રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
યુનિવર્સીટી અને તાલુકા પોલીસમાં નોંધાયેલા બંને ગુનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો
- Advertisement -
રાજકોટમાં માલધારી યુવક સહીત બે યુવાનોને આંતરી મારકૂટ કરી લૂંટ ચલાવવા અંગે યુનિવર્સીટી અને તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે ક્રાઇમ બ્રાન્ચે ચાર શખ્સોની ધરપકડ કરી સોનાના દાગીના, મોબાઈલ, છરી સહીત 2,87,650 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટના નવા રિંગ રોડ ઉપર આવેલ અટલ સરોવર પાસે માલઢોર ચરાવતા માલધારી પૂનાભાઈ ખોડાભાઈ બાંભવાને મારકુટ કરી બે શખસોએ સોનાના ઠોરીયા સહિત 90 હજારની મતાની લૂંટ ચલાવી નાસી જતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જયારે કાલાવડ રોડ પર આવેલ કણકોટ ગામ પાસે આણંદપર બધી ગામના દેવજીભાઈ મોહનભાઈ જખાનીયાને સામું જોવા બાબતે આંતરી છરીની અણીએ 92 હજારના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ત્રિપુટી નાસી જતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન ઉપરોક્ત ગંભિર ગુનાઓના ત્વરિત ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બસીયાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર અને સી એચ જાદવની રાહબરીમાં પીએસઆઈ અનિરૂધ્ધસિંહ પરમાર, વી ડી ડોડીયા, વી ડી રાવલિયા, ડી પી ઝાલા અને એસ એમ રાણા સહિતની ટિમ દ્વારા સીસીટીવી આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને સચોટ બાતમી આધારે ઉપરોક્ત લૂંટના બે ગુનાને અંજામ આપનાર ચાર શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે હનુમાન મઢી પાસે આવેલ ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા ગૌતમ ઉર્ફે કાનો કેશુભાઈ મકવાણા, કણકોટના પાટિયા પાસે રહેતા હિતેન ઉર્ફે હકો રાજુભાઈ ગોહેલ, કોઠારીયા સોલ્વન્ટ 25 વારિયામાં રહેતા નિલેશ ઉર્ફે ભૂરો ગોપાલભાઈ વાઘેલા અને આ જ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે ભરતો પોપટભાઈ પરમારની ધરપકડ કરી સોનાના દાગીના, ચાર મોબાઈલ, બે એક્સેસ, છરી સહીત 2,87,650 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
પકડાયેલા ચાર ગુનેગારો સામે અગાઉ 31 ગુના નોંધાઈ ચુક્યા છે
ગૌતમ મકવાણા સામે રાજકોટ, પોરબંદરમાં હત્યા, ધમકી સહીત 10 ગુના
હિતેન મકવાણા સામે રાજકોટમાં હત્યા સહીત 3 ગુના
નિલેશ વાઘેલા સામે રાજકોટમાં ચોરી સહીત 8 ગુના
ભરત પરમાર સામે રાજકોટમાં દારૂ, ચોરી સહીત 10 ગુના
પડધરીમાં વીજપોલ પર ચડી જમ્પરમાંથી 3.44 લાખના કેબલની ચોરી : 1200 મીટર કેબલ ચોરી અંગે પડધરી પોલીસમાં નોંધાઈ ફરિયાદ
- Advertisement -
જામનગરના બેડ ગામે રહેતા અને બાલાજી ડેવલોપર્સ નામની કંપનીમાં ભાગીદારી ધરાવતા અજયસિંહ કેશુભા જાડેજા ઉ.30એ 3.44 લાખના કેબલની ચોરી અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મને ક્લીનમેક્ષ વાયુ પ્રાથમિક લિમિટેડ નામની કંપનીમાંથી 2025માં ડાંગરા ગામ તા.ધ્રોલથી હરીપર ખારી તા.પડધરી સુધીનું અંદાજીત ૨૨ કી.મી.નું ૩૩ કે. વી. લાઈન ફીટ કરવાનું કામ મળેલ છે ગત તા. ૨૮/૦૮/૨૦૨૬ના હું મારા ઘરે હતો તે દરમિયાન સુપરવાઇઝર ભાવિનભાઇનો ફોન આવેલ તેમણે મને જણાવેલ કે વણપરી ગામ પાસે જ્યાં ૩૩ કે.વી. લાઇન નાખવાનું કામ ચાલુ છે તે સાઇટ પર પોલ પર ચડીને જપ્પરમાંથી એલ્યુમિનિયમના 6 જેટલા વાયર મશીન વડે કાપીને નીચે ઉતારી રાત્રીના સમયે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે તે દિવસે રક્ષાબંધનનો તહેવાર હોવાથી હું ઘરે હતો ત્યાર બાદ તા. ૨૯/૦૮/૨૦૨૬ ના હું પોતે સાઈટ પર સ્થળ તપાસ અર્થે ગયો હતો ત્યાં જઈને જોતાં લોખંડના પોલ પરથી જપ્પરમાં રહેલો એલ્યુમિનિયમનો વાયર કાપીને ચોરી થયેલ હોવાનું માલૂમ પડેલ અને આ વાયર ચોરી કર્યા બાદ જપ્પર જે તે જગ્યા પર રાખી દિધેલ છે જેથી કોઇપણ સમયે એલ્યુમિનિયમનો કેબલ આશરે ૧૨૦૦ મીટર જેમાં એક મીટરની કિ.રૂ.૨૮૬ લેખે કુ લ.કી.રૂ.૩,૪૩,૨૦૦/- અમારા કામની સાઈટ પરથી લોખડના પોલ પર ચડીને જપ્પરમાં રહેલ વાયરને મશીન વડે કાપીને નીચે ઉતારી એલ્યુમિનિયમનો વાયર કાપીને ચોરી કરી લઈ ગયેલ હોઇ ફરિયાદ નોંધાવી હતી.
મવડી બાય પાસ નજીક સોલારના ગોડાઉનમાંથી 1.44 લાખના વાયરની ઉઠાંતરી : નજીક નકલી ચાવી વડે તાળા ખોલી ચોરી : તાલુકા પોલીસ દ્વારા શકમંદોની પુછતાછ
રાજકોટમાં તહેવાર ટાણે જ તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે મવડી બાય પાસ નજીક સોલારના ગોડાઉનના નકલી ચાવીથી તાળા ખોલી 14 દિવસમાં ત્રણ વખત 1.44 લાખની કિંમતનો કોપર વાયરની ચોરી કરી ગયાની ફરીયાદ કરતા તાલુકા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ શખસોને ઉઠાવી લઈ પુછતાછ કરી છે. રાજકોટના લાખાપર ગામે રહેતા અને ભાગીદારીમાં સોલાર સિસ્ટમનો વ્યવસાય કરતા વિજયભાઈ નિલેશભાઈ હુંબલએ તાલુકા પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તા.૧૬-૮ના રોજ તેના મવડી બાય પાસ રોડ પર ગોડાઉનને તાળા મારી ઘેર ગયા હતા બાદમાં તા.૧૭ના રોજ સવારે ભાગીદાર લક્ષીત કાપડીયાએ સવારે ચાવી વડે તાળા ખોલી ગોડાઉન ખોલી તપાસ કરતા રૂ.૧૧ હજારની કિંમતનો કોપર વાયર ગુમ હોય જે અંગે ભાગીદારે વાત કરી હતી પરંતુ પોલીસને જાણ કરી ન હતી. બાદમાં તા.૨૩-૮ના રોજ ભાગીદાર રક્ષીતે રાત્રીના ગોડાઉનને તાળા મારી ઘેર ગયા હતા. અને તા.૨૪-૮ના રોજ સવારે ભાગીદારે ગોડાઉન ખોલી તપાસ કરતા રૂ.૯૬ હજારની કિંમતનો કેબલ જોવા મળેલ નહી.દરમ્યાન તા.૩૦-૮ના રોજ સાંજે ગોડાઉન બંધ કરી ઘેર ગયા બાદ તા.૩૧ના રોજ સવારે ભાગીદારે ગોડાઉન ખોલતા વધુ રૂ.૩૫ હજારનો વાયર ગુમ હોય વારંવાર ચોરી થતા અંતે ભાગીદારે સાથે પોલીસ મથકે આવી ફરીયાદ કરી હતી.બનાવમાં પીએસઆઈ ભરવાડ સહીતે ગુનો નોધી તસ્કરને સકંજામાં લઈ વિશેષ પુછતાછ કરી છે.
કાર ખરીદી-ટોપઅપ લોનના બહાને મહિલા તબીબ સાથે સગા ભાઈ સહિત બેની 11.96 લાખની છેતરપિંડી : ભાવનગર પંથકની મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ભાવનગર પંથકની મહિલા તબીબનો ભાઈ મારફતે સંપર્ક કરી વિશ્વાસમાં લઈ તેના નામની લોન પર કાર ખરીદી તેની પર ટોપઅપ લોન લઈ તેણીને માત્ર રૂ.૧ લાખ પરત આપી બાકી નીકળતા રૂ.૧૧.૯૬ લાખ ન ચુકવી સગા ભાઈ સહિત બે શખસોએ છેતરપિંડી આચરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બોરલા ગામ રામજી મંદિરની બાજુમાં બાહ્યણ વાડી વિસ્તારમાં રહેતા ડો.અંકિતાબેન હરદીપભાઈ વ્યાસે રાજકોટ તાલુકા પોલીસમાં જૂનાગઢના પ્રશાંત શૈલેષભાઈ ઠાકર, જીગર બુધ્ધદેવભાઈ ગોંડલીયા તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી પ્રશાંત ઠાકરે મહિલાના ભાઈ જીગરભાઈ સાથે મળીને સંપર્ક કરી બાદ એજન્ટ વત્સલ કાપડીની ઓફિસે બોલાવી લોન એગ્રીમેન્ટના દસ્તાવેજોમાં સહીઓ કરાવી હતી. આ દસ્તાવેજોના આધારે મારુતિ સુઝુકી કંપનીની અર્ટિગા કાર નં. GJ૧૧-CL-૧૭૧૦ માટે રૂ.૧૧,૨૬,૯૬૭/- ની લોન મંજૂર કરવામાં આવી હતી. બાદ આરોપી પ્રશાંત ઠાકરે આ ગાડી લોન પોતાના નામે ટ્રાન્સફર કરવાના બહાના હેઠળ તેણી પાસેથી વધુ રૂ.૫,૨૦,૬૦૯/- ની ટોપ-અપ લોન લેવડાવી બાદ તેમાંથી રૂ.૩ લાખ મેળવી બાદ તે પૈસા પરત માંગતા શખસે માત્ર રૂ.૧ લાખ ભરપાઈ કર્યા હતા.કાર લોનના બાકી રહેલા રૂ.૬.૪૮ લાખ તથા કાર ટોપઅપ લોનના રૂ.૩.૪૭ લાખ ભરેલ નહીં પાછળથી રૂ.૨ લાખ લઈ આમ કુલ રૂ.૧૧.૯૬ લાખની છેતરપિંડી આચરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
વીરડા વાજડી ગામે બંધ મકાનમાંથી રોકડ, દાગીના અને તેલના ડબ્બા સહિત 3 લાખની ચોરી : પરિવાર જન્માષ્ટમીના તહેવાર પૂર્વે કાકાના ઘરે ગયા હતા : તાલુકા પોલીસમાં નોંધાઈ ફરિયાદ
રાજકોટમાં તહેવાર દરમ્યાન જ તસ્કરોએ ઉપાડો લીધો હોય તેમ કાલાવાડ રોડ પર વિરડા વાજડી ગામે ધોળા દિવસે બંધ મકાનના તાળા તોડી તસ્કરો રોકડ, સોના-ચાંદીના દાગીના અને એક તેલનો ડબ્બા સહીત કુલ રૂ.૨.૯૯ લાખની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ થતા તાલુકા પોલીસે ગુનો નોધી તસ્કરોને પકડવા મથામણ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કાલાવાડ રોડ પર વિરડા વાજડી ગામે વીવીપી કોલેજ નજીક રહેતા અને મુળ થાનગઢના અતુલભાઈ ભરતભાઈ પરમાર તેના પત્ની અને બાળકો જન્માષ્ટમીના તહેવાર માટે તા.૩૦ના રોજ રવીવારે સવારે મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા તેના કાકાના ઘેર ગયા હતા તે દરમ્યાન સોમવારે પાડોશીએ ફોન કરી તમારા મકાનમાં ચોરી થયાની જાણ કરતા તે અને તેના પિતરાઈ ભાઈઓ ઘેર આવી તપાસ કરતા મકાનના તાળા ન હોય અને બાજુમાં હથોડા પડયો હતો. જેથી મકાનમાં તપાસ કરતા રૂમમાં સામાન વેરવિખેર હોય અને કબાટની તિજોરી પણ ખુલ્લી પડી હતી જેમા સોના-ચાંદીના દાગીના અને રોકડ ગાયબ હતા તેમજ રસોડામાંથી તેલનો એક ડબ્બો પણ જોવામાં નહી આવતા પોલીસને જાણ કરી મકાનના તાળા તોડી તસ્કરો કુલ રૂ.૨.૯૯ લાખની ચોરી કરી ગયાની ફરીયાદ કરતા જમાદાર અજાગીયા સહીતે ગુનો નોધી આરોપીઓને પકકડી લેવા કાર્યવાહી કરી છે.
રાજકોટમાં રિક્ષા ગેંગએ ઉલ્ટીના બહાને જામજોધપુરના આધેડના અર્ધો લાખ સેરવી લીધા : લેપટોપ લેવા આવેલા ખેડૂતને રીક્ષા ગેંગનો ભેટો : સામાન પડી ગયો છે લઇ લ્યો કહી ખેડૂતને ઉતારી રીક્ષા ભગાડી મૂકી : એક સકંજામાં
રાજકોટના રણછોડદાસબાપુના આશ્રમ પાસેથી જામજોધપુર પંથકના ખેડૂતને રિક્ષામાં બેસાડયા બાદ ઊલટી-ઊબકાનું નાટક કરતી ગેંગે ખિસ્સામાંથી રૂ.50 હજાર સેરવી લીધાનો બનાવ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે 3 શખ્સ સામે ગુનો નોંધી એકને સકંજામાં લઈ બાકીના બે સાગરીતની શોધખોળ આદરી છે. તેમજ ખેડૂતના રૂ.50 હજાર રિકવર કરવા કવાયત હાથ ધરી છે. જામજોધપુરના વાંસજાળિયા ગામે રહેતા મહેન્દ્રભાઈ હમીરભાઈ મકવાણા નામના ખેડૂતે ત્રણ અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.26-8ના રોજ પોતાની દીકરી દીન્તાના અભ્યાસ માટે લેપટોપ લેવાનું હોવાથી રૂ.50 હજાર રોકડા લઈને રાજકોટના મોરબી રોડ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ ભાવેશભાઈ મકવાણાના ઘેર રોકાયા હતા અને ત્યાંથી બીજા દિવસે તા.27-8ના રોજ દીકરી દીન્તાને લેપટોપ લેવા સાથે લઈ જવા ત્રંબા આર.કે. યુનિવર્સિટી જવા માટે કુવાડવા રોડ રણછોડદાસબાપુ આશ્રમ પાસે ઊભા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી તરફથી એક રિક્ષા આવી હતી અને તેમાં અગાઉથી જ બે શખ્સ બેઠા હતા. ફરિયાદીને રિક્ષા ચલાવનારે અગાઉ આગળના ભાગે બેસાડયા હતા અને ત્યારબાદ પાછળ બેસી જવાનું કહેતા તે પાછળની સીટમાં બેસી ગયા હતા.આ રિક્ષાચાલક કુવાડવા રોડ પારેવડી ચોક તરફ રિક્ષા ચલાવીને જતા હતા ત્યારે પાછળ ફરિયાદીની બાજુમાં બેઠેલો શખ્સ ઊલટી-ઊબકા કરવા લાગ્યો હતો અને ત્યારબાદ બપોરે પોણા બારેક વાગ્યાની આસપાસ પટેલ વાડી પાસે રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખી હતી અને ‘તમારો કંઇક સામાન રસ્તામાં પડી ગયેલ છે તમે નીચે ઉતરીને લઈ લ્યો’ તેમ કહેતા ફરિયાદી રિક્ષામાંથી ઉતરીને જોતા હતા તે દરમિયાનમાં રિક્ષાચાલક તરત જ ચાલ્યો જતા ફરિયાદીએ ખિસ્સા ચેક કરતા તેમાંથી રૂ.50 હજાર ગાયબ હતા. આમ આરોપીઓએ ઊલટી કરવાનું બહાનું કરી ફરિયાદીના ખિસ્સામાંથી રૂ.50 હજાર સેરવી લીધા હતા. પોલીસે આ ઘટનામાં એક શખ્સને ઝડપી લીધો છે અને મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સની શોધખોળ આદરી છે. તેમજ ચોરી કરાયેલા મુદ્દામાલ કબજે કરવા કવાયત હાથ ધરી છે.
શાપરના પારડી પાસેથી 11 બાળકોને મુક્ત કરાવતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટિમ : પોલીસે બે સંચાલકો સામે બાળમજૂરી પ્રતિબંધ અંગે ગુનો નોંધી કરી ધરપકડ
શાપર-વેરાવળના પારડી ગામ પાસે આવેલ હોટેલમાં AHTU ટીમે દરોડો પાડી હોટેલમાં મજૂરી કામે રાખેલા ૧૧ બાળ મજૂરોને મુકત કરાવી પોલીસે બે સંચાલકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. રાજકોટ જીલ્લામાં બાળ મજૂરી અટકાવવાની જૂબેશ અંતર્ગત AHTU ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.ત્યારે પારડી ઓવર બ્રિજ પાસે આવેલ ગીરીરાજ હોટેલમાં માલિક દ્વારા બાળકોને મજૂરીએ રાખી કામ કરાવાતું હોવાની બાતમી આધારે ટીમે દરોડો પાડી ઝડતી લેતા બાળકો પાસે સાઉથ ઈન્ડિયનની વિવિધ વાનગીઓના કામ, ચાઈનીઝ ફાસ્ટફૂડ તથા પંજાબી વાનગી બનાવતી વેળાએ તાવડામાં તળવાનું તથા ચુલામાં કોલસા ભરવાનું તેમજ સાફ-સફાઈ અને શાકભાજી કટીંગ તથા ગ્રાહકોને ભોજન પીરસવા સહિતની કામગીરી કરાવવામાં આવતી હોવાથી પોલીસે અગીયાર બાળકોને મુકત કરાવી સંચાલક બ્રિરેન્દ્ર લોક બહાદુર ગૌતમ તથા હરીલાલ પન્નાલાલ ગામેતી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
રાજકોટમાં લૂંટેરી દુલહન દાદી-બહેન બીમાર હોવાનું કહી લગ્નના 25માં દિવસે ભાગી ગઈ : RTO એજન્ટને ફસાવી ટોળકીએ ૩ લાખ અને દાગીના પડાવ્યા : મહિલા દલાલ સહિત ચાર સામે ફરિયાદ
રાજકોટમાં લુંટેરી દુલ્હનની ટોળકીએ વધુ એક યુવકને શિકાર બનાવ્યો છે.અંબાજી કડવા પ્લોટમાં રહેતા આર.ટી.ઓ. એજન્ટને સાથે લગ્નની જાળમાં ફસાવી રૂ.૩ લાખ પડાવી લગ્નના ૨૫ દિવસ બાદ મકાનમાંથી દાગીના અને અગત્યના દસ્તાવેજો લઈ દાદી અને બહેન બિમાર હોવાનો ડ્રામા કરી યુવતી નાસી જઈ ફોન બંધ કરી છેતરપીડી આચર્યાની માલવીયા નગર પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે મહિલા દલાલ સહીત ૪ આરોપીઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અંબાજી કડવા પ્લોટમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને આર.ટી.ઓ.માં એજન્ટ તરીકે કામ કરતા અર્જુનભાઈ મુકેશભાઈ મહેતા એ દલાલ પ્રવિણાબેન ભીખુભાઈ પરમાર,કમલેશ મનસુખભાઈ ભટ્ટી,મંગળા દતાત્રેય હરીનખેડે અને નેહાબેન વામજા સામે ફરીયાદ કરી હતી. ફરિયાદી અર્જુનભાઈના જણાવ્યા મુજબ, તેઓ પોતાના અગાઉ લગ્ન થયા બાદ રાજીખુશી થી છુટાછેડા થયા હતા બાદમાં તેના વુધ્ધ માતાને સાચવવા અને ઘરકામ માટે લગ્ન કરવાનુ નકકી કર્યુ હતુ. અને પરિવાર માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. તે દરમિયાન રાજકોટના પ્રવીણાબેન ભીખુભાઈ પરમાર અને ભાવનગરના કમલેશભાઈ મનસુખભાઈ ભટ્ટી નામના વચેટિયાઓનો સંપર્ક થયો હતો. આ વચેટિયાઓએ નાગપુર (મહારાષ્ટ્ર) ની મંગલાબેન દત્તાત્રેય હરીનખેડે નામની યુવતીનો ફોટો બતાવી લગ્ન કરાવવાની ખાતરી આપી હતી. તેમણે મંગલાની માસી નેહાબેન વામજાના નામે ખર્ચ પેટે રૂ.૩ લાખની માંગણી કરી હતી. દરમ્યાન તારીખ ૦૫/૦૨/૨૦૨૬ ના રોજ આ લોકો રાજકોટ આવ્યા હતા અને મોરબી રોડ/જુની કલેક્ટર કચેરી પાસે વકીલ મારફતે લગ્નનો સમજૂતી કરાર તૈયાર કરાવ્યો હતો. આ સમયે અર્જુનભાઈએ વચેટિયાઓને રૂ. ૩ લાખ રોકડા આપ્યા હતા. લગ્ન બાદ મંગલા થોડા દિવસો ફરિયાદીના ઘરે રહી હતી. પરંતુ બાદમાં મંગલા તેના દાદી અને બહેન બીમાર હોવાનું બહાનું બહાને તેના વતન ગયા બાદ પરત નહી આવતા અને ફોન પણ બંધ કરી દેતા તપાસ કરી હતી. જેમા મંગલાના ગયા બાદ અર્જુનભાઈએ ઘરમાં તપાસ કરતા માલૂમ પડયું કે મંગલા ઘરના કબાટમાંથી અર્જુનભાઈના અગાઉના છૂટાછેડાના કાગળો, લગ્ન સમજૂતીના દસ્તાવેજો તેમજ તેમને પહેરાવેલા સોનાનો દાણો અને ચાંદીના સાંકળા લઈને ફરાર થઈ ગઈ હતી. પોતાની સાથે છેતરપિંડી અને ગુનાહિત કાવતરું રચાયાનું ભાન થતાં અર્જુનભાઈ મહેતાએ જણાવતા પીઆઈ કૈલા સહીતે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
કુવાડવા રોડ ઉપર જગ્યા ખાલી કરવાનું કહી મહિલા ઉપર પરિવારનો હુમલો : આજે બચી ગઈ, જગ્યા ખાલી નહિ કરે તો જાનથી મારી નાખીશું કહી ધમકી : કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં દંપતિ સહીત ચાર સામે નોંધાઈ ફરિયાદ
રાજકોટની ભાગોળે નવાગામ આણંદપર શક્તિ સોસાયટીમાં રહેતા અને શાકભાજી વેચવાનું કામ કરતા અલ્પાબેન રતીલાલ નરશીભાઈ મુળીયા ઉ.38એ નિલેશભાઈ તેની પત્ની, મોટો દીકરો અને મોટા દીકરાની પત્ની સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું હાલ સાત હનુમાન મંદીર પાછળ ઝુપડામાં રહું છું અને આ જગ્યા નવાગામ દીવેલીયાપરામાં રહેતા નિલેશભાઇને જોઇતી હોય તેઓ મારી પાસે આવીને જણાવતા હતા કે આ જગ્યા મને બહુ ગમે છે જેથી તુ આ જગ્યા ખાલી કરીને જતી રહજે તેમ કહેતા હતા મે કહેલ કે હું એકલી છુ અને મારે ધંધો કરીને મારુ ગુજરાન ચલાવવા આ જગ્યાએ હું શાકભાજી વેચવાનો ધંધો કરુ છુ જેથી આ નિલેશ ભાઈ જતા રહેતા હતા અને ગઇ તા.14ના રોજ હું મારી શાકભાજીની રેકડી ખાતે હતી ત્યારે આ નિલેશભાઈ તેમના પત્ની તથા મોટો દીકરો તથા મોટા દીકરાના પત્ની આવેલ હતા અને આ મને જણાવેલ કે કેમ હજુ સુધી આ જગ્યા ખાલી કરેલ નથી તેમ કહેતા મે તેઓને કહેલ કે હું આ જગ્યાએ વેપાર ધંધો કરીને મારુ ગુજરાન ચલાવુ છુ જેથી આ જગ્યાએ મને વેપાર ધંધો કરવા દયો તેમ જણાવતા આ ચારેય મને ગાળો બોલવા લાગેલ જેથી મે તેઓને ગાળો બોલવાની ના પાડતા આ નિલેશભાઈના પત્ની તથા તેમના મોટા દીકરાના પત્નીએ મારી પાસે આવીને હાથે-પગે તથા છાતીના ભાગે ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા અને આ વખતે મે પોલીસમાં ફોન કરીને બોલાવેલ જેથી આ લોકો ત્યાંથી જતા રહેલ અને જતા જતા કહેતા હતા કે આજે તો બચી ગય છો પરંતુ આ જગ્યા ખાલી નહી કરે તો તને જાનથી મારી નાખીશુ તેમ કહેતા આ લોકો ત્યાંથી જતા રહેલ હતા અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
નવું એક્ટિવા લઈને રામનાથ દાદાના દર્શને જતા બે મિત્રોના રિક્ષાની ઠોકરે કરુણ મોત : રિક્ષાએ હડફેટે લીધા બાદ રોડ પર ફંગોળાઈ જતા ઇકો અને બોલેરો માથે ફરી ગઈ હતી
રાજકોટના કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી છે શ્રાવણ માસ નિમિતે રામનાથ દાદાના દર્શન કરવા જતા બે જીગરજાન મિત્રોના બાઇકને પુરપાટ ઝડપે આવતી રિક્ષાના ચાલકે પાછળથી ઠોકરે લેતા બંને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા ત્યારે જ પસાર થતી ઇકો કાર અને તે પછી બોલેરો માથે ફરી વળતા બંને મિત્રોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા એક મિત્રએ ગઈકાલે જ નવું એક્ટિવા ખરીદ્યું હતું આશાસ્પદ યુવાનોના મોતથી બંને પરિવારો ઊંડા શોકમાં ગરકાવ થઇ ગયા છે. અરેરાટીભરી આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર આવેલ વેલનાથમાં રહેતો દશરથભાઈ રાજુભાઈ બજાણીયા ઉ.18 અને ત્યાં નજીકમાં જ રહેતો તેમનો મિત્ર ચંદ્રેશભાઈ ધર્મેશભાઈ નિમાવત ઉ.23 ગઈકાલે ઘરેથી રામનાથ દાદાના દર્શન કરવા જાય છે તેમ કહીને એક્ટિવા લઈને નીકળ્યા હતા બંને મેંગો માર્કેટ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવતી રિક્ષાએ ઠોકર મારતા બંને રોડ પર ફંગોળાઈ ગયા હતાં બાદ પાછળ આવતી ઇક્કો અને બોલરો બંને પર ફરી વળી હતી ત્રણ-ત્રણ વાહનો નીચે કચડાવાને કારણે દશરથ બજાણીયા અને ચંદ્રેશ નિમાવત બંને મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસે બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત સર્જનાર વાહનચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બનાવ અંગે પરીવારજનોને જાણ થતાં બંને મૃતકોના પરીવાર હોસ્પિટલે દોડી આવ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મૃતક દશરથ બજાણીયાએ ગઈકાલે જ નવું એક્ટિવ ખરીદ્યું હોય જેથી એક્ટિવા સાથે મિત્રને સાથે લઈ રામનાથ દાદાના દર્શન કરવાં બંને નીકળ્યા હતાં અને આ કરુણાંતિકા સર્જાઈ હતી બંને પરિવારોએ આશાસ્પદ યુવાનો ગુમાવતા શોકની કાલિમા છવાઈ ગઈ છે. પરિવારમાંથી મળતી વિગત મુજબ મૃતક દશરથ બજાણીયા ત્રણ ભાઈમાં નાનો હતો, તે મોટાભાઈ સાથે અનાજ કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો. તેના પિતા રીક્ષા ચલાવે છે અને માતા ઘર કામ કરે છે જ્યારે મિત્ર મૃતક ચંદ્રેશ બે ભાઈમાં મોટો હતો. તે દશરથની દુકાનમાં જ સાથે કામ કરતો હતો. તેના પિતા બીમાર હોવાથી પરિવારની જવાબદારી પણ તેના પર હતી.
ગોંડલમાં કારણ વિના હોર્ન મારવાની ના પાડતા દંપતિ ઉપર પોલીસમેન આણી ટોળકીનો હુમલો : આ વખતે તો બચી ગયા બીજીવાર સામા મળશો તો જાનથી મારી નાખીશ કહી ધમકી પણ દીધી
ગોંડલમાં મોડી રાતના મહિલાને આંતરી પોલીસમેન આણી ટોળકીએ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે એક્ટિવા સવાર મહિલાએ કાર ચાલક પોલીસ મેનને હોર્ન ન મારવાનું કહેતાં જ ટોળકીએ મહિલાના પતિ અને સબંધીને ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમેન સહિત સાત શખ્સો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોંડલના ભગવતપરામાં રહેતાં નર્મદાબેન મીથુનભાઈ પરમાર ઉ.35એ પોલીસમેન મહેન્દ્ર ઉર્ફે કાલુ ખીમસુરીયા, કપીલ ચાંડપા, માનવ રાજા ખીમસુરીયા, સની ખીમસુરીયા, રવી દુલા પરમાર, મીલન રાજા ખીમસુરીયા અને ગીલી ડાંગર સામે રાયોટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.30ના રાતના તેઓ અને સબંધી રાજકોટના વિશાલભાઇ દાફડા બંને એકટીવા લઈને ગોંડલ રેલ્વે સ્ટેશન બાજુ જતા હતા માંધાતા સર્કલ પાસે પહોચતા પાછળ એક કાર આવતી હતી, જે હોર્ન મારતા હતા જેથી ફોરવ્હીલ વાળાને સાઇડ આપી દિધેલ બાદ આ ફોરવ્હીલ વાળો બાજુમાથી નિકળેલ જેથી તેણીએ જોયેલ તો આ ગાડી તેના વિસ્તારમાં રહેતો અને પોલીસમા નોકરી કરતા મહેન્દ્રભાઈ ઉર્ફે કાલી ખીમસુરીયા ચલાવતા હતા તેમજ કારમાં કપીલભાઈ ચાંડપા, જગાભાઈ રાઠોડનો દિકરો બેઠો હતો જેથી તેને બીન જરૂરી હોર્ન ન મારવાની વાત કરતાં મહેન્દ્ર ઉર્ફે કાલી ગાળો આપવા લાગતાં તેને ગાળો આપવાની ના પાડતા મહેન્દ્રભાઈ તથા કપીલ બંને ઉશકેરાઈ ગયેલ અને બંનેને આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં જેથી આ લોકો સાથે રહેલ જગાભાઇનો દિકરો છુટા પાડતો હતો જેથી વિશાલભાઈએ તેણીના પતિને ફોન કરીને જાણ કરેલ અને 100 નંબરમા ફોન કર્યો હતો મહેન્દ્રભાઈએ તેના મીત્રોને ફોન કરીને બોલાવતા થોડીવારમા માનવ ખીમસુરીયા, ગીલી ડાંગર, શની ખીમસુરીયા, રવી પરમાર તથા મિલન પરમાર ઘસી આવેલ અને ગેરકાયદે મંડળી રચી ફરીયાદી અને તેણીના પતિ તેમજ સાથેના વિશાલભાઈ દાફડાને માર મારવા લાગ્યા હતાં દરમિયાન 112 પોલીસની ગાડી ત્યાથી નિકળતા તેણીએ તેઓની ગાડી ઉભી રખાવેલ અને તેઓની પાસે પોલીસ મદદ માંગેલ 112 પોલીસ વાળાએ તેઓને વધુ મારમાથી બચાવેલ અને આ પોલીસ વાળા તેના મોબાઇલ ફોનમા વિડીયો ઉતારતા હતા તે મોબાઇલ ફોન આ લોકોમાથી કોઇકે આંચકીને નિચે પછાડી તોડી નાખેલ હતો બાદ આ બધા લોકો ત્યાથી જતા રહેલ અને જતા જતા મહેન્દ્રભાઈ ઉર્ફે કાલુ ખીમસુરીયાએ ઘમકી આપલે કે, આ વખતે તો તમો બચી ગયા બીજીવાર સામા મળશો તો તમોને જાનથી મારી નાખીશ. જે બાદ ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડયા હતાં અને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો
ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ચાવડાએ અજાણ્યા શખ્સ સામે ફરજમાં રુકાવટ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.30ના તે 112 જનરક્ષક ગાડીના ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતાં ત્યારે સાંઢિયાપુલ પાસે આવેલ અવસર રેસીડેન્સીની ઇવેન્ટ પડેલ હોય જેથી તેઓ સાંઢિયા પુલ તરફ જવા નીકળેલ અને ગાડી માંધાતા સર્કલથી આગળ મોવીયા ચોકડી તરફ જતા રોડ પર બાબા પાન નામની દુકાન પાસે પહોચેલ તો ત્યા રસ્તા પર લોકોનું ટોળુ ભેગુ થયેલ હતુ ત્યાં સાત આઠ લોકો સામ સામે મારામારી કરતા હતા. જેથી 112 જનરક્ષક ગાડી ત્યાં ઉભી રાખેલ અને લોકોને છુટ્ટા પાડતો હતો. આ મારામારી કરતા લોકોમાં એક વ્યક્તિ પોલીસ ખાતામાં નોકરી કરતા મહેન્દ્ર ખીમસુરીયા હતો. આ લોકો છુટ્ટા પડતા ન હોય જેથી પર્સનલ મોબાઇલમાંથી ગોંડલ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મદદ તથા મારામારીના બનાવ અંગે જાણ કરતો હતો રવિભાઈ સરકારી મોબાઇલમાં મારામારીનો વીડીયો ઉતારતા હતા ત્યારે રવીભાઇએ પાસે આવી કહેલ કે, હુ સરકારી મોબાઇલમા વિડીયો ઉતારતો હતો તે મોબાઇલ ફોન મારામારી કરતા લોકોમાંથી એક અજાણ્યો શખ્સે લઇને તુ અમારો વીડીયો કેમ ઉતારે છે તેમ કહીને મોબાઇલ નિચે જમીન પર પછાડીને તોડી નાખેલ છે.
રાજકોટના નારાયણનગરમાં હત્યાનો ખાર રાખી બે ભાઈ સહીત પાંચ શખ્સોનો તલવાર-ધારિયાથી હુમલો : માતા-પુત્રી સહીત ચાર મહિલાને ઇજા : ભક્તિનગર પોલીસ મથકમાં રાયોટીંગ સહિતનો નોંધાતો ગુનો
રાજકોટના ઢેબર રોડ પર નારાયણનગરમાં રહેતા મંજુબેન ભીમાભાઇ સોલંકી ઉ.43એ અર્જુન સુરેશ સોલંકી, વિકી સુરેશ સોલંકી, ધ્રુવ પ્રવીણભાઈ સોલંકી, ભાદા દુલા સોલંકી અને મુકેશ ભાદાભાઈ સોલંકી સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ સહિતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે સંતાનમાં ત્રણ દીકરા તથા એક દીકરી છે મારા પતિ તથા મારો દીકરો નિલેશ ખુનના કેસમાં રાજકોટ જેલમાં છે ગત સાંજે હું તથા મારા સગા બહેન ગંગાબહેન તથા મારા વેવાણ મમતાબેન તથા મારી દીકરી કોમલ તથા મારા દીકરાની પત્ની પ્રજ્ઞાબેન તથા મારા બેન ગંગાબેનની દીકરી પ્રદિક્ષા બધા બેઠા હતા ત્યારે સુરેશભાઈ સોલંકી તથા ભાદાભાઈ સોલંકીના નાના નાના છોકરા અમને ગાળો કાઢતા હોય જેથી અમે બધા અમારા ઘરની બહાર આવી આ નાના નાના છોકરાને ભૂંડા ન બોલવા સમજાવી ખીજાયેલ જેથી તે બધા જતા રહેલા હતા અમે ત્યાં ઊભા હતા ત્યાં જ ઉપરોક્ત પાંચેય ધસી આવ્યા હતા અને અમને જેમ ફાવે તેમ બોલી અમારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ અને અર્જુન મને માથામાં તલવાર મારવા જતા મેં આડો હાથ રાખતા મને ડાબા હાથમાં તલવાર લાગી ગયેલ તેમજ આ બધા અમને બધાને તેના હાથમાં રહેલ હથિયારો વડે જેમ ફાવે તેમ મારવા લાગેલ અને ઢીકા પાટુથી માર મારવા લાગેલ અને આ મારામારી થતી હતી ત્યારે આજુબાજુ માંથી માણસો ભેગા થઈ જતા આ બધા લોકો ત્યાંથી ભાગી ગયેલ અને આ મારામારીમાં મને અર્જુને તલવાર મારતા બંને હાથમાં ઈજા થયેલ તેમજ મમતા બેનને વીકીએ માથામાં ધાર્યું મારતા જેને લોહી નીકળવા લાગેલ અને આ બધા ભેગા મળી અમને માર મારેલ હોય જેમાં મારી દીકરી કોમલને પગમાં તેમજ મારી બહેનની દીકરી પ્રદીક્ષાને શરીરએ મુંઢ ઇજા થયેલ હોય જેથી કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરતા અમને બધાને 108માં બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયા હતા આ બનાવ બનવાનું કારણ એ છે કે વર્ષ 2024માં અમારા લતામાં રહેતા સુરેશભાઇ ભાદાભાઈ સોલંકી સાથે અમારા પતિ તથા અમારા સંબંધીઓ વચ્ચે ઝઘડો થયેલ હતો. જે ઝઘડામાં આ સુરેશભાઈનું ખૂન થઈ ગયેલ જેનો ખા૨ રાખી આ બધા એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી હથિયારો સાથે આવી હુમલો કર્યો હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



