રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
ભિક્ષાવૃતિ કરતા વૃદ્ધાનું રિક્ષામાં અપહરણ કરી, મારકૂટ કરી, અર્ધબેભાન હાલતમાં હવસનો શિકાર બનાવી લાશ આજી ડેમમાં ફેંકી દીધી હતી
- Advertisement -
ફોરેન્સિક પીએમમાં શંકા ઉપજતા આજી ડેમ પીઆઇ એચ.એન.પટેલ અને ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો
રાજકોટમાં 76 વર્ષીય વૃધ્ધાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધાના કિસ્સામાં આજી ડેમ પોલીસ મથકના પીઆઈ હરેશ પટેલ અને ટીમે ગણતરીના દિવસોમાં ગુનો ડીટેકટ કરી અગાઉ ત્રણ ત્રણ હત્યાને અંજામ આપનાર નરાધમ આરોપીને દબોચી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે રાજકોટમાં અગાઉ 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યાના ગુનામાં ફાંસીની સજા પામેલ રાજકોટના રમેશ વૈધુકીયાએ જ વિકૃત કારસ્તાનને અંજામ આપ્યો હતો તે બાળકી પૂર્વે લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરી હતી તેમજ ચોટીલા પંથકમાં મહિલાની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધાના જધન્ય અપરાધોમાં પણ તેની સંડોવણી ખુલી હતી. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈ તા.21/08/2026ના રોજ રાજકોટ-ભાવનગર હાઈવે પર મોગલ માતાજીના મંદિર પાસે આજી ડેમના કાંઠેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી દરમિયાન કુવાડવા રોડ પર સાત હનુમાન મંદીર પાસે ઝૂંપડામાં રહેતાં અજયભાઈ રમેશભાઈ સોલંકીએ આ મહિલા પોતાના દાદીમા લીલાબેન ટપુભાઈ ઉર્ફે ટીબુભાઈ સોલંકી ઉ.76 હોવાનું જણાવેલ અને ગઈ તા.19 ના રોજ સવારના પોતે પોતાના દાદીમા લીલાબેનને સાત હનુમાન મંદિર પાસે ભીક્ષાવૃતિ માટે બેસતા હોય ત્યાં મુકવા ગયેલ અને બાદ સાંજના તેડવા ગયો ત્યારે પોતાના દાદીમા જોવા ન મળતાં શોધખોળ કરી ગઈ તા.20ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુમ અંગે જાહેરાત કરી હતી ફોરેન્સિક પીએમમાં તબીબોએ શંકા વ્યક્ત કરતા બનાવની ગંભીરતા સમજી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલિક, ડિસીપી હેતલ પટેલ અને ઈન્ચાર્જ એસીપી વી.બી જાડેજાના માર્ગદર્શન હેઠળ આજી ડેમ પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં પીએસઆઇ વી.જી.ડોડિયાની રાહબરીમાં અલગ-અલગ ટીમો બનાવી મરણજનાર જે જગ્યાએથી ગુમ થયેલ તથા જે જગ્યાએથી મૃતદેહ મળેલ હોય તે જગ્યાનો રૂટ વેરીફાય કરી ટેક્નિકલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી રીક્ષાચાલકના સીસીટીવી કેમેરા તપાસી નંબર મેળવતા રિક્ષા નંબરના આધારે તેના માલિક બાબરીયા કોલોનીમાં રહેતા અમન દલને બોલાવી પુછપરછ કરતાં રિક્ષા રમેશને ચલાવવા આપ્યાનું કહ્યું હતું. જેથી કોઠારીયા રોડ પર રહેતા અને રીક્ષા ડ્રાયવિંગ કરતા રમેશ બચુ વૈધુકીયા ઉ.33ની પોલીસે અટકાયત કરી પુછપરછ કરતાં તેણે ચોંકાવનારી કબૂલાત આપી હતી કે, ગઇ તા.19ના રોજ સાંજે ચારેક વાગ્યે તેણે જ લીલાબેનનું અપહરણ કર્યું હતું. તેને રિક્ષામાં બેસાડી અલગ-અલગ જગ્યાએ ગયા બાદ બેફામ મારકુટ કરી હતી. એટલું જ નહીં લાકડાના ધોકાના પણ ઘણા ઘા ઝીંક્યા હતા. જેને કારણે લીલાબેન અર્ધબેભાન બની જતાં તેને ઘટનાસ્થળે લઇ જઇ રિક્ષાની પાછળની સીટમાં તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ ફરીથી મારઝુડ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પુરાવાનો નાશ કરવા કપડામાં લાશ વિંટાળી આજી ડેમના કિનારે ફેંકી રિક્ષા લઈ નાસી ગયો હતો આ જીડેમ પોલીસે ઉંડાણ પુર્વકની તપાસ દરમ્યાન ગુન્હાનો ભેદ ઉકેલી બનાવ બાબતે આજીડેમ પોલીસ મથકના પીઆઈ હરેશ પટેલ પોતે ફરીયાદી બની રેપ વિથ મર્ડરની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સામે અગાઉ લૂંટ વિથ મર્ડર, રેપ વિથ મર્ડર સહીત ત્રણ મર્ડરના ગુના નોંધાયા હતા
- Advertisement -
રમેશએ 2010માં ચોટીલામાં ધોકા-પાઇપ વડે માર મારી મહિલાનું મૃત્યુ નિપજાવી તેની લાશ કૂવામાં ફેંકી દીધી હતી. આ પછી 2018માં રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધાના દાગીના લૂંટી હત્યા કરી લાશ ફેંકી દીધી હતી અને તેના 2 દિવસ બાદ (9 ફેબ્રુઆરી, 2018) થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શ્રમિક પરિવારની 3 વર્ષની માસુમ બાળકીને ઉપાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરી ભાવનગર રોડ પરના જૂના પીટીસી ગ્રાઉન્ડમાં લાશ ફેંકી દીધી હતી.2018ની સાલમાં 70 વર્ષના વૃદ્ધા પાસેથી લૂંટ ચલાવી હત્યા કરવા અંગે લૂંટ વિથ મર્ડરનો ગુનો કુવાડવા પોલીસ મથકમાં નોંધાયો હતો. જ ગુનામાં સેશન્સ કોર્ટે તેને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યો હતો.
ફાંસીની સજામાં ત્રણ માસ પૂર્વે થયો હતો જામીન મુક્ત
૨૦૧૮ની સાલમાં જ થોરાળા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કર્યા બાદ લાશ ફેંકી દીધાની ફરિયાદ નોંધાઈ હતી.શહેરમાં ભારે રોષ જગાવનાર આ કેસમાં 2020માં રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ડી. ડી. ઠક્કરે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપી રમેશ વૈધુકિયાને ફાંસીની સજા ફટકારી હતી જોકે હાઇકોર્ટમાંથી ત્રણેક માસ પહેલા જ છુટી ગયો હતો. હવે ફરીથી તેના વિરુદ્ધ વૃદ્ધાનું અપહરણ કરી, દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરી લાશ ફેંકી દેવા અંગે ચોથો ગુનો નોંધાયો છે !!
2018માં રમેશને જેલહવાલે કર્યા બાદ તેણે જ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કર્યાંનું ખુલતા ફરીથી કબ્જો લીધો હતો
કુવાડવા રોડ પર 2018માં વૃદ્ધાના દાગીના લૂંટી હત્યા કર્યાના ગુનામાં તે વખતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ કે કે જાડેજાએ આ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલી નાખી રમેશની ધરપકડ કરી હતી આકરી પૂછતાછ અને કાયદેસરની કાર્યવાહી બાદ રમેશને જેલહવાલે કરવામાં આવ્યો હતો રમેશ જેલહવાલે થયા બાદ થોરાળા પોલીસમાં નોંધાયેલા બાળકીના રેપ વિથ મર્ડરના ગુનામાં પણ આ રમેશ જ સંડોવાયેલ હોવાની પુષ્ટિ થતા પોલીસ સમક્ષ મોઢું સીવી લેનાર રમેશનો ફરીથી જેલમાંથી કબ્જો લીધો હતો.
કોટડાસાંગાણીના વડિયા ગામે મકાનના તાળા તોડી 7.82 લાખની ચોરી : વૃદ્ધ દંપતી પુત્રના ઘરે રાજકોટ આટો દેવા આવ્યા બાદ તસ્કરો મહેમાન બન્યા
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વડિયા ગામે રહેતું વૃદ્ધ દંપતી પોતાના રાજકોટ રહેતા પુત્રના ઘરે આંટો મારવા જતા પાછળથી મહેમાન બનેલા તસ્કરો બંધ મકાનનું તાળું તોડી 7.82 લાખની મત્તાની ચોરી કરી નાસી જતાં ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીના વડિયા ગામે રહેતા મંગળસિંહ જાડેજા ઉ.70 તથા તેમના પત્ની છોટુબા રાજકોટ રહેતા પુત્ર યુવરાજસિંહના ઘરે રોકાવા ગયા હતા. થોડા દિવસ રોકાયા બાદ દંપતી પોતાના પુત્ર સાથે વડિયા પરત ફરતા મકાનના દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. મકાનમાં અંદર જઈને જોતા રૂમોમાં સામાન વેર-વિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને કબાટમાં તીજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂા.૫૮ હજાર મળી 7.82 લાખના મુદ્દામાલની ચોરી થયાનું ખુલતા આ અંગે કોટડાસાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે સીસીટીવી ફુટેજ તથા ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.
માતા સાથે કેટરર્સમાં કામે જતી ૧૫ વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી શખસે ચાર વખત દુષ્કર્મ આચર્યુ : થોરાળા પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી ભોમેશ્વરમાં રહેતા આરોપીની ધરપકડ કરી
રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં માતા સાથે કેટરર્સમાં કામે જતી ૧૫ વર્ષીય સગીરાને ભોમેશ્વરના શખસ સાથે પરિચય થયા બાદ તેણીને પ્રેમજાળમાં ફસાવી જયુબેલી ચોકમાં આવેલી ઓફિસમાં લઈ જઈ ચાર વખત દુષ્કર્મ આચર્યાની માતાએ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. થોરાળા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાએ થોરાળા પોલીસમાં ભોમેશ્વર મેઈન રોડ પર ભોમેશ્વર મહાદેવના મંદિર વાળી શેરીમાં રહેતા અમૃત ઉર્ફે શન્ની જેન્તીભાઈ બેલમ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંચેક માસ પૂર્વે તેણી કેટરર્સના કામે જતી હતી. ત્યાં તેનો પરિચય સાથે કામ કરતા અમૃત ઉર્ફે સન્ની બેલમ સાથે થયો હતો.જે બાદ બન્નેએ નંબરની આપ-લે કરી હતી.વાતચીત કરતા દરમ્યાન અમૃતએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોતાના વાહનમાં જયુબેલી ચોક પાસેની બિલ્ડીંગની ઓફિસમાં લઈ જઈ ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતું.આ પછી આરોપીએ તેણીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જેથી ગભરાયેલી સગીરાએ પોતાની આપવીતી પરિવારને જણાવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.માતાની ફરિયાદ પરથી થોરાળા પીઆઈ સોઢા સહિતના સ્ટાફે પોકસો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
શાપર સહિત છ સ્થળોએ ફોન-દાગીના બાઈકની ચોરી કરનાર રાજકોટનો તસ્કર ઝડપાયો : એલસીબીએ ચાર મોબાઈલ, ત્રણ બાઈક સહીત 1.45 લાખનો મુદામાલ કબ્જે કર્યો
રાજકોટ જીલ્લામાં નોંધાયેલા ચોરીના બનાવોને ડીટેકટ કરી આરોપીને ઝડપી લેવાની સુચના અન્વયે શાપર પોલીસમાં નોંધાયેલ બાઈક ચોરીના ગુનામાં રૂરલ એલસીબીની ટીમે રાજકોટના તસ્કરને દબોચી લઈ અન્ય છ ચોરીના બનાવોનો ભેદ ઉકેલી ત્રણ બાઈક, બેટરી, ચાંદીના દાગીના, ચાર મોબાઈલ સહીત 1.45 લાખનો મુદામાલ કબજે કર્યો છે. ગત.તા.૨૫ના પારડી ગામ પાસે આવેલ હોટેલ નજીકથી ફરિયાદીનું બાઈક ઉઠાવી ગયાની શાપર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.જે બનાવમાં રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવ ના માર્ગદર્શન હેઠળ ટીમે સીસીટીવી તથા ટેકનિકલ સોર્સની મદદથી તપાસ આદરી બાતમી આધારે રાજકોટના વામ્બે આવાસ યોજનામાં રહેતો મૂળ કરમડ ગામનો કૌશીક ઉર્ફે કાલી બીપીન સોલંકીને ઉઠાંવી લઈ પૂછતાછ કરતા તેણે અન્ય છ ચોરીની કબુલાત આપી હતી. જેમાં ગત.તા.૨૫ના પારડી પાસેની હોટેલ પાસેથી સપ્લેટર, પાંચ દિવસ પહેલા માધાપર ગામ પાસેથી એકટીવા, આઠેક દિવસ પહેલા રાજકોટ પીડીએમ કોલેજ પાસેથી સપ્લેન્ડર, ત્રણ દિવસ પહેલા રાજકોટ ગોંડલ નેશનલ હાઈ વે રોડ પરની હોટેલ સામેના ભાગે આવેલ કેબીનમાંથી બેટરી, તથા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ત્રણ ફોન, વિસ દિવસ પહેલા સુરેન્દ્રનગરના આંબેડકરનગરમાં આવેલ એક ઓફિસમાંથી ચાંદીનું બિસ્કીટ, બે ચાંદીના સિકકા તથા ત્રણ ફોન અને રોકડ 5000 સહિતની ચોરીઓની કબુલાત આપતા પોલીસે તમામ મુદામાલ રીકવર કર્યો છે.ં
નવા થોરાળામાં પૂત્રના વિયોગમાં વયોવૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવ દીધો : પોલીસે મૃતદેહ પીએમમાં ખસેડયો : પરિવારમાં અરેરાટી
રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં રહેતા વૃધ્ધાએ પુત્રના વિયોગમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટના નવા થોરાળા શેરીમાં રહેતા જીવીબેન ગેલાભાઈ માદલીયા ઉ.79 નામના વૃધ્ધાએ સવારે પોતાના ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવતા ઈએમટીએ તપાસી મૃત જાહેર કરી થોરાળા પોલીસને જાણ કરતા સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરતા મૃતકને સંતાનમાં ચાર દિકરા અને ચાર દિકરી છે. તેમજ પાંચેક વર્ષ પહેલા મૃતક જીવીબેનના મોટા દિકરા અનિલભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ત્યારથી તેઓ સતત ગુમસુમ રહેતા હતા.પુત્રના વિયોગમાં તેની માનસિક સ્થિતી પણ અસ્વસ્થ થઈ ગઈ હતી જેથી કંટાળી પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં 75 વર્ષીય વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 55.50 લાખ પડાવ્યા : વૃધ્ધાને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી આતંકવાદનો ભય બતાવી એક વીક એરેસ્ટ કરી મરણમૂડી પડાવી લીધી
રાજકોટમાં 75 વર્ષીય વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 55.50 લાખ પડાવી લેતાં ચકચાર મચી ગઈ છે શાસ્ત્રી મેદાન સામે ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતાં વૃધ્ધાને મુંબઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારીની ઓળખ આપી સાયબર આતંકવાદનો ભય બતાવી એક સપ્તાહ ફિઝિકલ એરેસ્ટ કરી મરણમૂડી પડાવી લીધા બાદ વધું 41 લાખ માંગતા દંપતીએ એફડી તોડાવતા મુંબઈ રહેતી પુત્રીને જાણ થતા જ તેને રાજકોટ સાયબર ક્રાઇમને માહિતી આપી હતી જેથી પોલીસે તુરંત જ વૃધ્ધ દંપતીના ઘરે દોડી જઇ કાઉન્સેલિંગ કરી 41 લાખ ફ્રોડમાં જતાં અટકાવ્યા હતા અને ત્રણ અજાણ્યા મોબાઈલ નંબર ધારક અને બે બેન્ક ખાતા ધારક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના પંચનાથ પ્લોટમાં આવેલ ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતાં ગીતાબેન ભુપતરાય ભાયાણી ઉ.75એ સાયબર ક્રાઇમ પોલીસમાં ત્રણ અજાણ્યા મોબાઈલ નંબર ધારક અને બે બેન્ક ખાતા ધારક સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ચાર પુત્રીઓ છે. જે ચારેય અલગ અલગ શહેરમાં સાસરે છે. ગઈ તા.18ના એક વોટ્સએપ કોલ આવેલ અને સાયબર માફિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી ફરીયાદીને સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવી ફીઝીકલ ડિજિટલ એરેસ્ટ કર્યાં હતા તેમજ તેઓ ડીઝીટલ એરેસ્ટમાં હોવાનું જણાવી ભયભીત કર્યા હતા. ત્યાર બાદ વોટ્સ એપ મારફતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નામે ખોટા દસ્તાવેજો મોકલી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં આરોપીઓએ ઓનલાઈન 55.50 લાખ ટ્રાન્સફર કરી લીધાં હતા. જે બાદ સાયબર માફિયાઓએ વધુ 41 લાખ માંગ્યા હતાં. જે બાદ ફરીયાદી દંપતી પાસે પોતાની મરણ મૂડી તમામ આરોપીને આપી દિધી હોવાથી વધું રૂપીયાની વ્યવસ્થા કરવાં પોતાની એફ.ડી. તોડવવા માટે મુંબઇ રહેતી પુત્રીને જાણ કરી એફડી તોડવી નાંખી હતી જે બાદ તેની મુંબઈ રહેતી પુત્રીને શંકા જતા તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પર કોલ કરી તેણીએ તેઓના માતાપીતા ઉમર લાયક હોય, તે શહેરના શાસ્ત્રીમેદાન પાસે, ગૌતમ બુધ્ધ એપાર્ટમેન્ટમા રહે છે, જેઓ છેલ્લા એક અઠવાડિયાથી ડિજીટલ એરેસ્ટ હોય અને તેઓએ ડિજીટલ એરેસ્ટમા 55.50 લાખ જેટલી રકમ ડિજીટલ એરેસ્ટમા ગુમાવેલ ત્યાર બાદ ભોગ બનેલ આ દંપતી ખુબ જ ડરી ગયેલ અને જે માહિતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા ટીમે તાત્કાલીક ધોરણે આ દંપતીનો સંપર્ક કરી અને આ વૃધ્ધ દંપતીના ઘરે જઇને તેઓને ડિઝીટલ એરેસ્ટમાંથી છોડાવી તેઓનુ કાઉન્સિલિંગ કરી અને વધુ 41 લાખ ટ્રાન્સફર કરતાં અટકાવેલ અને ગુનો નોંધ્યો હતો સાયબર ક્રાઈમ પીઆઈ એસ.ડિ.ફુલતરીયા, પી.આર.ડોબરીયા અને એમ.ડી.ગઢવી અને સાયબર ક્રાઇમની ટીમે કામગીરી કરી હતી તેમજ સાયબર માફિયાઓને પકડવા પણ તજવીજ હાથ ધરેલ છે.
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂના 628 ચપલા સાથે સાગર, મહિલા સહીત ચારની કરી ધરપકડ : ગોંડલ અને જસદણમાંથી દારૂ ભરેલી બે કાર ઝડપી લીધી : દારૂ, મોબાઈલ સહીત 9.38 લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ જિલ્લાના ગોંડલમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે મહિલા અને સગીર સહિત 3 શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લઇ 3.70 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ વિછિયા જસદણ રોડ પર વોચ ગોઠવી 244 દારૂના ચપલા ભરેલી કાર સાથે ખડવાવડીના શખ્સની ધરપકડ કરી દારૂ, કાર સહીત 5,68,440નો મુદામાલ કબ્જે કર્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ જુગારની પ્રવૃતિ નાબુદ કરવા આપેલી સૂચના અન્વયે એલસીબી પીઆઇ જે પી રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ. ચાવડા, પીએસઆઇ એચ.સી. ગોહીલ, પીએસઆઇ આર.બી. ભીમાણી, પીએઅસઆઇ પી.એન. ભરવાડ તથા એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી તથા પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ બોરડ, વિજયભાઇ ખડીયા, ભાવેશભાઇ મકવાણા તથા વિજયભાઇ સીહાર સહિતની ટિમ ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે સફેદ કલરની અર્ટીગા કારમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી આટકોટથી જેતપુર તરફ જનાર છે આ બાતમી આધારે કાર નીકળતા અટકાવી કાર રોકી ચેક કરતા કારના ચોરખાનામાં અંગ્રેજી દારૂના 384 ચપલા મળી આવતા નીતેષભાઇ કેશુભાઇ જીવનભાઇ ઘોડી, અર્ચનાબેન સુરેશભાઇ કાશીનાથ મંજવેલકર તથા બાળકીશોરને ઝડપી લીધા હતા પોલસીએ 61,400નો દારૂ તથા કાર મળી કુલ 3,69,940નો મુદામાલ કબ્જે કરી ત્રણેયને ઝડપી લીધા હતા. જયારે દારૂનો જથ્થો મંગાવનાર તરીકે કમલ ઉર્ફે ટીનો દયારામભાઇ નિમાવત જેતપુરનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે એલસીબી ટીમને મળેલી બીજી બાતમી આધારે વિછિયા જસદણ રોડ ઉપર વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 63,440 રૂપિયાની કિંમતના દારૂના 244 ચપલા મળી આવતા કારચાલકનું નામઠામ પૂછતાં પોતે જસદણના ખડવાવડી ગામનો કિરણ કલાભાઈ મકવાણા હોવાનું ખુલતા તેના વિરુદ્ધ ગુનો નોંધી પૂછતાછ કરતા વિછિયાના મોટા માત્રા ગામના ઈશ્વર ઉર્ફે ઇસો બાવળીયાનું નામ ખુલતા ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી દારૂ, કાર, મોબાઈલ સહીત 5,68,440 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટમાં પરિવારને ફરવા લઇ ગયા બાદ ઘરે આવી યુવકનો ફાંસો ખાઈ આપઘાત : પરપ્રાંતીય શ્રમિકના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટના કોઠારીયા રોડ પર પરસાણાનગરમાં રહેતાં મુળ બિહારના એકત્રીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બુધવારે કારખાનામાં રજા હોઇ યુવાન તેના બે સંતાન, પત્નિને ફરવા લઇ ગયો હતો. પરત ઘરે આવ્યા બાદ તેણે આ પગલુ ભરી લીધુ હતું પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ રાજકોટના પરસાણાનગરમાં રહેતાં જીત્તુબીંદ ચેક્તુબીંદ ઉ.31 નામના યુવાને ઘરે ચુંદડીથી ગળાફાંસો ખાઇ લેતાં 108ના તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. બી. વારોતરીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર જીત્તુબીંદ કારખાનામાં મજૂરી કરતો હતો. તે ગઇકાલે બુધવારે કારખાનામાં રજા હોઇ પત્નિ સંતાનોને બહાર ફરવા લઇ ગયો હતો. બાદમાં સાંજે ઘરે આવ્યા પછી અકળ કારણોસર પગલુ ભરી લીધુ હતું આપઘાતનું કારણ જાણવા આગળની તપાસ હેડ કોન્સ. તોરલબેન જોષીને સોંપવામાં આવી છે.
તે મને પોલીસમાં પકડાવ્યો છે કહી યુવક ઉપર ત્રિપુટીનો ધોકા-પાઇપથી હુમલો : તારા ઘરના આવી ગયા એટલે તું બચી ગયો, રસ્તામાં ભેગો થઈશ તો મારી નાખીશ કહી ધમકી
રાજકોટના રેલનગરના શિવાલય ચોકમાં સંકલ્પ સિદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોબાઈલ એસેસરીઝનો વેપાર કરતા જયેશભાઈ ઉર્ફે જેકી જગદીશભાઈ મેઠાણી ઉ.32એ શાહરુખ સિરાજભાઈ જુણેજા, મોહિત તનિયા અને વિશાલ પુજારા સામે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 24 તારીખ રાત્રીના હુ મારા ઘરે હતો ત્યારે વિશાલ પૂજારાનો ફોન આવેલ અને મને ફોનમાં કહેલ કે તુ તારા ઘર નીચે આવ આપડે મળ્યા નથી તો આપડે તારા ઘર પાસે મળી જેથી હુ નીચે જતા વિશાલ આવી ગયેલ અને તેની સાથે કોઈ લેડીસ હતા અને અમે વાત ચીત કરતા હતા ત્યા થોડીવારમા એક એક્સેસમા શાહરૂખ તથા મોહીત તનીયા આવેલ અને તેની પાસે લાકડાનો ધોકો અને પી.વી.સી.નો પાઈપ હતો અને આ શાહરૂખ અને મોહીત મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને શાહરૂખે મને કહેલ કે તે મને પોલીસમા કેમ પકડાવેલ છે તેમ કહી મને લાકડાના ધોકા વતી આડેધડ માર મારવા લાગેલ અને તેની સાથે રહેલ મોહીત પણ પી.વી.સી.ના પાઈ૫થી આડેધડ માર મારવા લાગેલ હતો અને આ વખતે વીશાલે મને પકડી રાખેલ હતો અને શાહરૂખ અને મોંહીત મને આડેધડ માર મારતા હતા અને શાહરૂખે મને મારા પ્રાઈવેટ પાર્ટમા પાટા મારેલ હતા બાદમા મારા મારીનો અવાજ થતા મારી પત્ની ક્રિષ્ના નીચે ઉતરીને મારી પાસે આવેલ અને ત્યારે આ શાહરૂખે મને કહેલ કે અત્યારે તારા ઘરના આવી ગયા એટલે તુ બચી ગયો હવે તુ ગમે ત્યા રસ્તામા ભેગો થાઈસ ત્યારે હુ તને મારી મારી નાખીશ તેમ કહી નાસી છૂટ્યો હતો જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ગુંદાવાડીમાં કપડાં ખરીદ્યા બાદ વધુ બિલ બનાવતા ખરીદી ન કરનાર શિક્ષિકા અને તેના પતિ પર હુમલો : આસોપાલવ નામની દુકાન ધરાવતા વેપારી, તેના ભાઈ અને મહિલા કર્મચારી સામે ભક્તિનગરમાં ફરિયાદ
રાજકોટના નવા થોરાળામાં રહેતા અને પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કાજલબેન મેહુલભાઈ ચૌહાણ ઉ.32એ ગુંદાવાડીમાં રહેતા પ્રશાંત મનસુખભાઇ દેસાઈ, આશિષ દેસાઈ અને પ્રશાંતભાઈની દુકાનમાં કામ કરતી અજાણી મહિલા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 23 તારીખે સાંજે હું તથા મારા પતિ, મારો દિકરો, મારા બહેન મનિષાબેન તથા તેમની દિકરી કપડાની ખરીદી કરવા ગુદાવાડીમાં ગયા હતા રાત્રીના ગુદાવાડી શેરી નંબર 17મા આવેલ આસોપાલવ નામની દુકાનમા ખરીદી કરવા ગયેલ અને તે દુકાનમા રહેલ મહિલા સ્ટાફે અમને અલગ અલગ કપડા બતાવેલ અને મને જે કપડાની પેર ગમતી હતી તે પેરના ભાવ પુછતા મહિલા સ્ટાફે મને એક પેરના 1350 રૂપીયા જણાવેલ જેથી મારી પસંદગીની કપડાની બે પેર લઈને બિલ આપવા હું કાઉન્ટરે ગયેલ અને મને ગમેલ કપાડાનું બિલ બનાવવાનું કહેતા કાઉન્ટરે હાજર વેપારીએ બિલ બનાવી મને આપેલ જે બીલ મે જોતા 3000 રૂપીયાનું બિલ બનાવેલ હોય જેથી મે કાઉન્ટરે હાજર વેપારીને કહેલ કે, મને કપડા બતાવનાર મહિલા સ્ટાફે એક પેરના 1350 રૂપીયા કહેલ છે જેથી બે પેરના 2700 થાય તમે તો 3000નું બિલ બનાવેલ છે જેથી મારે કપડા નથી લેવા તેમ કહીં અમે દુકાનમાંથી નીકળી ગયેલ જેથી કાઉન્ટરે હાજર વેપારીએ મને ક હેલ કે તમને શું પ્રોબ્લેમ છે જેથી મે વેપારીને કહેલ કે તમે બિલમા વધારે ભાવ લગાડેલ છે જેથી કપડા નથી લેવા તેમ કહેતા કાઉન્ટરે હાજર વેપારીએ મને જણાવેલ કે તમને શરમ નથી આવતી અમારો એક કલાકનો સમય બગાડ્યો તેમ કહેલ જેથી મારા પતિએ વેપારીને જણાવેલ કે તમે ગ્રાહક સાથે આવી રીતે વાત ન કરી શકો તેમ કહેતા મારા પતિએ વેપારીને જણાવેલ કે તમે પણ શરમ વગરના છો તેમ કહેતા અમે દુકાન પાસેથી હાલતા થઈ ગયેલ જેથી વેપારીએ અમને કહેલ લુખ્ખીનાવ ઘરે જ રહેતા હોય તો તમારે કપડા લેવા અવાય જ નહીં તેમ કહેલ અને બાદ વેપારી તેમની પાસે રહેલ સ્ટીલનો પાઈપ લઈને મારવા દોડેલ જેથી મારા પતિએ પણ સ્વબચાવમા શેરીમા પડેલ ઇંટનો કટકો હાથમાં ઉપાડેલ એટલામા વેપારી પાસેથી તેમના સ્ટાફે પાઈપ લઇ લેતા વેપારી અમારી પાસે આવેલ અને મારા પતિ સાથે છુટા હાથની મારામારી કરવા લાગેલ જેથી બન્ને ઝગડો કરતા રોકવા સારૂ હું વચ્ચે પડતા વેપારીએ મને ધક્કો મારતા હાથના અંગુઠામા તથા બન્ને પગમા મુંઢ ઈજા થયેલ આ દરમિયાન વેપારીની દુકાનમા કામ કરતી અજાણી મહિલા મારી પાસે આવેલ અને મારી સાથે ઝગડો કરવા લાગેલ અને તે બાદ આજુબાજુના રાહદારીઓએ મારા પતિ તથા વેપારીને તથા અમને ઝગડો કરતા છુટા પાડેલ જેથી મે પોલીસ મદદ સારૂ 112મા કોલ કરી પોલીસ બોલાવેલ અને વેપારીએ ફોન કરી તેમના ભાઈને બોલવતા થોડીવારમા તેમના ભાઈ આવી ગયેલ અને વેપારીના ભાઈ મારા પતિ સાથે છુટા હાથની મારા મારી કરવા લાગેલ દરમ્યાન આ વેપારીના ભાઈ મારા ભાઈ રાહુલભાઈ તથા મારા ભાભી પાયલબેન સાથે મારામારી કરવા લાગેલ અને મારા ભાભી પાયલબેનનો કાઠલો પકડી લીધેલ આ દરમિયાન મારો દિકરો વચ્ચે પડતા વેપારીના ભાઈએ મારા દિકરાને લાફો મારેલ અને અમને કહેવા લાગેલ કે તમને બધાને તો જોઇ લેવા છે તેમ કહેતા હતા ત્યા 112 પોલીસ આવી જતા અમને તથા વેપારી તથા તેમના ભાઈને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ હતા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.




