સરકારી સ્કૂલો અને કોલેજોના એનસીસી સ્ટુડન્ટસને વિવિધ નેશનલ કેમ્પોમાં ભાગ લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચની ચુકવણી કરવામાં આવે છે. જો કે ખાનગી સ્કૂલો-કોલેજોના એનસીસીના વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચે જવુ પડતુ હોય છે અથવા તો ખર્ચ ખાનગી સ્કૂલ-કોલેજે ભોગવવો પડતો હોય છે. પરંતુ હવે રાજ્ય સરકાર ખાનગી સ્કૂલો-કોલેજોના એનસીસી વિદ્યાર્થીઓ માટે કેમ્પનો તમામ ૧૦૦ ટકા ખર્ચ ભોગવશે. આ માટે રાજ્ય સરકારે ઠરાવ પણ કરી દીધો છે.
ગુજરાતની સરકારી સ્કૂલો અને કોલેજોના નેશનલ કેડેટ કોર્પ્સ(એનસીસી)ના રાષ્ટ્રીય કેમ્પો જેવા કે રીપબ્લિક ડે કોન્ટિન્જેન્ટ, થલ સૈનિક કેમ્પ, યુથ એકસચેન્જ પ્રોગ્રામ, વાયુ સૈનિક કેમ્પ, નેવી સૈનિક કેમ્પ તેમજ અન્ય રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ-કામગીરીમાં સ્કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓ પસંદગી પામે ત્યારે સરકારી સ્કૂલો અને કોલેજોના એનસીસી વિદ્યાર્થીઓને આ તમામ કેમ્પોમાં જવા માટે મિસિંગ, ટ્રાવેલિંગ જર્ની રેશન, ઇન્સિડેન્ટલ, પીઓએલ ચાજીર્સ સહિતના કેમ્પ ભથ્થા કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. પરંતુ રાજ્યની ખાનગી સ્કૂલો અને કોલેજોના એનસીસી કેડેટ્સ-સ્ટુડન્ટસને આવા નેશનલ કેમ્પોમાં જવા માટે કોઈ પણ પ્રકારનું ભથ્થુ આપવામાં આવતુ નથી. જેથી તમામ ખર્ચ વિદ્યાર્થીઓ-કેડેટ્સ પોતે ભોગવે છે.
- Advertisement -
રાષ્ટ્રીય કક્ષાના કેમ્પોની પસંદગી પ્રક્રિયા માટે કેડેટ્સે અંદાજે ૪થીપ સ્પર્ધાત્મક કેમ્પોમાં ભાગ લેવાનો હોય છે. ખાનગી કોલેજો-સ્કૂલોના તેજસ્વી એનસીસી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યા હોવા છતાં આર્થિક ભારણના કારણે ભાગ લેવા અનિચ્છા દર્શાવતા હોય છે. આથી રાજ્યના તમામ એનસીસી વિદ્યાર્થીઓને સમાન તક મળે તે માટે રાજ્ય સરકારે ખાનગી સ્કૂલો અને કોલેજોના એનસીસી વિદ્યાર્થીઓને વિવિધ કેમ્પોમાં જવા માટે ખર્ચ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના શિક્ષણ વિભાગે આ માટે ઠરાવ પણ કર્યો છે અને જે મુજબ ખાનગી સ્કૂલો-કોલેજોના કેડેટસની માફક જ ભથ્થા મંજૂર કરવામાં આવશે. આ માટે એનસીસી નિયામક કચેરી દ્વારા સરકારને દરખાસ્ત પણ કરાઈ હતી.




