ફુટબોલ ગ્રાઉન્ડમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી થશે
મહિલાઓ માટે રેસકોર્સના લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે સવારે 6 કલાકે યોગ કાર્યક્રમ યોજાશે
- Advertisement -
રાજકોટમાં ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ૨૧મીએ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રેસકોર્સ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન માટે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા, કોલેજના છાત્રો, સામાજિક, ધાર્મિક, સ્વયંસેવી સંસ્થાઓના સ્વયંસેવકો ઉપરાંત જાહેર નાગરિકોને આ ઉજવણીમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આસિ. કલેક્ટર ટીના કલ્યાણ, નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૨૧મી જૂન ૨૦૨૬ના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ભવ્ય ઉજવણી કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ ખાસ મહિલાઓ માટે રેસકોર્સના લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે સવારે ૦૬:૦૦ કલાકે યોગ કાર્યક્રમ યોજાશે. ગુજરાત યોગ બોર્ડના સહયોગથી આયોજિત આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓ રૂપે મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને સામાજિક અને યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ છે.
આ તકે મનપાના પદાધિકારીઓએ માનવ જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, નિયમિત યોગ કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે, લવચીકતા આવે છે અને પાચનતંત્ર, રોગપ્રતિકારક શક્તિ તેમજ રક્ત પરિભ્રમણ સુધરે છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને આર્થરાઈટિસ જેવી બીમારીઓને નિયંત્રિત કરવામાં યોગ રામબાણ ઈલાજ સાબિત થાય છે. આજના તણાવપૂર્ણ જીવનમાં પ્રાણાયામ અને ધ્યાન માનસિક શાંતિ આપવાની સાથે ચિંતા અને ડિપ્રેશન દૂર કરી જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ લાવે છે. યોગ માત્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પૂરતો સીમિત નથી, પરંતુ તે આત્મ-જાગૃતિ અને આત્મિક વિકાસ કેળવી જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવે છે અને સ્વ-શિસ્ત શીખવે છે.
- Advertisement -
એક સંતુલિત, સ્વસ્થ અને સુખી જીવન માટે યોગને દિનચર્યાનો ભાગ બનાવવા અને ૨૧મી જૂનના રોજ આયોજિત આ સામૂહિક યોગ સાધનામાં બહોળી સંખ્યામાં જોડાવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નગરજનોને હાર્દિક અપીલ અને અનુરોધ કરવામાં આવ્યો છે.
યોગ દિવસના કાર્યક્રમની ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા સંજયસિંહ રાણા સહિત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી




