ભારે વરસાદથી પ્રભાવિત 179 પરિવારોને આશરે રૂ.22 લાખની સહાય વિતરણ
સ્થળાંતરિત પરિવારો માટે ભોજન સેવા યથાવત
- Advertisement -
વિરમગામ તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવાના હેતુથી બુધવારે વિરમગામ-માંડલ-દેત્રોજ તથા નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલની અધ્યક્ષતામાં રાહત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભારે વરસાદથી પ્રભાવિત 15 ગામોના કુલ 179 પરિવારોને અંદાજે રૂ.22 લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. આ રાહત કાર્યક્રમ અંતર્ગત જખવાડા, ડુમાણા, કરકથલ, મહાદેવપુરા, ઓગાણ, સચાણા, સોકલી, ડેડીયાસણ, દોલતપુરા, ગોરૈયા, કાલીયાણા, કાકરાવાડી, રહેમલપુર, વડગાસ અને વણી સહિતના ગામોના અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવામાં આવી હતી. તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં કાચા મકાનો ધરાશાયી થયા હતા, જેના પરિણામે અનેક પરિવારોને પોતાનું રહેઠાણ છોડીને અન્યત્ર આશરો લેવો પડ્યો છે. આવા સ્થળાંતરિત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે આર્થિક સહાય ઉપરાંત ભોજનની વ્યવસ્થા પણ સતત ચાલુ રાખવામાં આવી હોવાનું કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે અસરગ્રસ્ત પરિવારોને હિંમત રાખવા અપીલ કરતાં જણાવ્યું હતું કે મુશ્કેલીની આ ઘડીમાં દરેક જરૂરિયાતમંદ સુધી શક્ય તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાહત અને પુનર્વસન સંબંધિત કામગીરી માટે સ્થાનિક તંત્ર અને સેવાભાવી કાર્યકરો સાથે સંકલન કરીને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ વરસાદી આપત્તિ પછી ઝડપથી રાહત કામગીરી હાથ ધરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક ગ્રામજનોએ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરીની પ્રશંસા પણ કરી હતી. રાહત વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




