રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
મનોચિકિત્સકના કહેવા પ્રમાણે મૃતક વ્યસની હોવાનું માની શકાય
- Advertisement -
સીબીઆઈ તપાસની રિટમાં પોલીસ તપાસનો અહેવાલ હાઇકોર્ટમાં રજૂ
રાજકોટમાં રાજકુમાર જાટની હત્યા કેસમાં સીબીઆઈ તપાસની દાદ માગવામાં આવી છે, આ રિટમાં ગુજરાત સરકાર તરફથી પોલીસ તપાસનો અહેવાલ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયો છે, જેમાં કહેવાયું છે કે, સીસીટીવી કેમેરામાં રાજકુમાર જાતે કપડાં કાઢતો નજરે પડે છે. ફોરેન્સિક તપાસ માટે વીડિયો મોકલાયા હતા અને તેની સાથે ચેડાં નહીં થયા હોવાનો પણ અહેવાલમાં દાવો કરાયો છે. પોલીસ રિપોર્ટનો જવાબ આપવા અરજદારે વધુ સમયની માગણી કરી હતી, હવે ૨૪મી સપ્ટેમ્બરે વધુ સુનાવણી નિયત કરાઈ છે. મૃતકના પરિજને અકસ્માતે મોત નહિ પણ હત્યા થયાનો દાવો કર્યો છે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલ હત્યામાં સામેલ હોવાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહિ પરંતુ સ્થાનિક પોલીસ બચાવી રહી હોવાથી તપાસ સીબીઆઈ મારફત થાય તે માટે દાદ મગાઈ છે. આ કેસની સુનાવણીમાં અગાઉ રાજકુમારના અકસ્માત પહેલા તે નગ્નાવસ્થામાં ફરતો હોવાની બાબતની તપાસના આદેશ પોલીસને આપવામાં આવ્યા હતા. હવે તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રાજકુમાર જાટ જાતે કપડાં કાઢતો કેમેરામાં દેખાય છે. આ વીડિયોને ફોરેન્સિકમાં મોકલીને ખરાઈ પણ કરાઈ છે.
સરકારી વકીલે દલીલ કરી હતી કે, રાજકુમાર કંઈક બોલી રહ્યો હોવાનું વીડિયોમાં જણાય છે. તે ગાંજાનું સેવન કરતો હોવાનું જણાય છે. વર્તણૂકને પારખવા મનોચિકિત્સકને વીડિયો બતાવ્યા હતા. મનોચિકિત્સકના કહેવા પ્રમાણે મૃતક વ્યસની હોવાનું માની શકાય. જે રીતે ચાલી રહ્યો છે તે સ્થિતિ સાધારણ નથી. માનસિક બીમાર પણ હોઈ શકે છે. અકસ્માત પહેલા એ ઘરેથી નશાની શોધમાં નીકળ્યો હતો. ગિરનાર જતો ત્યારે ગાંજો લેતો હતો, પરંતુ તેણે ગાંજો પીધો કે નહીં તે ખબર નથી.
એક જ રાતમાં 51 કિલોમીટર ચાલ્યો હતો : જ્યાં સુધી તેનું એક રાતમાં 51 કિ.મી. ચાલવાનો પ્રશ્ન છે તો નિષ્ણાતો કહે છે કે સ્વસ્થ વ્યક્તિ ચાર કિ.મી. પ્રતિકલાકની ઝડપે ચાલી શકે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો તેમાં તેને 51 કિ.મી.નું અંતર કાપ્યું હતું. કુલ ૧૧ કલાક અને ૩૯ મિનિટ જેટલો સમય તેણે લીધો હતો, તો આટલા સમયમાં તે ૫૧ કિ.મી. ચાલી શક્યો હોય તેમ માની શકાય. અરજદારનો દાવો હતો કે, તેના કપડાં મળ્યા નથી. કોઈએ તેને ગાડીમાં બોલાવ્યો તેની તપાસ નથી થઈ.
- Advertisement -
બેડલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે દરવાજા, બે સીસીટીવી સહીત 38 હજારની ચોરી : મહિલા તબીબે એરપોર્ટ પોલીસમાં નોંધાવી ફરિયાદ
રાજકોટમાં દિવસે ને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ બેડલાં ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 28 હજારના બે દરવાજા અને દસ હજારના બે સીસીટીવી સહીત 38 હજારની મતા તસ્કરો ચોરી કરી નાસી જતા ચકચાર મચી જવા પામી છે આ અંગે મહિલા તબીબે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બેડલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા દીપાબેન ગોવિંદભાઇ બોરીચાએ અજાણ્યા શખ્સો સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગત 22 તારીખે શનિવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ કર્યા બાદ 23 તારીખે રવિવારની રજા હોવાથી 24 તારીખે શનિવારે સવારે અમે ત્યાં ગયા હતા ત્યાં જઈને જોયું તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે દરવાજા ગાયબ હતા તેમજ ચેક કરતા કમ્પાઉન્ડમાં લાગેલા બે સીસીટીવી પણ ગાયબ હતા જેથી અજાણ્યા તસ્કરો 38 હજારની સરકારી વસ્તુઓ ચોરી કરી ગયા હોય આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા ગયેલા યુવક ઉપર બે શખ્સોનો કાચની બોટલથી હુમલો : અત્યારે જ બધા રૂપિયા આપી દે કહી માર માર્યો : બે સામે ફરિયાદ
રાજકોટના કોઠારીયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતો જયેશભાઈ ઉર્ફે જનકભાઈ છગનભાઈ વાઘેલા ઉ.42એ નવીન ચકુભાઇ ચાંડપા અને ધર્મેશ પ્રફુલભાઇ ચાંડપા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ડ્રાઇવિંગ કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવુ છું ગત રાત્રીના હુ શ્રી રામ ટ્રેડીંગ જે ૮૦ ફુટ રોડ પર આવેલ છે ત્યા નવિનભાઈ ચકુભાઈ ચાંડપાને તેના રૂપિયા આપવા ગયો હતો ત્યા મે આ નવિનભાઇને કહેલ કે મે તમારી પાસેથી દશ હજાર રુપિયા લિધેલ હતા તેમાથી હું તમને અત્યારે પાંચ હજાર રૂ પિયા આપ છુ બાકીના રૂપિયા મારી પાસે સગવડતા થશે ત્યારે તમને આપીશ આટલુ કહેતા નવિનભાઈ તથા ધર્મેશભાઈ બન્ને એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મને કહેલ કે તુ મને અત્યારે જ બધા રૂપિયા આપી દે એમ કહીને બન્ને મને કાચની બોટલના ઘા મારવા લાગેલ હતા તે મને માથાના ભાગે લોહી નીકળવા લાગ્યું હતુ જેથી મે રાડા રાડી કરતા મારા કાકાના દિકરા દિપકભાઈ જીતેન્દ્રભાઈ વાઘેલા એ મને વધારે મારથી બચાવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
તે મારી જીંદગી બરબાદ કરી નાખી તેમ કહી રાત્રે ઘરમાં ઘુસી પૂર્વ પતિનો મહિલા પર અસ્ત્રાથી હુમલો : લિવઈનમાં રહેતી ત્યક્તાએ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવી ફરિયાદ
રાજકોટના યુનિવર્સીટી રોડ પર રૂડા આવાસ ક્વાર્ટરમાં રહેતા ચંદ્રીકાબેન કિશોરભાઇ દુધરેજીયા ઉ.34એ જીજાબાઇ ટાઉનશીપમાં રહેતા કાનદાસ હરિરામ દેસાણી સામે યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું એકાદ મહીનાથી ઓસવાલભાઇ ક્વિટન ક્લાર્ક સાથે લીંવીંગમાં રહુ છું અને આની પહેલા મારા બે લગ્ન થયેલ છે મારા બીજા લગ્ન કાનદાસ હરીરામ દેસાણી સાથે થયેલ અને તેની સાથે લગ્નને છ મહીના બાદ છુટુ થઇ ગયું છે ગઈકાલે રાત્રીના હું ઘરે હાજર હતી ત્યારે ઓસવાલને માવો ખાવા જવુ હોય જેથી તે ગયેલ અને હું લાયટ બંધ કરી અને સુતી હોય અને અમારો દરવાજો ખુલ્લો હોય જેથી ઓસવાલના ગયા ૫છી મારો બીજો પતી કાનદાસ અચાનક રૂમમાં આવેલ અને અંધારાનો લાભ લઇ અને હું રૂમમાં સુતી હોય ત્યા આવી અને તેના હાથમાં રહેલ અસ્ત્રાથી મારા ગળામાં એક ઘા મારેલ અને બીજો ઘા મારવા જતા મે જમણા હાથેથી તે પકડી લીધેલ જેથી જમણા હાથની હથેળીમાં પણ ઇજા થયેલ અને તે મારી સાથે મારા મારી કરવા લાગેલ જેથી તેના હાથનો અસ્ત્રો મને મોઢા ઉપર છરકો પડેલ તથા દાઢીના ભાગે છરકો પડેલ તથા ડાબા હાથના કાંન્ડા પાસે છરકો પડેલ તથા જમણા હાથની ટચલી આંગણી ઉપર છરકો પડેલ અને મને લોહી નીકળવા લાગેલ જેથી મે તેને કહેલ કે, કાના કેમ મને મારસ જેથી તેને કહેલ કે, તે મારી જીંદગી બરબાદ કરી નાખી તેમ કહી મને ગાળો ભાંડી ઢીકા પાટુનો માર મારી આજે તો તને જાનથી મારી નાખીશ તેમ કહેતા હું બુમાબુમ કરતા આ કાનદાસ મારા ઘરેથી ભાગી ગયેલ અને મે તુરતજ ઓસવાલને ફોન કરીને બોલાવતા તાત્કાલીક 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં બે વર્ષ પૂર્વે અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ : પ્રાણઘાતક અકસ્માતમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કર્યું હતું
રાજકોટમાં પ્રાણઘાતક અકસ્મતાના કેસમાં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કરનાર ટ્રેલરના ચાલક મૂળ યુપીના હાલ રાજકોટમાં રહેતા અભિષેકસિંહ વિરુદ્ધ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. વીમા કંપનીએ લાયસન્સ બાબતે ખાનપુર આરટીઓ કચેરીમાંથી માહિતી મેળવતાં ભાંડો ફૂટ્યો છે. રાજકોટની આજી ડેમ ચોકડી નજીક શ્રી રામ પાર્ક શેરીમાં રહેતી બે બહેનો એક્ટિવા પર જતી હતી ત્યારે રાંદરડા તળાવ પાસે ટ્રેલરે હડફેટે લેતાં અનુપ્રિયા પ્રિયાંશી ઉ.17નું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. તેની બહેન સાક્ષી ઉ.14ને ગંભીર ઈજા પહોંચી હતી. બંનેની માતા નૂતનબેને આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં કોર્ટમાં ક્લેઈમ કેસ દાખલ કર્યો હતો જેથી અકસ્માત સર્જનાર ટ્રેલરના માલિક દ્વારા ઈન્ડસઈન્ડ કંપનીનો વીમો ઉતારાયો હોવાથી કોર્ટ દ્વારા કંપનીને સમંશ આપવામાં આવ્યું હતું. પરિણામે કંપનીએ ડ્રાઇવરના લાયસન્સ અને વીમા પોલીસી બાબતે તપાસ કરતા આરોપીનું લાયસન્સ બોગસ નિકળ્યું હતું. અકસ્માત ૨૬-૧૨-૨૦૨૪ના રોજ બન્યો હતો. જ્યારે આરોપીના ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે ખાનપુર આરટીઓ કચેરીએ તપાસ કરતા તે વખતે આરોપી હેવી ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતા ન હોવાનું જણાવ્યું હતું. જેના પરથી આરોપીએ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કર્યાનું સ્પષ્ટ થતાં વીમા કંપનીના અધિકારી સુધાકરભાઈએ તેના વિરુદ્ધ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં દોઢ લાખની લાલચ આપી યુવકના નામે લોનથી બાઈક અને આઈફોન લઈ લીધો : બે વર્ષથી પરીચીત મિત્રએ 1.59 લાખની છેતરપિંડી આચરી : હપ્તા નહીં ભરતા ગુનો નોંધાયો
રાજકોટમાં ગાંધીનગર સોસાયટી વિસ્તારમાં રહેતા ધાર્મિકભાઈ મહેશભાઈ મોરવાડીયા નામના યુવક સાથે વિશ્વાસઘાત કરી, તેના નામે હોન્ડા એક્ટિવા મોટર સાયકલ અને મોંઘો આઇફોન મેળવી લીધા બાદ પૈસા કે વસ્તુઓ પરત ન આપી નિશીત મહેતા નામના શખસે છેતરપીંડી આચર્યાની તાલુકા પોલીસમાં ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે આશરે બે વર્ષ પહેલાં તેઓને લોનની જરૂર પડતાં યાજ્ઞિક રોડ પર એક દુકાને લોન લેવા ગયા હતા. જ્યાં તેમની ઓળખાણ રેલનગરમાં રહેતા નિશીત મહેતા સાથે થઈ હતી.ગત તા. ૦૩/૦૩ના રોજ નિશીતે ધાર્મિકભાઈના ઘરે જઈને જણાવ્યું હતું કે, મારો સિબિલ સ્કોર ખરાબ હોવાથી મને લોન મળતી નથી. તું તારા નામે લોન કરાવીને મને એક હોન્ડા એક્ટિવા અને એક આઈફોન તારા નામે લઈ દે જેના બદલામાં હું તને રૂ. ૧,૫૦ લાખ રોકડા આપીશ. યુવકને પૈસાની જરૂર હોવાથી તે આ વાતમાં આવી ગયો હતો. ત્યાર બાદ તા. ૧૦/૦૩ના રોજ નિશીત મહેતા અને તેની પત્ની ભારતી પરમાર ધાર્મિકભાઈને કે.કે.વી. હોલ પાસે આવેલ શો-રૂમ પર લઈ ગયા હતા. ત્યાં ધાર્મિકભાઈના નામે રૂ. ૭૯,૮૫૮/-ની લોન કરાવી હોન્ડા એક્ટિવા ખરીદ્યું હતું. ત્યારબાદ ગોંડલ રોડ પર આવેલ મોબાઈલ શો- રૂમમાંથી ધાર્મિકભાઈના નામે ફાઈનાન્સ કરાવીને રૂ. ૭૯,૨૯૧/-ની કિંમતનો એપલ કંપનીનો આરોપીઓએ ડાઉન પેમેન્ટ અને હપ્તા પોતે ભરશે તેમ કહી વાહન અને આઈફોન બંને પોતાની પાસે રાખી લીધા હતા. બાદ યુવકે અવારનવાર નિશીત મહેતા પાસે વચન મુજબના રૂ. ૧,૫૦,૦૦૦/-ની માગણી કરી હતી પરંતુ આરોપીએ પૈસા આપ્યા નહોતા. એટલું જ નહીં, યુવકના નામે લીધેલા વાહન અને મોબાઈલના ફાઈનાન્સના હપ્તા પણ આરોપીએ ભર્યા નહોતા. તેમજ વાહન અને મોબાઈલ પણ પરત આપવાનો ઇનકાર કરતા પી. એસઆઈ ડાંગર સહીતે ગુનો નોધી કાર્યવાહી કરી છે.
જેતપુર ઉદ્યોગનગરમાં ગેરકાયદે ખનન પર એસઓજીનો દરોડો : 40.50 લાખનો મુદ્દામાલ જપ્ત : પેનલ્ટી વસૂલવા તજવીજ
રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયાઓ ઉપર તૂટી પડવાની સૂચના અન્વયે જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર ખનન પર રૂરલ એસઓજીની ટીમે દરોડો પાડી 40.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજકોટ જિલ્લામાં ખાણ ખનીજની ચોરી કરતા ખનીજ માફિયાઓ ઉપર તૂટી પડવાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ એ પારગી, પીએસઆઈ જી જે ઝાલાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટ નજીક આવેલી એક ધારમાં ગેરકાયદેસર રીતે તાસનું મોટા પાયે ખનન થતું હોવાની બાતમી મળી હતી આ ચોક્કસ બાતમી આધારે એસઓજીની ટીમે દરોડો પાડીને ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું દરોડા દરમિયાન સ્થળ પરથી ધાર કાપીને તાસનું ખનન કરતા અને તેની હેરાફેરી કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે રૂપિયા 30 લાખની કિંમતનું એક એક્સ્કેવેટર મશીન, એક ડમ્પર જપ્ત કર્યું છે. આ સાથે જ સ્થળ પરથી અંદાજે 100 ટન જેટલી ખનન કરેલી તાસ મળીને કુલ રૂ. 40,50,000 નો તોતિંગ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ખનીજ ચોરીમાં ઝડપાયેલા આ બંને વાહનો લાલજીભાઈ ટોળિયાના છે. ખનન માફિયાઓ સામે લાલ આંખ કરતા પોલીસે આ તમામ વાહનોને ડિટેઈન કર્યા છે. આ ઉપરાંત, ગેરકાયદેસર ખનન કરવા મામલે વધુ આકરો દંડ વસૂલવા માટે રાજકોટ ખાણ-ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીને સત્તાવાર રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે.
જેતપુરના ખીરસરામા 8 વર્ષથી કલીનીક ચલાવતો ધો.10 પાસ શખ્સ બોગસ તબીબ ઝડપાયો : જૂનાગઢના બોગસ તબીબ પાસેથી મેડિકલ સારવારનો અનુભવ મેળવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો
રાજકોટ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબોને પકડવાની સૂચન અન્વયે એસઓજીએ બાતમી આધારે જેતપુરના ખીરસરા ગામે મેડિકલ ડીગ્રી વગર ક્લિનિક ખોલી લોકોના જીવ સાથે ચેડા કરતાં ધોરણ 10 પાસ શખ્સને પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ જિલ્લામાં ઘોડા ડોકટરો ઉપર ધોંસ બોલાવવાની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.બી.મિશ્રા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઇ પરબતભાઇ શામળા, કોન્સ્ટેબલ ચિરાગભાઈ કોઠિવાર, રઘુભાઈ ત્રક્તાને જેતપુરના ખિરસરા ગામ પાસે જયંતીભાઈ દાનાભાઈની દુકાનમાં નરેશ શાંતી રાણાપરીયા નામનો શખ્સ કોઈપણ મેડીકલ ડીગ્રી વિના ગેરકાયદેસર રીતે એલોપેથીક કલીનીક ચલાવે છે અને પ્રેકટીસ ચાલુ છે જે બાતમી આધારે ટીમે દરોડો પાડ્યો હતો દુકાન ઉપર નામ વિનાનું બોર્ડ તથા મોબાઇલ નંબરનું બોર્ડ મારેલ હતું. દુકાન અંદર એક શખ્સ ગળામાં સ્ટેપ્રોસ્કોપ સાથે બેઠેલ જોવામાં આવેલ જેમનું નામ પૂછતાં જેતપુરનો નરેશ શાંતી રાણાપરીયા હોવાનું જણાવેલ હતું. તે શખ્સ પાસે મેડીકલ પ્રેકટીશને લગતી કોઇ ડીગ્રી ન હોય અને છેલ્લા આઠેક વર્ષથી પોતે આ કલીનીક ચલાવતો હોવાનુ જણાવેલ હતું પોલીસે કલીનીકમાં તપાસ કરતા કલીનીકમાંથી જુદા-જુદા દર્દો મટાડવાની ટેબ્લેટસ, ઇન્જેકશનો, સીરીજ, નીડલ તથા મેડીકલ પ્રેકટીશને લગતા અન્ય સાધનો તથા દવાઓ મળી આવેલ હતી. પોલીસે કુલ રૂ.16 હજારથી વધુની દવાઓ અને મેડિકલ સાધનો કબ્જે કરી બોગસ તબીબ નરેશ રાણપરિયાની ધરપકડ કરી હતી. પકડાયેલ શખ્સે ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરેલ છે અને તેને જૂનાગઢના બોગસ તબીબ પાસેથી મેડિકલ સારવારનો અનુભવ મેળવી કલીનીક શરૂ કરી દીધુ હતું. જો કે જૂનાગઢનો બોગસ તબીબ હાલ અવસાન પામ્યો હોવાનું સામે આવ્યું છે.
મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરીના કૌભાંડમાં યુપીના સૂત્રધાર સહીત ત્રણ ઝડપાયા : ચોરીની ટીપ આપતા કંપનીના બે એન્જીનીયરને પણ શાપર પોલીસે પકડી પાડ્યા : દેશભરમાંથી ચોરેલી બેટરી મેરઠનો શખ્સ દિલ્હીથી રશિયા મોકલતો હોવાનો ઘટસ્ફોટ
શાપર સહિત દેશભરમાં મોબાઈલ ટાવરમાંથી રીમોર્ટ યુનિટ ચોરતી ગેંગનો શાપર પોલીસે પર્દાફાશ કરી મેરઠના મુખ્ય સૂત્રધાર અને જમ્મુના બે સાગરીતને ઇન્દોરથી પકડી પાડ્યા છે ટાવર પરના AZNA રીમોર્ટ રેડીયો યુનિટની ચોરી કરી ગેંગના સાગરીતો મેરઠના ફારૂક અન્સારીને પહોંચાડતા અને તે દિલ્હીથી રશીયા મોકલતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જ્યારે મોબાઈલ ટાવરમાં નોકરી કરતાં એન્જિનિયર અને હાલ રાજકોટના ગોપાલ ચોકમાં રહેતાં મૂળ જમ્મુના વતની વિશાલ રાજપુત અને સુમીતસિંગ રાજપુત ટીપ આપતાં હોવાનું જાણવા મળ્યું છે. ગઈ તા.10 ના કોઇ અજાણ્યા શખ્સો ઇન્ડસ કંપની દ્રારા ઉભા કરેલ મોબાઇલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે AZNA રીમોર્ટ રેડીયો યુનિટ 1.20 લાખના જે ટાવર ઉપર ચડીને વાયરીંગ કટ કરી ચોરી કરી લઇ જઇ નાશી ગયાની શાપરમાં ફરિયાદ નોંધાઈ હતી દરમિયાન ઉપરોક્ત ગુનાનો ત્વરિત ભેદ ઉકેલવા રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા અપાયેલ સૂચનાથી શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણાની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી યુપીના ફારૂક ઉર્ફે ફરમાન ઉર્ફે કાળુ અયુબખાન અન્સારી, મૂળ જમ્મુના હાલ રાજકોટના ગોપાલ ચોકમાં રહેતા સંગ્રામસિંગ ઉર્ફે વિશાલ પાજી લહેરસિંગ રાજપુત અને સુમીતસિંગ શ્યામસિંગ રાજપુતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે પકડાયેલ આરોપીઓ અલગ અલગ મોબાઇલ ટાવરોમાં નેટવર્ક કનેકટીવીટી માટે લગાવેલ અતિસંવેદનશીલ ડીવાઇસ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ ચાલુ હોય તે દરમ્યાન ટાવર પર ચડી ડીવાઇસમાં લગાવેલ ઇલેકટ્રીક વાયરો ચાલુ પાવર દરમ્યાન કટ કરી પાના પકડો વડે ડીવાઇસ ટાવરથી અલગ કરી ડીવાઇસ સાથે ટાવર પરથી નીચે ઉતરી મોબાઇલ ટાવરના ફકત અતિસંવેદનશીલ ડીવાઇસ અણગઅ રીમોર્ટ રેડીયો યુનિટની છેલ્લા બે માસથી ગુજરાત રાજયના અલગ અલગ શહેરો જેમાં અમદાવાદ તથા રાજકોટ ખાતેથી ચોરીઓ કરી આ ડીવાઇસ કુરીયર સર્વિસ મારફતે અલગ અલગ શહેરોમાંથી પોતાના મળતીયાઓ મારફતે દિલ્લી મોકલાવી દિલ્લીથી આ ડીવાઇસ એક્ષપર્ટ માણસો દ્વારા રશીયા સહિતના વિદેશમાં અલગ અલગ જગ્યાઓએ મોકલતા હોવાની કબુલાત આપેલ છે. મોબાઈલ ટાવરમાં નોકરી કરતાં એન્જિનિયર અને હાલ રાજકોટના ગોપાલ ચોકમાં રહેતાં મૂળ જમ્મુના વતની વિશાલ રાજપુત અને સુમીતસિંગ રાજપુત ટીપ આપતાં હતાં. જે બાદ ગેંગના સાગરીતો ચોરીને અંજામ આપી મેરઠના શખ્સ સુધી ચોરેલ ડિવાઇસ પહોંચાડતા હતાં.
મહિકામાં ભરણપોષણનો કેસ કરનાર પુત્રવધુએ સાસુને બટકું ભરી ઢીકાપાટુનો માર માર્યો : ડોશી તારે આ ઘરનુ પગથીયુ ચડવાનુ નહી, તમારા નામ લખાવી ખોટા કેસમા ફીટ કરાવી દેવાની છુ કહી ધમકી
રાજકોટના મહીકા ગામે રાધિકા રેસિડેન્સીમાં રહેતા નીલમબેન સુરેશભાઇ કાચા ઉ.72એ પુત્રવધુ કાજલબેન કમલેશભાઈ કાચા સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા દીકરા કમલેશની પત્ની કાજલબેન છેલ્લા બે વર્ષથી રીસામણે છે.અને તેણીએ મારા દીકરા ઉપર ભરણપોષણનો કોર્ટ મા કેસ કરેલ છે ગત 22 તારીખે હુ મારા મોટા દીકરા અલ્પેશના ઘરે ગઈ હતી ત્યાંથી રાત્રીના હુ મારા દીકરા કમલેશના ઘરે પરત આવેલ ત્યારે મારા દીકરાની પત્ની કાજલ ઘરે આવેલ હોય અને તે મારા દીકરાને કહેવા લાગેલ કે હુ તારા માતા પિતાને મારી સાથે રાખીશ નહી અને મારે તેમની સાથે રહેવુ નથી જેથી તેઓને કહો અહીથી ચાલ્યા જાય જે બાબતે મારા દીકરાએ તેમજ મે તેની પત્ની કાજલને સમજાવવા જતા તે અચાનક ઉશકેરાઈ ગયેલ અને તે મારી તથા મારા દીકરા સાથે ગાળાગાળી કરવા લાગેલ અને મને ભુડી ગાળો આપવા લાગતા મારા દીકરાએ ગાળો દેવાની ના પાડતા તે અચાનક મારી સાથે મારામારી કરવા લાગેલ અને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને મારા હાથમાં બટકુ ભરી લીધું હતું અને હુ નીચે પડી ગયેલ જેથી મારા દીકરાએ તથા મારા દીકરાની દીકરી વીશ્વાએ વચ્ચે પડી તેને સમજાવી રોકવાનુ કરતા કહેવા લાગે લ કે ડોશી તારે આ ઘરનુ પગથીયુ ચડવાનુ નહી નહીતર તને પતાવી દઇશ તેમ કહી તે મારા દીકરા સાથે પણ મારામારી કરવા લાગેલ ત્યાર પછી તે અમને કહેવા લાગેલ કે હુ હમણા બેભાન થઇને હોસ્પીટલે દાખલ થઇ તારુ તથા તારા દીકરાનુ નામ લખાવી ખોટા કેસમા ફીટ કરાવી દેવાની છુ તમને જીવવા જેવા નહી રહેવા દઉં, આખા પરીવારનુ નામ લખાવી દઇશું તેમ કરી તેને ૧૦૮ મા ફોન કરી દીધેલ અને ૧૦૮ આવી જતા તેણી તેમા બેસી ગયેલ અને મને પણ વાગી ગયેલ હોય જેથી મારા દીકરાએ મને પણ ૧૦૮ મા બેસાડી દીધેલ અને અમે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.
શેરીમાં રહેવુ હોય તો શાંતીથી રહેવાનુ નહિતર જીવથી જઈશ તેમ કહિ મારવાની ધમકી : થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી પોલીસ ફરિયાદ
રાજકોટના ભાવનગર રોડ પર આવેલ બેડીપરા શ્રમજીવી સોસાયટીએમ રહેતા અને ઇમિટેશનનું કામ કરતા રવિભાઈ મગનભાઈ સોરાણીએ તેના જ વિસ્તારમાં રહેતા દેવું જીમીભાઈ સોલંકી, પેપુ જયસુખભાઇ સોલંકી અને એક્સેસમાં આવેલા અજાણ્યા શખ્સ સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે મારી બેટરી વાળી ગાડી બંધ પડેલ હોય આ ગાડી મારા ઘરે મુકવાની હોય જેથી હું તથા મારો કારીગર ધવલભાઈ સાથે બંધ ગાડી મુકવા મારા ઘરે આવ્યા હતા અને ત્યાં મારા ઘર આગળ એક ભાઈ એકસેસ લઈને ઉભેલ હોય જેથી મે તેને જણાવેલ કે અહિ મારી ગાડી રાખવી છે. તમારી ગાડી બાજુમાં લઈ લો તેમ જણાવતા આ ભાઈ મને કહેવા લાગેલ કે ગાડી અહિયા જ રહેશે તેમ કહિ મારી સાથે બોલાચાલી કરવા લાગેલ જેથી મે બોલાચાલી કરવાની ના પાડતા જે ભાઈ એકદમ ઉશકેરાઈ ગયેલ અને મને જેમ ફાવે તેમ ભુડી ગાળો બોલવા લાગેલ અને મારી સાથે ઝગડો કરવા લાગેલ તે દરમ્યાન અમારી શેરીમાં રહેતા તેમના ઓળખીતા દેવુ જીમીભાઈ સોલંકી તથા પેપુ જયસુખભાઈ સોલંકીના ઓ દોડીને આવેલ અને મને કહેવા લાગેલ કે તારો શેરીમાં ત્રાસ વધી ગયો છે તેમ કહિ મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મારી સાથે જપાજપી કરી મને પકડીને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને કોઈએ પથ્થરનો છુટા ઘા કરતા મને લાગી ગયેલ જેથી હું પડી જતા મારા સાથે આવેલ મારા કારીગરે મને વધુ માર માથી છોડાવેલ હતો અને આ લોકો ત્યાંથી જતા જતા મને કહેવા લાગેલ કે શેરીમાં રહેવુ હોય તો શાંતીથી રહેવાનુ નહિતર જીવથી જઈશ તેમ કહિ મારવાની ધમકી આપેલ હોય અને ત્યાંથી જતા રહેલ હોય જેથી ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં જુગારના પાંચ દરોડામાં 27 મહિલા સહીત 36 ઝડપાયા : પ્રનગર, માલવિયા, એ ડિવિઝન, તાલુકા પોલીસે 2.25 લાખનો મુદામાલ કબ્જે કર્યો
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પ્રનગર, માલવિયા, એ ડિવિઝન, તાલુકા પોલીસે પાંચ દરોડા પાડી જુગાર રમતી 27 મહિલા સહીત 36ની ધરપકડ કરી રોકડ, મોબાઈલ સહીત 2,24,910 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પ્રનગર પીઆઇ મકવાણાની રાહબરીમાં પીએસઆઈ એસ ડી કોઠીવાર અને ટીમે બાતમી આધારે રેલનગરની શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીમાં દરોડો પાડી જુગાર રમતા ઇશાબેન અક્ષયભાઈ પરમાર, નીતાબેન દીપકભાઈ સિંદે, મિતલબેન જગદીશભાઈ બાલા, ધારાબેન ધવલભાઈ ચાવડા, રમાબેન દેવજીભાઈ પરમાર, શીતલબેન મનીષભાઈ ભરાડ, પૂનમબેન દિનેશભાઇ ભટાર, જ્યોતિબેન પ્રફુલભાઇ, સ્નેહાબેન રાજેશભાઈ પરમાર, નિશાબેન ભદ્રેશભાઈ ચાવડા અને નીલાબેન કૃષ્ણાકભાઈ શ્રીમાળીની ધરપકડ કરી રોકડા 15,150 કબ્જે કર્યા છે તેમજ પ્રનગર ટીમે બીજો દરોડો એરપોર્ટ રોડ અંબિકા એપાર્ટમેન્ટમાં પાડ્યો હતો અહીં જુગાર રમતા શાર્લિનબેન દીપકભાઈ મહેતા, રીનાબેન વિનુભાઈ લુહાર, અંજનીબેન તેજપાલસિંહ પરમાર, જાગૃતિબેન રાજુભાઈ કોટક, જીજ્ઞાબેન ધર્મેશભાઈ અમૃતિયા અને અક્ષય મનોજભાઈ બીજવાણીની ધરપકડ કરી રોકડા 31,350 અને 4 મોબાઈલ સહીત 1,06,350 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે તેમજ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કૈલાની રાહબરીમાં પીએસઆઈ કે ડી મારુ અને ટીમે બાતમી આધારે નવલનગરમાં શનેશ્વર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા ધર્મેશ ઉર્ફે ધમોમેસુરભાઈ પીઠીયા, ધ્રૂમિત રાજેશભાઈ કાલરીયા, જીગર પ્રવીણભાઈ મણવર, શુભમ રમેશભાઈ પાંભર, દીપેન મહેશભાઈ પાંભર, દીપેન બિપીનભાઈ રાજાણી અને જગદીશ ઉગાભાઇ ચૌહાણની ધરપકડ કરી રોકડા 55 હજાર કબ્જે કર્યા છે આ ઉપરાંત તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી આર ભરવાડ સહિતની ટીમે બાતમી આધારે અંબિકા ટાઉનશીપમાં હેવન હાઈટ્સમાં દરોડો પાડી જુગાર રમતા નૂતનબેન હિમાંશુભાઈ ઉજીયા, સવિતાબેન ગીરીશભાઈ હાંસલિયા, શારદાબેન નારણભાઇ કાલાવડીયા, જ્યોત્સ્નાબેન અશોકભાઈ અમૃતિયા, હંસાબેન ભગવાનજીભાઈ માકડીયા, બ્રિન્દાબેન મયંકભાઇ માકડીયા, જયશ્રીબેન ચિરાગભાઈ ગડારા, ક્રિસ્ટલબેન ભૌતિકભાઈ કણસાગરા, નયનાબેન સચીનભાઈ કંટારીયા, વનીતાબેન અરજણભાઈ કનેરીયા અને ક્રિષ્નાબેન પીન્ટુભાઇ ગરધારીયાની ધરપકડ કરી રોકડા 21,610 કબ્જે કર્યા છે તેમજ એ ડિવિઝન પીઆઇ વાઢિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એસ.આર.ચાવડાની ટીમે બાતમી અર્ધ ટાગોર રોડ ઉપ્પર તેજસ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા રાહુલ ડાયાભાઇ નકુમ, ભૂમિત વસંતભાઈ ભાલાણી, રામ હરદાસભાઈ વાઝા, દિપક બુધ્ધગીરી મેઘનાથી અને રમેશ સામંતભાઈ મકવાણાની ધરપકડ કરી રોકડા 26,800 કબ્જે કર્યા છે.




