ભારતના જેન-ઝીને ખુલ્લો પત્ર
પ્રિય ભારતના જેન-ઝી,
- Advertisement -
આજે ભારત એક યુદ્ધની વચ્ચે ઊભું છે, આ યુદ્ધ કોઈ દેશ સામે નથી, કોઈ ધર્મ સામે નથી, કોઈ ભાષા સામે નથી, આ યુદ્ધ છે-વિચાર અને પ્રતિક્રિયા વચ્ચેનું: એક બાજુ ઝડપ છે, બીજી બાજુ સમજ છે, એક બાજુ શોર છે, બીજી બાજુ મૌનનું ચિંતન છે, એક બાજુ તરત જ નિર્ણય લઈ લેતી ભીડ છે, બીજી બાજુ ધીરજથી સત્ય શોધતો માણસ છે
રાષ્ટ્ર કોઈ સરકારનો પ્રોજેક્ટ નથી, રાષ્ટ્ર એક સતત ચાલતી માનવીય પ્રતિજ્ઞા છે અને દરેક પેઢીને એ પ્રતિજ્ઞા લેવી જ પડે છે, હવે એ પ્રતિજ્ઞા લેવાનો વારો તમારો છે
એક વાત કહું: તમે જ્યારે પેલાં જંતરમંતર પર કટપિસની બિરયાની ખાઈ રહ્યાં હતાં, અભિજીત દીપકે બટર ચિકન ખાઈ રહ્યો હતો, તમારામાંથી કેટલાંક લોકો સૈન્યને અને નરેન્દ્ર મોદીને બેફામ ગાળો ભાંડી રહ્યાં હતાં, એ જ સમયે ભારતનો જેન-આલ્ફા વૈભવ સૂર્યવંશી ચોગ્ગા-છગ્ગા મારી રહ્યો હતો અને પોતાની શાનદાર કરિઅર ઘડી રહ્યો હતો. એ વીસ બોલમાં ફિફટી અને ચાલીસ બોલમાં એંસી રન ફટકારી રહ્યો હતો. નિખાલસતાથી કહો: તમારી સિદ્ધિ મોટી કે વૈભવની?
- Advertisement -
જંતરમંતર પર થયેલાં દેખાવો અને તેમાં જેન-ઝીના યુવક-યુવતીઓનાં બેફામ ગાળોસભર નિવેદનો જોઈને ધ્રુજી જવાયું. અને એટલે જ આ પત્ર લખી રહ્યો છું.
આ પત્ર હું તમને સમજાવવા માટે નથી લખતો. તમને ઉપદેશ આપવા માટે પણ નથી લખતો. હું તો માત્ર તમારા હૃદયના એ બારણે ટકોરા મારવા આવ્યો છું, જે કદાચ છેલ્લા થોડા વર્ષોથી સતત સોશિયલ મીડિયાના અવાજોના ઘોંઘાટમાં બંધ થઈ ગયું છે. મને ખબર છે, તમે બુદ્ધિશાળી છો. અમારા કરતાં ઘણું વધુ જાણો છો. અમારા કરતાં ઘણું ઝડપથી શીખો છો. દુનિયાના કોઈપણ ખૂણામાં શું બની રહ્યું છે તેની ખબર તમને સેક્ધડોમાં પડી જાય છે. તમારા હાથમાં દુનિયાનું સૌથી શક્તિશાળી સાધન છે-માહિતી. પણ એક પ્રશ્ર્ન મને વર્ષોથી સતાવે છે… માહિતી વધી છે… પરંતુ શું માણસ પણ મોટો થયો છે? જ્ઞાનનો પ્રકાશ વધ્યો છે કે માત્ર સ્ક્રીનનો અજવાળો? દુનિયા નજીક આવી છે કે માણસો દૂર થયા છે?
મિત્રો,
હું એ પેઢીમાંથી આવું છું જેણે પત્ર લખીને જવાબની રાહ જોઈ છે. તમે એ પેઢીમાંથી આવો છો જે ‘જયયક્ષ’ થયા પછી પણ સંબંધો તૂટી જતા જોયા છે. અમે ફોટા આલ્બમમાં સાચવતા હતા. તમે યાદોને ક્લાઉડમાં સાચવો છો. અમે ભૂલવા માટે સમય લેતા હતા. તમે ‘ઉયહયયિં’ દબાવી દો છો. પરંતુ જીવનની કેટલીક ફાઇલો ક્યારેય ડિલીટ થતી નથી. એમાંની એક છે-ચારિત્ર્ય. માણસનું ચારિત્ર્ય કોઈ એપ્લિકેશન નથી કે જ્યારે મન થાય ત્યારે અપડેટ કરી દઈએ. તે દરરોજ જીવવું પડે છે. દરરોજ ઘડવું પડે છે. અને દરરોજ બચાવવું પડે છે.
આજે સૌથી મોટો વેપાર કયો છે, જાણો છો? તમારું ધ્યાન. તમારો સમય. તમારી લાગણીઓ. તમારો ગુસ્સો. તમારો આનંદ. તમારો ડર. બધું કોઈને કોઈ બજારમાં વેચાઈ રહ્યું છે. જેણે તમારું ધ્યાન જીતી લીધું… એણે તમારું ભવિષ્ય જીતવાની શરૂઆત કરી દીધી. એટલે જ હું તમને કહેવા આવ્યો છું- તમારા મોબાઈલની સ્ક્રીન પર આંગળી ફેરવતાં પહેલાં, ક્યારેક તમારા અંતરાત્મા પર પણ નજર ફેરવો. તમારી સામે દરરોજ હજારો સમાચાર આવે છે. હજારો અભિપ્રાયો આવે છે. હજારો વિડીયો આવે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ર્ન એ નથી કે તમે શું જુઓ છો. સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે… શું એ બધું ધીમે ધીમે તમને ઘડી રહ્યું છે? મિત્રો, માણસ બે રીતે જીવતો હોય છે. એક-પોતાના વિચારો વડે. બીજો-બીજાના વિચારોની ગુંજ બનીને. પહેલો માણસ ઈતિહાસ લખે છે. બીજો માણસ ઈતિહાસની ભીડમાં ખોવાઈ જાય છે. તમે કયો માર્ગ પસંદ કરશો?
મને ઘણી વાર લાગે છે કે આ સદીની સૌથી મોટી ગરીબી પૈસાની નથી. વિચારની છે. આજે માણસ પાસે હજારો ‘ફોલોઅર્સ’ છે. પણ એક પણ માર્ગદર્શક નથી. હજારો સંપર્કો છે. પણ એક પણ આત્મીય સંવાદ નથી. હજારો ફોટોગ્રાફ છે. પણ એક પણ ક્ષણ નથી જેમાં માણસ પોતાને મળ્યો હોય. તમે છેલ્લે ક્યારે તમારા પોતાના મન સાથે એકલા બેઠા હતા?
ક્યારે પોતાને પૂછ્યું હતું- ‘હું ખરેખર શું બનવા માગું છું?’ માત્ર સફળ? કે ઉપયોગી પણ? માત્ર પ્રસિદ્ધ? કે પ્રામાણિક પણ? માત્ર સમૃદ્ધ? કે સમૃદ્ધિ સાથે સંવેદનશીલ પણ? મિત્રો, સમય ક્યારેય ઘડિયાળમાં નથી પસાર થતો. સમય માણસમાં પસાર થાય છે. દરેક દિવસ તમને થોડા વધુ યુવાન નથી બનાવતો. થોડા વધુ જવાબદાર બનાવે છે. અને જવાબદારીનું પ્રથમ નામ છે-વિચાર. વિચાર એટલે માત્ર અસહમત થવું નહીં. વિચાર એટલે પોતાના મનગમતા વિચારોને પણ કસોટી પર ચડાવવાની હિંમત. જે વ્યક્તિ પોતાને પ્રશ્ર્ન પૂછવાનું બંધ કરે છે, તે ધીમે ધીમે બીજાના જવાબોમાં જીવવા લાગે છે. એ જ ક્ષણે તેની સ્વતંત્રતા ઓગળવા માંડે છે. તમે સ્વતંત્ર દેશમાં જન્મ્યા છો. પરંતુ શું તમે સ્વતંત્ર વિચારો છો? આ પ્રશ્ર્નનો જવાબ કોઈ પુસ્તક નહીં આપે. તમારી અંતરાત્મા આપશે. યાદ રાખજો- મોબાઇલમાં ‘જયફભિવ’નું બટન છે. પણ જીવનમાં ‘જયફભિવ’ નહીં… ‘જયહર’નું બટન હોય છે. જે માણસ પોતાને શોધી લે છે, તેને દુનિયા ભટકાવી શકતી નથી. જે પોતાને જ ગુમાવી દે છે, તેને દુનિયા જ્યાં ઈચ્છે ત્યાં લઈ જાય છે. આજે હું તમને કોઈ સૂત્ર આપવા નથી આવ્યો. કોઈ તૈયાર જવાબ પણ આપવા નથી આવ્યો. કારણ કે તૈયાર જવાબો ઘણી વખત તૈયાર માણસો બનાવતા નથી. મારે તો તમારા અંદર પ્રશ્ર્નો જગાડવા છે. પ્રશ્ર્નો જ માણસને જાગતો રાખે છે. અને જાગતો માણસ જ સમાજને જાગૃત કરે છે.
મિત્રો, આ સદી તમને માત્ર સફળ થવાની તક આપતી નથી. આ સદી તમને અર્થપૂર્ણ બનવાની તક આપે છે. સફળતા તમારા નામને ઓળખ અપાવે છે. અર્થપૂર્ણ જીવન તમારા અસ્તિત્વને કારણ આપે છે. એક દિવસ તમારી ડિગ્રી જૂની થઈ જશે. તમારી નોકરી બદલાઈ જશે. તમારો ફોન બદલાઈ જશે. તમારી ઓળખ પણ કદાચ બદલાઈ જશે. પણ એક વસ્તુ અંત સુધી તમારી સાથે રહેશે. તમારા નિર્ણયોની સુગંધ. એ સુગંધ એવી હોવી જોઈએ કે વર્ષો પછી પણ લોકો કહે- ‘આ માણસ મળ્યો હતો… અને મળ્યા પછી જીવન થોડું વધુ સારું લાગ્યું.’ જો તમારી હાજરીથી માણસમાં વિશ્ર્વાસ વધે… જો તમારા શબ્દોથી કોઈનું મનોબળ ઊંચું થાય… જો તમારા કાર્યથી સમાજમાં થોડો પ્રકાશ ઉમેરાય… તો સમજજો કે તમે માત્ર જીવ્યા નથી. તમે તમારા સમયને અર્થ આપ્યો છે. અને જે પેઢી પોતાના સમયને અર્થ આપે છે… એ જ પેઢી ભવિષ્યનું ભારત ઘડે છે. તેથી, પ્રિય મિત્રો, આજે જ્યારે તમે આ પત્ર પૂરો કરો… ત્યારે કોઈને જવાબ આપવાની ઉતાવળ ન કરશો. પહેલા પોતાની અંદર ઊતરી જશો. એક જ પ્રશ્ર્ન પૂછજો- ‘હું મારા સમયનો માત્ર દર્શક છું કે સર્જક?’ આ એક પ્રશ્ર્નનો સાચો જવાબ જ કદાચ તમારા આખા જીવનની દિશા નક્કી કરશે. અને કદાચ… ભારતના ભવિષ્યની પણ.
પ્રિય ભારતના જેન-ઝી…
વિચારનું યુદ્ધ
યુદ્ધ હંમેશાં સરહદ પર જ નથી લડાતાં. કેટલાંક યુદ્ધો તલવાર વગર લડાય છે. કેટલાંક યુદ્ધોમાં ગોળીઓ નથી ચાલતી, વિચારો ચાલે છે. કેટલાંક યુદ્ધોમાં લોહી નથી વહેતું, પરંતુ પેઢીઓનું ભવિષ્ય વહેંચાઈ જાય છે. આજે ભારત એવા જ એક યુદ્ધની વચ્ચે ઊભું છે. આ યુદ્ધ કોઈ દેશ સામે નથી. કોઈ ધર્મ સામે નથી. કોઈ ભાષા સામે નથી. આ યુદ્ધ છે-વિચાર અને પ્રતિક્રિયા વચ્ચેનું. એક બાજુ ઝડપ છે. બીજી બાજુ સમજ છે. એક બાજુ શોર છે. બીજી બાજુ મૌનનું ચિંતન છે. એક બાજુ તરત જ નિર્ણય લઈ લેતી ભીડ છે. બીજી બાજુ ધીરજથી સત્ય શોધતો માણસ છે. અને મિત્રો, ઈતિહાસે વારંવાર સાબિત કર્યું છે કે ભીડ દિશા બદલતી નથી-દિશા હંમેશાં વિચારક બદલે છે. આજે તમે સવારે આંખ ખોલો, તે પહેલાં જ દુનિયા તમારા સુધી પહોંચી જાય છે. કોઈ વીડિયો. કોઈ પોસ્ટ. કોઈ ભાષણ. કોઈ આરોપ. કોઈ પ્રશંસા. કોઈ અફવા. કોઈ અડધી સચ્ચાઈ. અને સૌથી ભયાનક વાત એ છે કે આ બધું ઘણીવાર એકસરખા આત્મવિશ્ર્વાસ સાથે તમારી સામે આવે છે. સત્યને બૂમો પાડવાની જરૂર પડતી નથી. પણ અસત્ય ઘણીવાર ચીસો પાડે છે. એટલે જ વિચારશીલ માણસ સૌથી પહેલાં પૂછે છે- ‘આ વાત સાચી છે કે માત્ર વારંવાર કહેવામાં આવી છે?’ મિત્રો, વારંવાર સાંભળેલી વાત અને સાચી વાત-બંને એક જ હોય એવું જરૂરી નથી. આજના સમયમાં સૌથી મોટો ખતરો અજ્ઞાન નથી. અડધું જ્ઞાન છે. અડધું જ્ઞાન માણસને સૌથી વધુ આત્મવિશ્ર્વાસ આપે છે. અને સૌથી વધુ ભૂલો પણ. તેથી વાંચજો. ફક્ત શીર્ષક નહીં-સમગ્ર લેખ. ફક્ત એક મત નહીં-વિવિધ દૃષ્ટિકોણ. ફક્ત પોતાના મનગમતા લોકો નહીં-પોતાથી અસહમત લોકોને પણ. કારણ કે સત્યને ક્યારેય એક જ બારીમાંથી જોઈ શકાતું નથી.
મિત્રો, એક વૃક્ષને મૂળથી કાપવું હોય તો કુહાડી પૂરતી છે. પણ એક સંસ્કૃતિને કમજોર કરવી હોય તો માત્ર એટલું પૂરતું છે કે તેના યુવાનોને વિચારવાનું બંધ કરાવી દો. જ્યાં પ્રશ્ર્નો મરી જાય છે… ત્યાં અંધ અનુસરણ જન્મે છે. જ્યાં અંધ અનુસરણ જન્મે છે… ત્યાં સ્વતંત્રતા ધીમે ધીમે શ્ર્વાસ ગુમાવવા લાગે છે. એટલે હું તમને કોઈ વિચારધારા સ્વીકારવા નથી કહતો. હું તમને માત્ર એટલું કહું છું- વિચારધારા પહેલાં વિચારને પ્રેમ કરજો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પુસ્તક, કોઈ પણ મંચ, કોઈ પણ પ્રભાવશાળી અવાજ-કોઈને પણ એટલો મોટો ન બનવા દો કે તમારો પોતાનો વિવેક નાનો પડી જાય. તમારો સૌથી વિશ્ર્વાસુ મિત્ર તમારું અંતરાત્મા હોવું જોઈએ.
મિત્રો, ભારત હજારો વર્ષોથી એક અનોખો દેશ રહ્યો છે. અહીં ચર્ચાઓ થઈ છે. વાદવિવાદ થયા છે. દર્શનોએ એકબીજાને પડકાર્યા છે. કવિઓએ રાજાઓને પ્રશ્ર્ન પૂછ્યા છે. સંતોએ સમાજને અરીસો બતાવ્યો છે. વિજ્ઞાનીઓએ માન્યતાઓને કસોટી પર ચડાવી છે. આ જ પરંપરા ભારતની સાચી શક્તિ છે. એટલે વિચારો. વાંચો. ચર્ચા કરો. પણ એક વાત ક્યારેય ભૂલશો નહીં- મતભેદનો અર્થ મનભેદ નથી. કોઈ વ્યક્તિ સાથે અસહમત થવું શક્ય છે, છતાં તેના માનવ ગૌરવનો આદર રાખવો પણ શક્ય છે. આ જ લોકશાહીની સંસ્કૃતિ છે.
મિત્રો, જો તમારી પેઢી આ એક વાત શીખી જશે- કે વિચાર જીતવો જોઈએ, માણસ નહીં હરાવવો જોઈએ- તો તમે ભારતને માત્ર વધુ વિકસિત નહીં, વધુ સંસ્કારી પણ બનાવશો. અને કદાચ… એક દિવસ ઈતિહાસ લખશે- ‘આ એ પેઢી હતી જેણે માહિતીના મહાસાગરમાંથી વિવેકના મોતી શોધ્યા હતા.’
રાષ્ટ્રનિર્માણના અજાણ્યા શિલ્પીઓ
પ્રિય મિત્રો, જ્યારે કોઈ બાળક શાળામાં પ્રથમ વખત ભારતનો નકશો દોરે છે, ત્યારે તેને એવું લાગે છે કે દેશ માત્ર સરહદોનું નામ છે. જ્યારે એ જ બાળક મોટો થાય છે, ત્યારે તેને સમજાય છે કે દેશ નકશામાં નહીં, માણસોમાં વસે છે. દેશ સંસદની ઇમારતમાં જેટલો છે, એટલો જ એક ગામની પ્રાથમિક શાળામાં પણ છે.
દેશ સૈનિકની બંદૂકમાં જેટલો છે, એટલો જ ખેડૂતના હળમાં પણ છે. દેશ વૈજ્ઞાનિકની પ્રયોગશાળામાં જેટલો છે, એટલો જ નર્સના સ્પર્શમાં પણ છે. દેશ કોર્ટના ચુકાદામાં જેટલો છે, એટલો જ સામાન્ય નાગરિકના ચારિત્ર્યમાં પણ છે. અમે ઘણી વાર પૂછીએ છીએ-‘દેશ માટે શું કરવું?’ પણ કદાચ સાચો પ્રશ્ર્ન એ છે- ‘આજે હું મારા કામમાં કેટલો પ્રામાણિક છું?’ કારણ કે રાષ્ટ્રનિર્માણ કોઈ એક દિવસની ઘટના નથી. તે કરોડો લોકોની રોજની આદતોનું સરવાળું છે. એક શિક્ષક દરરોજ માત્ર પાઠ નથી ભણાવતો; તે આવતીકાલના નાગરિકનું વ્યક્તિત્વ ઘડે છે. એક ખેડૂત માત્ર અનાજ નથી ઉગાડતો; તે સમગ્ર રાષ્ટ્રના જીવનને ટેકો આપે છે. એક સફાઈ કર્મચારી માત્ર રસ્તો સાફ નથી કરતો; તે જાહેર આરોગ્યની અદૃશ્ય દીવાલ ઊભી કરે છે. એક ડોક્ટર માત્ર દર્દીનો ઈલાજ નથી કરતો; તે એક પરિવારની આશા જીવંત રાખે છે. અને એક યુવાન માત્ર પોતાનું ભવિષ્ય બનાવતો નથી; તે ભારતના ભવિષ્યમાં એક ઈંટ મૂકે છે.
મિત્રો, આપણે ઘણી વાર સફળતાની ચર્ચા કરીએ છીએ. પણ સફળતા અને મહાનતા વચ્ચે ઘણો ફરક છે. સફળ માણસ પોતાના માટે જીવે છે. મહાન માણસ પોતાની સફળતામાંથી સમાજ માટે પણ કંઈક છોડીને જાય છે. તમારી પેઢી પાસે સફળ બનવાની અસંખ્ય તકો છે. પરંતુ મહાન બનવાની તક તો હજુ પણ એ જ જૂના માર્ગે મળે છે- સત્ય. પ્રામાણિકતા. અનુશાસન. સેવા. અને સતત પરિશ્રમ. આ ગુણોનો કોઈ વિકલ્પ આજ સુધી દુનિયાએ શોધ્યો નથી.
મિત્રો, તમારી સામે એક અનોખો યુગ ખુલ્લો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. રોબોટિક્સ છે. અવકાશવિજ્ઞાન છે. બાયોટેક્નોલોજી છે. ગ્રીન એનર્જી છે. ડિજિટલ અર્થતંત્ર છે. આ બધા ક્ષેત્રોમાં ભારતના યુવાનો વિશ્ર્વમાં નવી ઓળખ બનાવી રહ્યા છે. પરંતુ યાદ રાખજો- ટેકનોલોજી ભવિષ્ય બનાવે છે. ચારિત્ર્ય સંસ્કૃતિ બનાવે છે. અને સંસ્કૃતિ વિના વિકાસ લાંબો ટકતો નથી. તમે કદાચ વિશ્ર્વની સૌથી અદ્યતન મશીન બનાવી શકો. પણ જો વિશ્ર્વાસ તૂટી જાય, તો સમાજનું કોઈ સોફ્ટવેર તેને સુધારી શકશે નહીં. એટલે જ માણસનું સૌથી મોટું અપગ્રેડ ટેકનોલોજી નહીં-મૂલ્યો છે.
મિત્રો, તમારા જીવનમાં એક એવો સમય આવશે જ્યારે તમને બે રસ્તા દેખાશે. એક રસ્તો સહેલો હશે. સમાધાનનો. શોર્ટકટનો. લાભનો. બીજો રસ્તો મુશ્કેલ હશે. સિદ્ધાંતનો. સત્યનો. ધીરજનો. ઈતિહાસ સાક્ષી છે- ટૂંકા રસ્તા ઘણીવાર ઝડપથી પહોંચાડે છે. પણ ઊંચાઈ સુધી પહોંચાડતા નથી. મહાન ઈમારતો ઊભી કરવામાં સમય લાગે છે. અને મહાન વ્યક્તિત્વ ઘડવામાં તો આખું જીવન.
મિત્રો, આ દેશને તમારી બુદ્ધિની જરૂર છે. પણ તેનાથી પણ વધારે તમારી વિશ્ર્વસનીયતાની જરૂર છે. એવા યુવાનોની જરૂર છે કે જેમના શબ્દ પર વિશ્ર્વાસ કરી શકાય. જેમના હસ્તાક્ષરનો અર્થ સત્ય હોય. જેમની હાજરીથી લોકો નિર્ભય અનુભવે. આવી પ્રતિષ્ઠા ખરીદી શકાતી નથી. તે જીવનભર કમાવવી પડે છે. ક્યારેક મને લાગે છે કે ભારતની સૌથી મોટી સંપત્તિ તેની ખાણો નથી. તેના યુવાનોનું અંતરાત્મા છે. જો આ અંતરાત્મા જાગતું રહેશે તો દેશને કોઈ હરાવી શકશે નહીં. અને જો આ અંતરાત્મા ઊંઘી જશે, તો કોઈ પણ સમૃદ્ધિ લાંબો સમય ટકી શકશે નહીં.
મિત્રો, રાષ્ટ્રપ્રેમનો સૌથી સુંદર અવાજ સૂત્રોમાં નહીં, કર્તવ્યમાં સંભળાય છે. જ્યારે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો-ત્યારે પણ દેશ મજબૂત બને છે. જ્યારે તમે પરીક્ષામાં પ્રામાણિક રહો છો-ત્યારે પણ દેશ મજબૂત બને છે. જ્યારે તમે કોઈ અજાણ્યા માણસ સાથે પણ સન્માનથી વર્તો છો-ત્યારે પણ દેશ મજબૂત બને છે. કારણ કે રાષ્ટ્રનું સાચું બળ તેના શસ્ત્રોમાં નથી. તેના નાગરિકોના સ્વભાવમાં છે. પ્રિય મિત્રો, એક દિવસ તમારા બાળકો તમને પૂછશે- ‘તમારા યુગે ભારતને શું આપ્યું?’ તે દિવસે તમારો જવાબ ભાષણ ન હોવો જોઈએ. તમારું આખું જીવન જ તેનો જવાબ હોવો જોઈએ. એવું જીવન જીવો કે તમારું નામ સાંભળીને લોકો પહેલાં તમારી સફળતા નહીં, પરંતુ તમારી સચ્ચાઈને યાદ કરે. એવું જીવન જીવો કે તમારા કારણે કોઈના હૃદયમાં ભારત માટેનો વિશ્ર્વાસ વધે. કારણ કે આખરે… રાષ્ટ્ર કોઈ સરકારનો પ્રોજેક્ટ નથી. રાષ્ટ્ર એક સતત ચાલતી માનવીય પ્રતિજ્ઞા છે. અને દરેક પેઢીને એ પ્રતિજ્ઞા ફરીથી લેવી જ પડે છે. હવે એ પ્રતિજ્ઞા લેવાનો વારો તમારો છે.
જ્યારે ઈતિહાસ તમારી આંખોમાં જોશે
પ્રિય મિત્રો, દરેક યુગને પોતાની એક પેઢી મળે છે. કેટલીક પેઢીઓ માત્ર સમય પસાર કરે છે. કેટલીક પેઢીઓ સમયને બદલી નાખે છે. સવાલ એ નથી કે તમે કઈ સદીમાં જન્મ્યા છો. સવાલ એ છે કે તમારી સદી તમને કયા નામે યાદ રાખશે. શું તે લખશે- ‘આ એ પેઢી હતી જે આખો દિવસ સ્ક્રીન પર જીવતી હતી?’ કે પછી લખશે- ‘આ એ પેઢી હતી જેણે ભારતના આત્મવિશ્ર્વાસને નવી ઊંચાઈ આપી હતી.’ ઈતિહાસ ક્યારેય ઉતાવળમાં નિર્ણય કરતો નથી. તે દાયકાઓ સુધી જુએ છે. માણસના ભાષણોને નહીં… તેના જીવનને વાંચે છે.
મિત્રો, જીવનના અંતે માણસ પાસે ઘણું બધું રહી જતું નથી. ન હોદ્દા. ન તાળીઓ. ન ટ્રેન્ડિંગ હેશટેગ. બાકી રહે છે તો માત્ર ત્રણ વસ્તુઓ- તેણે કોને પ્રેમ આપ્યો. તેણે કોની સેવા કરી. અને તેણે પોતાની માતૃભૂમિને શું પાછું આપ્યું. આ ત્રણ પ્રશ્ર્નોમાં જ આખા જીવનનો હિસાબ સમાઈ જાય છે. યાદ રાખજો- માતૃભૂમિ ક્યારેય આપણી પાસેથી અસાધારણ બલિદાન માંગતી નથી. તે રોજિંદા જીવનમાં અસાધારણ પ્રામાણિકતા માંગે છે. જ્યારે કોઈ જુએ નહીં ત્યારે પણ સાચું કરવું. જ્યારે લાભ મળે ત્યારે પણ અન્યાય ન કરવો. જ્યારે ગુસ્સો આવે ત્યારે પણ માનવતા ન છોડવી. જ્યારે સફળતા મળે ત્યારે પણ વિનમ્ર રહેવું. આ નાનાં નિર્ણયો જ ભેગા થઈને મહાન રાષ્ટ્ર બનાવે છે. મિત્રો, આજે તમે જે નિર્ણય લો છો, તે માત્ર તમારું આવતીકાલ નથી ઘડતો. તે એવા બાળકનું આવતીકાલ પણ ઘડે છે જે હજુ જન્મ્યું નથી. દરેક પેઢી પોતાના સંતાનો માટે બે વારસાઓ છોડે છે- એક ઈમારતોનો. બીજો મૂલ્યોનો. ઈમારતો સમય સાથે જૂની થઈ જાય છે. મૂલ્યો સમય સાથે વધુ કિંમતી બનતા જાય છે. એટલે તમે જ્યારે સફળ થાઓ- તમારા બાળકોને માત્ર સંપત્તિ ન આપતા. સત્યનો વારસો પણ આપજો. મહેનતનો વારસો પણ આપજો. કરુણાનો વારસો પણ આપજો. કારણ કે જે સમાજ પોતાના મૂલ્યોનો વારસો ગુમાવે છે, તે સમૃદ્ધિ હોવા છતાં અંદરથી ગરીબ બની જાય છે.
પ્રિય મિત્રો, મને તમારામાં અદ્ભુત વિશ્ર્વાસ છે. કારણ કે મેં ભારતને વારંવાર અંધકારમાંથી પ્રકાશ તરફ જતા જોયું છે. આ ધરતી પર એવી પેઢીઓ જન્મી છે જેમણે ગુલામી જોઈ, પરંતુ સ્વતંત્રતાનું સ્વપ્ન છોડ્યું નહીં. એવી પેઢીઓ જન્મી છે જેમણે ગરીબી જોઈ, છતાં શિક્ષણનો દીવો બુઝવા દીધો નહીં. એવા વૈજ્ઞાનિકો થયા જેમણે મર્યાદિત સાધનોમાં વિશ્ર્વને ચોંકાવ્યું. એવા રમતવીરો થયા જેમણે અસંખ્ય મુશ્કેલીઓ વચ્ચે તિરંગાને વિશ્ર્વમંચ પર પહોંચાડ્યો. એવા શિક્ષકો થયા જેમણે એક ગામમાં રહીને સદી બદલી નાખી. આ ઈતિહાસ તમારો પણ છે. પણ યાદ રાખજો- વારસો મળતો હોય છે. ગૌરવ કમાવવું પડે છે. તમારે આ સદીને માત્ર ભોગવવાની નથી. તેને ઘડવાની છે. તમારે ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર ઝડપ માટે નહીં, જ્ઞાન માટે કરવો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર અભિવ્યક્તિ માટે નહીં, જવાબદારી માટે કરવો છે. સ્વતંત્રતાનો ઉપયોગ માત્ર અધિકાર માટે નહીં, કર્તવ્ય માટે કરવો છે.
મિત્રો, એક ક્ષણ માટે કલ્પના કરો… વર્ષ 2050 છે. તમે જીવનનો લાંબો માર્ગ પસાર કરી ચૂક્યા છો. એક નાનકડો બાળક તમારી પાસે આવે છે અને પૂછે છે- ‘દાદા… દાદી… જ્યારે ભારત નવા સપના જોઈ રહ્યું હતું ત્યારે તમે શું કરી રહ્યા હતા?’ એ પ્રશ્ર્નનો જવાબ તમારા શબ્દોમાં નહીં હોય. તમારા જીવનમાં હશે. જો તમે સત્યને પસંદ કર્યું હશે- તો જવાબ ત્યાં હશે. જો તમે સમાજ માટે થોડો સમય કાઢ્યો હશે- તો જવાબ ત્યાં હશે. જો તમે કોઈનું જીવન થોડું સારું બનાવ્યું હશે- તો જવાબ ત્યાં હશે. અને જો તમે દરેક મતભેદ વચ્ચે પણ માનવતાને બચાવી રાખી હશે- તો એ બાળક તમારી આંખોમાં ભારતનું ભવિષ્ય જોઈ શકશે.
પ્રિય મિત્રો, મારે તમારી પાસે કોઈ પ્રતિજ્ઞા લેવડાવવી નથી. મારે માત્ર એક દીવો સોંપવો છે. વિચારનો દીવો. કરુણાનો દીવો. જવાબદારીનો દીવો. જ્ઞાનનો દીવો. આ દીવો લઈને ચાલશો તો રસ્તો ક્યારેક અંધકારમય હશે, પરંતુ તમે ક્યારેય અંધકારના ભાગ નહીં બનો. અને કદાચ… વર્ષો પછી જ્યારે ઈતિહાસ તમારું નામ લખશે, ત્યારે તે તમારી પાસે એટલું જ કહેશે- ‘આ પેઢીએ માત્ર પોતાનું ભવિષ્ય બનાવ્યું નહોતું; તેણે પોતાના દેશના ભવિષ્યમાં પણ પ્રકાશ ઉમેર્યો હતો.’ એ દિવસ તમારા માટે સૌથી મોટો પુરસ્કાર હશે. કારણ કે જીવનનું સાચું ગૌરવ પ્રસિદ્ધિમાં નથી. પદમાં નથી. સંપત્તિમાં નથી. જીવનનું સાચું ગૌરવ એમાં છે કે તમારા હોવાના કારણે દુનિયા થોડી વધુ સારી બની. અને જો ભારતના કરોડો યુવાનો આ એક વિચારને જીવનમાં ઉતારી લે- તો કોઈ શક્તિ ભારતને માત્ર સમૃદ્ધ જ નહીં, સંસ્કારી, સર્જનાત્મક અને કરુણાસભર રાષ્ટ્ર બનતા રોકી શકશે નહીં.
મિત્રો, આ પત્રનો અંત અહીં થાય છે. પણ તમારી સફર હવે શરૂ થાય છે. જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લો, ત્યારે એક ક્ષણ માટે થોભજો અને તમારી અંતરાત્માને માત્ર એક જ પ્રશ્ર્ન પૂછજો- ‘મારા આ નિર્ણયથી માત્ર મને જ લાભ થશે કે મારા સમાજ, મારા દેશ અને માનવતાને પણ કંઈક સારું મળશે?’ જો આ પ્રશ્ર્ન જીવતો રહેશે… તો તમારામાં ભારત જીવતું રહેશે. અને જ્યાં સુધી ભારત પોતાના યુવાનોના અંતરાત્મામાં જીવતું રહેશે… ત્યાં સુધી આ રાષ્ટ્રને કોઈ હરાવી શકશે નહીં. નેહથી નહીં… વિશ્ર્વાસથી વિદાય લઉં છું. કારણ કે આશીર્વાદ કરતાં પણ મોટી વસ્તુ વિશ્વાસ હોય છે. અને મને વિશ્ર્વાસ છે- ભારતનું આવતીકાલ હજુ પણ તેની યુવા પેઢીની આંખોમાં ઝળહળે છે.
– એક ચિંતિત ભારતીય વડીલ



