાઇડ સલામત હોવાનું જણાશે તો મંજૂરી આપવામાં આવશે.
રાજકોટના આ લોકમેળામાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પાંચ દિવસ દરમિયાન અંદાજે 15 લાખ લોકો મેળાની મોજ માણશે. આવી
સ્થિતિમાં મેળાના મુખ્ય આકર્ષણોમાં સામેલ યાંત્રિક રાઇડ્સને ઉદ્ઘાટનના કલાકો પહેલાં પણ મંજૂરી ન મળી હોવાને કારણે સલામતી અને વહીવટી આયોજન અંગે સવાલો ઊભા થયા છે. સાથે જ, લોકોની સુરક્ષા માટે જવાબદારી
કોની રહેશે તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
- Advertisement -
મેળાનું સમગ્ર આયોજન કલેક્ટર તંત્રની દેખરેખ હેઠળ થતું હોય ત્યારે રાઇડ સંચાલકો પાસેથી જરૂરી દસ્તાવેજો સમયસર રજૂ કરાવવા, ખામીઓ હોય તો અગાઉથી દૂર કરાવવા અને સલામતીના તમામ માપદંડો પૂર્ણ થાય તે
સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ વહીવટી તંત્રની છે. મેળો શરૂ થવાના થોડા કલાકો પહેલાં સુધી મંજૂરી પ્રક્રિયા ચાલુ રહેતી હોવાથી હવે તંત્ર માટે પડકાર એ છે કે સલામતીના તમામ નિયમોનું પાલન કરાવવાની સાથે જરૂરી
પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ થાય.




